Abtak Media Google News

શાંતિમય વાતાવરણમાં ચૂંટણી યોજાઈ અને આદર્શ આચારસંહિતાનું ચૂસ્તપણે પાલન થાય તે માટે હુકમો જાહેર કરતા ડો.વિક્રાંત પાંડે

આગામી ૯મી ડિસેમ્બરે રાજકોટ જિલ્લામાં યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણી શાંતીમય વાતાવરણમાં યોજાઈ અને આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.વિક્રાંત પાંડેએ વિવિધ જાહેરનામાઓ પ્રસિદ્ધ કર્યા છે.

૯મીએ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ કે અન્ય કોઈ વ્યકિત મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી માટે બુથ કરી શકશે નહીં. તેમજ મતદાન મથકો અને તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ વ્યકિતએ સેલ્યુલર ફોન, કાર્ડલેશ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જવા ઉપર કે તેના ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

૧૮મી ડિસેમ્બરે સરકારી એન્જીનીયરીંગ કોલેજ કણકોટ ખાતે થનાર મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે. કોઈ પણ પ્રકારની ખલેલ ન પડે તથા વ્યવસ્થામાં વિક્ષેપ ન આવે તે માટે ૯ થી ૧૮ ડિસેમ્બર દરમિયાન પ્રતિબંધક હુકમો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ કોઈપણ વ્યકિત સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં તેમજ આવા પ્રવેશપાસ સરળતાથી દેખાય આવે તે રીતે પ્રદર્શિત કરશે. મતગણતરી કેન્દ્રની આસપાસ ૨૦૦ મીટરના વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતા વધુ વ્યકિતઓ એકત્રિ થઈ શકશે નહીં અથવા કોઈ સભા ભરી શકશે નહીં કે કોઈ સરઘસ કાઢી શકશે નહીં, કોઈપણ વ્યકિત કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યકિત મતગણતરી હોલમાં મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહીં કે તેનો ઉપયોગ કરી શકાશે નહીં. ઉમેદવાર તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે મતદાર વિભાગના મતગણતરી હાેલમાં પ્રવેશ માટે પ્રવેશપાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં.

મત ગણતરી ફરજ પર નિયુકત અધિકારી કર્મચારીઓ તથા આવશ્યક સેવાઓના કામે રોકાયેલા વ્યકિતઓને મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઈસ્યુ કરવા માટે વિધાનસભા મતદાર વિભાગના સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારીઓને તેમના વિધાનસભા મતદાર વિભાગ માટેના પાસ તથા સમગ્ર મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટે પાસ તથા સમગ્ર મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટેના પાસ આપવા માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજકોટને અધિકૃત કરવામાં આવેલ છે. મત ગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીએ નકકી કરેલ સ્થળે જ વાહન પાર્કીંગ કરવાનું રહેશે. મતગણતરી તેમજ મતગણતરી સંચાલન અંગેની ફરજ જે અધિકારી કે કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારીઓ કે કર્મચારીઓ તથા પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, અર્ધ લશ્કરી દળના અધિકારી તથા જવાનોને સક્ષમ અધિકારી તરફથી મંજુરી આપવામાં આવેલ અથવા એક્રેડીટેશન કાર્ડ ધરાવતા પત્રકારો મતગણતરી કેન્દ્ર ખાતે આવેલ મીડિયા સેન્ટર સુધી પોતાનો મોબાઈલ સાથે રાખી શકશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.