Abtak Media Google News

૩૦૦૦ કરોડનાં મેગા પ્રોજેકટમાં વર્ષે દહાડે ૫ મિલીયન મેટ્રીક ટન ગેસનું થશે ઉત્પાદન

એક સમયે જામનગર જિલ્લાનું જોડિયાબંદર ખુબ જ ધમધમતું હતું પરંતુ રાજકીય બાબતોને લઈ જોડિયા બંદરનો વિકાસ ઘણા સમયથી અટકી પડયો હતો. અનેકવિધ પ્રોજેકટો જોડિયા બંદરને મળવાની શકયતા પણ જોવામાં આવતી હતી પરંતુ એવું તો કેવું રાજકારણ રમાયું કે જોડિયા બંદરનો વિકાસ પૂર્ણતહ અટકી પડયો. સૌરાષ્ટ્રનાં બંદરોની જો વાત કરવામાં આવે તો કંડલા હોય કે પછી પીપાવાવ પરંતુ જે કુદરતી ડ્રાફટ કોઈપણ બંદર માટે જરૂરી હોય તે જોડિયા પાસે છે પરંતુ એવું તો કયું કારણ બન્યું કે, જોડિયા બંદર વિકસિત ન થઈ શકયું.

જોડિયા બંદરનો વિકાસ અટકી જતાં સરકારની પણ આંખ ખુલ્લી છે અને ફરીથી જોડિયાનો વિકાસ થાય તે માટે અનેકવિધ યોજનાઓ જોડિયા માટે રાજય સરકાર દ્વારા બનાવવામાં આવી છે ત્યારે એવી જ એક યોજના જોડિયા પાસે ગેસ ટર્મીનલ બનતા જે મોરબીનો સિરામિક ઉધોગ વધુને વધુ ધમધમશે. વિશ્વ આખામાં મોરબી સિરામિક ઉધોગની એક અલગ જ છાપ પ્રસ્થાપિત થઈ છે ત્યારે સિરામિક કલ્સ્ટરમાં મોરબીનો સિરામિક ઉધોગ એક અલગ જ સ્થાન ધરાવે છે. જોડિયામાં ગેસ ટર્મિનલ સ્થપાતા મોરબીનો સિરામિક ઉધોગ વધુને વધુ ધમધમશે અને ગેસ પણ સસ્તા ભાવે મળી રહેશે. ફલોટીંગ સ્ટોરેજ એન્ડ યુનિટ જોડિયાનાં તટ ઉપર બનાવવામાં આવશે કે જે મોરબીથી માત્ર ૪૫ કિલોમીટરનાં અંતરે આવેલું છે.

૨.૫ મિલીયન મેટ્રીક ટન વાર્ષિક ક્ષમતા ધરાવતું ટર્મિનલ જયારે જોડિયા બંદર ઉપર સ્થાપિત થશે ત્યારબાદ જોડિયાનો વિકાસ પુરજોશમાં થશે. આશરે ૩૦૦૦ કરોડનાં આ પ્રોજેકટથી દેશ આખાની નજર ફરીથી જોડિયા બંદર ઉપર પડશે તો નવાઈ નહીં. ગેસ ટર્મિનલ બનાવવા માટે ઓરેસ્સા એનર્જી પ્રા.લી. દ્વારા એકસપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ ગુજરાત મેરીટાઈમ બોર્ડને સુપ્રત કર્યું છે જે અંગે સ્ટેટ મેરીટાઈમ ઓથોરીટી દ્વારા હરાજીનાં પ્રપોઝલ પણ બહાર પાડવામાં આવ્યા છે જેમાં હજી સુધી ઓરેસ્સા એનર્જી પ્રા.લી. રસ દાખવ્યો છે તેમ ગુજરાત મેરીટાઈમ બોર્ડનાં સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી. જોડિયા બંદર ખાતે પ્રસ્થાપિત કરવામાં આવતું ગેસ ટર્મિનલનો મુખ્ય હેતુ એ છે કે સિરામિક ઉધોગોને નિયમિત રીતે લીકવીફાઈડ નેચરલ ગેસ મોરબી માટે મળી રહે કે જે ભારતમાંથી સૌથી વધુ ગેસનો વપરાશ કરતો જિલ્લો છે. મોરબીમાં પ્રતિદિવસ ૬ મિલીયન મેટ્રીક સ્ટાન્ડર્ડ કયુબીક મીટરનાં ગેસનો વપરાશ થતો હોય છે જે ખુબ જ મહત્વપૂર્ણ વાત કહી શકાય.

સુત્રોનાં જણાવ્યા અનુસાર એલએનજી ગેસ ઓન સોર ટર્મીનલ ઉપર ટેન્કમાં સ્ટોર કરવામાં આવશે જેનું વેચાણ પાઈપલાઈન મારફતે મોરબીનાં સિરામિકઉધોગકારોને પહોંચાડવા માટે આવશે. ૨૦૦૭થી જ મોરબી સિરામિક ઉધોગમાં એલએનજી ગેસનો વપરાશ દિન-પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે જેની વારંવાર સરકારને રજુઆત કરવામાં આવતા ગુજરાત રાજય સરકાર દ્વારા ગેસ ટર્મિનલ પ્લાન્ટની સ્થાપના જોડિયા બંદર પર કરવામાં આવે તે માટે મંજુરીની મહોર લગાવવામાં આવી છે. સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ એ વાત પણ સામે આવે છે કે જો મોરબી સિરામિક ઉધોગને એલએનજી ગેસ નિયમિત અંતરાળે ઘણા સમય પહેલાથી જો મળતો હોત તો ગેસ કટમાં જે સિરામિક ઉધોગો ઘણાખરા પડી ભાંગ્યા તે સ્થિતિનું નિર્માણ ન થાત ત્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા જોડિયા બંદર પર ગેસ ટર્મિનલ સ્થાપિત કરવા માટેની મંજુરી આપી દેવામાં આવી છે અને જે કોઈ કલીયરન્સની જરૂર છે તે આગામી દિવસોમાં પુરા કરવામાં આવશે. સિરામિક ઉધોગો પાસે અનેકવિધ પ્રકારે નાણાકીય સગવડતા રહેલી છે પરંતુ એલએનજી પ્રોજેકટને કઈ રીતે ચલાવવો તે માટે તેઓ અજાણ હોવાનાં કારણે ટેકનીકલ અને સ્ટ્રેટેજીક પાર્ટનરની પણ શોધખોળ ચાલુ કરવામાં આવી છે પરંતુ જોડિયા બંદર પર ગેસ ટર્મિનલ બનતાની સાથે જ જે બંદરનો રૂધાયેલો વિકાસ હતો તેફરીથી વિકસિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.