Abtak Media Google News

દર વર્ષે 1 ઓક્ટોબર વિશ્વ વૃદ્ધ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે સમાજમાં રહેતા વરિષ્ઠ નાગરિકોનો મહત્વ સમજાવવામાં માટે ઘડવામાં આવ્યો છે. ખાસ કરીને આ દિવસનું મહત્વ વૃદ્ધ લોકોને જે કોઈ પ્રકારની તકલીફો થતી હોય છે તે દર્શાવવા માટે અને તેનાં ઉકેલનો પ્રયત્ન કરવા માટેનો છે. પોતાના સગા માતા પિતાને સાચવવામાં કેમ અચકાય છે !

આશ્રમો અને આશ્રયો બંધાવનારને આશ્રય સ્થાન શોધવું પડે છે ! અરે દીકરો કે દીકરી લાડ ન લડાવે તો કઈ નહી પણ માવતરને રોડવી લેવાનું ટાળે એ તો કમનસીબી જ છે. મોટી ઉંમરની વ્યક્તિઓને શારીરિકથી લઈને માનસિક રીતે પણ ઘણા પ્રશ્નો હોય છે તે સામાન્ય બાબત છે પરંતુ એવા પ્રશ્નોને લીધે પોતાના જ માતા પિતાને દુર હડસેલી દેવા એ કેટલે અંશે યોગ્ય છે ?

શું દરેક વ્યક્તિને જીવનમાં વૃદ્ધાવસ્થા નથી આવતી ? પોતાના વડીલો પાસેથી લીધેલું જ્ઞાન વ્યક્તિ જીવનમાં ઉતારે છે અને એ દ્વારા અંતે તો દેશનો જ ઉદ્ધાર થાય છે, માટે દેશમાં જેટલો આવક રળી આપતો વર્ગ કામનો છે એટલા જ વૃદ્ધ લોકો પણ જરૂરી છે. વળી, ઘણી વખત તો મોટી ઉંમરે પણ મજુરી કામ કરતાં લોકો કે ફક્ત સમય પસાર કરવા માટે નાનું મોટું કામ કરતા વડીલો પણ પોતાનું ગુજરાન ચલાવી શકાય તેટલું કમાઈ લેતા હોય છે.

એવું નથી હોતું કે દર વખતે સંતાનોની જ ભૂલ હોય, ઘણી વખત વડીલો સંતાનોનાં જીવનમાં જરૂર કરતા વધુ દખલગીરી પણ કરતાં હોય અને યેનકેન પ્રકારેણ બાળકોને માનસિક ત્રાંસ પણ આપતા હોય છે. વડીલોએ પણ સમજવું જોઈએ કે આ નવી ટેકનોલોજીમાં જીવીને પળે પળે બદલાતી ફેશનોમાં રચ્યા પચ્યા રહેતા જીવોને એમની રીતે જીવવા દેવું જોઈએ. હવે મારે કોઈ શોખ ન રખાય, જીવનની વધેલી ક્ષણોમાં  પોતાના શોખ પૂરા કરીને, શાસ્ત્રો વાંચીને, પૂજાપાઠ કરીને કે પછી કોઈ પણ ગમતું કાર્ય કરીને પૂર્ણપણે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

-પ્રાસંગીક- મિત્તલ ખેતાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.