Abtak Media Google News

ગોંડલનાં રામજી મંદિરે ચાલી રહેલ પૂ. રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહના દ્વિતિય દીને વ્યાસપીઠ પરથી તેઓએ સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો

ગોંડલના રામજી મંદિરે ચાલી રહેલ પૂજ્ય રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત સપ્તાહ ના દ્વિતીય દિને તેઓએ વ્યાસપીઠ ઉપરથી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો અને ઝાડ ને વરસાદ ની કંકોત્રી ગણાવી હતી, નમક હલાલ બનવું જોઈએ નમક હરામ ન થવું જોઈએ તેવી શીખ આપી હતી.

વર્તમાન સમયમાં માણસની રહેણી કરણીમાં ઘણું પરિવર્તન આવી ગયું છે માણસ શાંતિથી જમતો નથી ટિફિન ભરતા હોય તેવી રીતે પેટ ભરી રહ્યો છે, સ્નાન કરતો નથી માત્ર શરીર પલાળી રહ્યો છે, દાંતનું કામ દાંતને કરવા દેવું જોઈએ ન કે આતરડા ઉપર છોડવું જોઈએ, ભોજન ભજન જેવા ભાવથી કરવું જોઈએ અને ભજનની ભોજનની જેમ ભૂખ લાગવી જોઈએ, માણસ પ્રકૃતિનો પ્રત્યેક તત્વનો ઋણી છે આ પંચમહાભૂત વિનાશ ન થાય પ્રદૂષિત ન થાય તેવી રીતે જીવતા શીખવું જોઈએ જળ અને વાયુ પ્રદૂષિત થવા ન જોઇએ જો તે પ્રદૂષિત થશે તો માણસ જ માંદો પડશે, મોટા શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે અને ત્યાંના લોકોની આયુષ્ય સરેરાશ કરતા છ થી સાત વર્ષ ઘટી રહી છે, વિકાસની વાતો કરતા આપણે ભોગવાસમા જીવી રહ્યા છીએ, ગંદકી કરી રહ્યા છીએ અને ઝાડ વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છીએ, ઝાડ તો વરસાદને બોલાવવાની કંકોત્રી છે નમક હલાલ બનીએ નમક હરામ ન બનવું જોઈએ.

સરકારી એવું કયું ખાતું છે જે ખાતું ન હોય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કોશિશ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી પણ સરકારી ભુખડા ની ભુખ, ઘણા તો ભૂખડીબારશ છે, સરકારી નોકરી અને રાજકારણ કેવી ભૂખ છે, આ લોકો રૂપિયાનું શું કરવાના હશે, જો આવું બંધ થશે નહીં થાય તો પ્રજા વિફરશે, આવી રીતે વ્યાસ પીઠ પરથી પૂજ્ય ભાઈએ ભ્રષ્ટાચારીઓને પણ સુધરી જવા જીવન સફળ કરવા સંદેશો આપ્યો હતો.

ધર્મનું રહેઠાણ સંતો મહાપુરુષ અને ભક્તોના ચરિત્રમાં છે પોથીના પનામા ધર્મ રહેતો નથી. ધ્રુવ, પ્રહલાદ, રાજા અમરીશ ગોપી પ્રેમ અને ગજેન્દ્ર હાથી ની જેમ ભક્તિ કરો તો ભગવાન દોડીને પહોંચે જ છે અને આ બધી કથાઓ વિશ્વાસમાં વધારો કરે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.