Abtak Media Google News

માર્ગ પરિવહન મંત્રાલયે વર્ષ 2022માં થયેલી રોડ અકસ્માતના આંકડા સાથેનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં સ્પષ્ટ થયું છે કે, 71% માર્ગદર્શન અકસ્માતો પાછળ ઓવરસ્પીડ જવાબદાર છે. સાથોસાથ આ રિપોર્ટમાં અનેક ચોંકાવનારી વિગતો પણ જાહેર કરવામાં આવી છે.

વર્ષ 2022માં ભારતીય માર્ગો પર દર 10 માંથી સાત મૃત્યુ ઓવર-સ્પીડિંગને કારણે થયા હતા તેવું માર્ગ પરિવહન મંત્રાલયના રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે. 2022માં માર્ગ અકસ્માતમાં કુલ 1,68,491 લોકોના મોત નીપજ્યા છે તેમજ 4.4 લાખ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે, આ લોકોમાંથી લગભગ 2 લાખ લોકો ગંભીર રીતે ઘાયલ હતા.

2022માં માર્ગ અકસ્માતમાં કુલ 1,68,491 લોકોના મોત : 4.4 લાખ લોકો ઈજાગ્રસ્ત

માર્ગ અકસ્માતમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગએ બીજું સૌથી મોટું કિલર સાબિત થયું છે. લગભગ 67,000 વ્યક્તિઓએ નિર્ધારિત “સુરક્ષા ઉપકરણો” – હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ ન કર્યો હોવાને કારણે તેમના જીવ ગુમાવ્યા છે.

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ વાર્ષિક ડેટા દર્શાવે છે કે 50,000થી વધુ ટુ-વ્હીલર સવારો હેલ્મેટ પહેર્યા ન હોવાને કારણે મૃત્યુ પામ્યા હતા અને તેનાથી બમણી સંખ્યામાં ઘાયલ થયા હતા. એ જ રીતે 16,715 મૃત્યુ સીટ બેલ્ટ ન પહેરવાથી જોડાયેલા હતા અને 42,300 ઘાયલ થયા હતા.

અત્યંત ચોંકાવનારી બાબત એ છે કે, ભારત વૈશ્વિક વાહનોમાં ફકત 2%નો હિસ્સો ધરાવે છે પરંતુ વૈશ્વિક માર્ગ અકસ્માતમાં મોતમાં ભારત 11%નો હિસ્સો ધરાવે છે.

છેલ્લા પાંચ વર્ષમાં માર્ગ અકસ્માતો અને મૃત્યુના તુલનાત્મક વિશ્લેષણ દર્શાવે છે કે માર્ગ મૃત્યુના મુખ્ય કારણ તરીકે ઝડપનો હિસ્સો 2018 માં 64% થી વધીને 2022માં 71% થયો છે, જે એક સમયે કડક અમલીકરણની તાત્કાલિક જરૂરિયાત તરફ નિર્દેશ કરે છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગો (35,488) પર લગભગ 78% મૃત્યુ ઝડપને કારણે થયા હોવાના અંદાજ મુજબ આ સંખ્યાઓ પરથી પણ સ્પષ્ટ થાય છે. એકંદરે હાઈવે, મૃત્યુના 60% માટે જવાબદાર છે, જો કે તેઓ દેશના માર્ગ નેટવર્કમાં માંડ 5% હિસ્સો ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.