Abtak Media Google News

2023/24નો વેરો 30મી જૂન સુધીમાં ભરપાઈ કરનાર કરદાતાઓને 10 ટકા  વળતર અપાશે: ઓનલાઈન ટેકસ ભરનારને વધારાનું પાંચ ટકા રિબેટ મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા  નગરપાલિકા  વિસ્તારોમાં વસવાટ કરતા  નાગરિકો માટે આઝાદી કા અમૃત  મહોત્સવ પ્રોત્સાહક  વળતર યોજનાના ધોરણો વધુ ઉદાર બનાવવામાં આવ્યા છે.  બાકી વેરામાં વ્યાજ માફી   યોજના,  એડવાન્સ ટેકસ ભરનારને વેરામાં વળતર અને ઓનલાઈન વેરો ભરનારને વધારાનું રિબેટ આપવાનો  નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા ભરપાઇ કરવા માટે રાહત આપતા બે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.

મુખ્યમંત્રીએ રાજ્યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણાં ભંડોળ અને નાણાંકીય વ્યવસ્થાપન દ્વારા આત્મનિર્ભર બને અને નગરોના કરદાતાઓને પણ કર ભરવામાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના “જાહેર કરેલી છે.

આ સંદર્ભમાં આ વળતર યોજનાના ધોરણો વધુ ઉદાર બનાવવાના જનહિતકારી બે નિર્ણયો મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કર્યા છે.

મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર, જે કરદાતાઓ તેમની મિલ્કત ઉપરના તા.31મી માર્ચ-ર0રર સુધીના કે તે પહેલાના માંગણા બિલના તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા.31મી માર્ચ-ર0ર3 સુધીમાં ભરપાઇ કરે તેમને નોટિસ ફી, વ્યાજ પેન્લટી અને વોરંટ ફી ની રકમ 100 ટકા માફ કરી દેવાશે.

ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આગામી નાણાંકીય વર્ષ ર0ર3-ર4 ની વેરાની રકમ તા.30 જૂન-ર0ર3 સુધીમાં એડવાન્સ ભરી દે તેવા કરદાતાઓને આ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત 10 ટકા રિબેટ અપાશે.

આવી વેરાની એડવાન્સ રકમ તા.30 જૂન-ર0ર3 સુધીમાં મોબાઇલ એપ્લીકેશન કે ઇ-નગર ઓનલાઇન પોર્ટલ દ્વારા ભરપાઇ કરે તેવા કરદાતાઓને વધારાનું પાંચ ટકા વળતર આપવામાં આવશે.

એટલે કે, ઓનલાઇન એડવાન્સ ટેક્ષ ભરનારા નાગરિકોને કુલ મળીને 1પ ટકા રિબેટ વર્ષ ર0ર3-ર4ના ભરવાપાત્ર વેરાની રકમ તા.30 જૂન-ર0ર3 સુધીમાં એડવાન્સ ચુકવવા ઉપર મળશે.

મુખ્યમંત્રીના આ જનહિતકારી નિર્ણયને પરિણામે રાજ્યના નગરજનોને ટેક્ષ ભરપાઇ કરવાનું તેમજ આગામી વર્ષનો એડવાન્સ ટેક્ષ ભરવાનું પ્રોત્સાહન અને પ્રેરણા મળતા થશે. એટલું જ નહિ, ઓનલાઇન ટેક્ષ ટ્રાન્ઝેકશન્સને પણ પ્રેરક બળ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.