Abtak Media Google News

કોર્પોરેશન દ્વારા સાતમાં તબક્કાના સેવા સેતુ, દીનદયાળ ઔષધાલયનો શુભારંભ અને નિબંધ અને ચિત્રસ્પર્ધાના વિજેતાઓને મોમેન્ટો અર્પણ કાર્યક્રમ યોજાયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે આજે શેઠ હાઈસ્કુલ ખાતે સાતમાં તબક્કાના સેવા સેતુ, દીનદયાળ ઔષધાલયનો શુભારંભ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓમાં યોજાયેલી નિબંધ અને ચિત્રસ્પર્ધાના વિજેતાઓને મોમેન્ટો અર્પણ કાર્યક્રમ યોજાયો. જેનું દિપ પ્રાગટ્ય ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પુર્વ મંત્રી અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકશાહીમાં દર પાંચ વર્ષે પ્રતિનિધિઓ સરકાર કે શાસકો બદલાય છે પરંતુ અટલ બિહારી વાજપેયીના સમયથી સુશાસનની શરૂઆત થઈ છે. શાસકો છેવાડાના માનવીની ચિંતા કરતા થયા છે. નાગરિકને કાંટો વાગે અને શાસન કર્તાને દુખાવો થાય તેને સાચું સુશાસન કહેવાય. ભૂતકાળની સરકારો વખતે નાગરિકોને તેના પ્રશ્નો કે સરકારની યોજના માટે જુદી જુદી કચેરીઆએ ધક્કા ખાવા પડતા. જયારે ભાજપની સરકાર આવી છે.

ત્યારથી સેવાસેતુના માધ્યમ થી નાગરિકોને રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ પોતાના વિસ્તારમાં જ મળતો થયો છે. આજે પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે રાજકોટ વિધાનસભા 70 અને સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.3,7,13,14 અને 17 માં રહેતા શહેરીજનોના લાભાર્થે સેવા સેતુ યોજાયો છે. આ સેવાસેતુમાં આધાર કાર્ડ, રાશન કાર્ડ, કુંવરબાઈનું  મામેરું સહાય યોજના, શ્રમિક કાર્ડ, જાતી પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, સુક્ધયા સમૃદ્ધિ યોજના, વૃદ્ધ નિરાધાર સહાય વિગેરે જેવી જુદી જુદી 35 જેટલી સેવાઓ આવરી લેવામાં આવેલ. મેયર ડો.પ્રદિપભાઈ ડવે જણાવ્યું હતું કે છેવાડાના માનવીની ચિંતા કરનાર અને રાજનીતિમાં ઉતમ વ્યક્તિત્વ એટલે ભારતના પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી. લોકોની વાસ્તવિક રીતે સેવા કરવાના હેતુસર આજ રોજ  સેવા સેતુ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા ગુડ ગવર્નસ દિવસની ઉજવણી થઈ રહી છે, રાજ્યના નાનામાં નાના નાગરિકોની સેવા કરવામાં આવે ત્યારે સુશાસન જોવા મળે છે. સરકારની યોજનાઓનો નાગરિકોને એક સ્થળે થી લાભ મળી રહે તમામ કચેરીના અધિકારીઓને બોલાવી કામગીરી કરાવવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પ્રાથમિક આરોગ્ય સુવિધા પ્રાપ્ત થાય તે માટે જુદા જુદા સ્લમ વિસ્તારોમાં રાજ્ય સરકારના સહયોગથી અગાઉ 45 દીનદયાળ ઔષધાલય શરૂ કરવામાં આવેલ.

આજ રોજ ના જુદા જુદા સ્લમ વિસ્તારમાં વધુ 12 દીનદયાળ ઔષધાલયનો શુભારંભ શરૂ કરવામાં આવનાર છે. સ્લમ વિસ્તારમાં રહેતા નાગરિકો આખો દિવસ કામ પર જતા હોય છે, જેથી સાંજ ના 5 થી રાત્રિ ના 9 સુધી ડોક્ટરો દ્વારા પ્રાથમિક સારવાર સેવાઓ ઉપલબ્ધ કરાયેલ છે. દિન દયાળ ઔષધાલયમાં અત્યાર સુધીમાં 20115 દર્દીઓને સારવાર આપવામાં આવેલ છે.

આ ઉપરાંત મહાનગરપાલિકાના જુદા વિસ્તારોમાં 21 આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. આરોગ્ય કેન્દ્રમાં નિ:શુલ્ક નિદાન દવા અને લેબોરેટરીના જુદા જુદા ટેસ્ટ કરી આપવામાં આવે છે. વિશેષમાં મેયર જણાવેલ કે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં અટલ બિહારી વાજપેયીના જીવન અને કવન વિશે યોજાયેલ નિબંધ સ્પર્ધા 843 અને ચિત્ર સ્પર્ધાના 1452 વિદ્યાર્થીઓએ  ભાગ લીધો હતો.

આ પ્રસંગે નિબંધ અને ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને વિદ્યાર્થી મહાનુભાવોના હસ્તે મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ છે તેમજ સિટી બસ ક્ધસેસન પાસ, શહેરી ફેરિયા પ્રમાણપત્ર, એસીપી લોન, આયુષ્માન કાર્ડ તથા જન્મ પ્રમાણપત્ર મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.