Abtak Media Google News

કોરોના કાબુમાં છે તેવા શહેરોમાં દિવસ દરમિયાનના કડક નિયમો દુર થાય તેવી શકયતા

વાયરસ અને વાવાઝોડાની આફત બાદ ધંધા-રોજગાર  ફરી ધમધમે તે પણ જરૂરી, ‘મિનિ લોકડાઉન’ હટાવવાની ચેમ્બર ઓફ કોમર્સની માંગ સંતોષાય તેવી સંભાવના !!

ખતરનાક સાબિત થયેલી કોરોના વાયરસની બીજી લહેરમાંથી ગુજરાત સહિત સમગ્ર દેશ ઉગરવા તરફ છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. તો સામે રિકવરી રેટ પણ નોંધનીય દરે વધી રહ્યો છે. પરંતુ હાલ એમાં પણ વાયરસની સાથે વાવાઝોડાએ મોટું નુકસાન કરાવ્યું છે. કોરોનાને કાબુમાં લેવા માટે રાજ્યના 36 શહેરોમાં જે “મીની લોકડાઉન” જેવા કડક પ્રતિબંધો લદાયા છે. તેમાં હવે આવતીકાલથી નાના વેપારીઓ માટે રૂપાણી સરકાર “રાહત” જાહેર કરે તેવી પ્રબળ સંભાવના છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે હાલ દિવસ દરમ્યાન છે કડક નિયમો યથાવત છે તેને દૂર કરવા નાના-મધ્યમ વર્ગના વેપારીઓ, સહિત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સતત સરકાર સમક્ષ માંગણી કરાઈ રહી છે. જેને સ્વીકારી સરકાર આવતીકાલથી આ નિયમો હટાવે તેવી શક્યતા છે. ખાસ જે શહેરોમાં કોરોના કાબૂમાં છે તેવા સ્થળોએ કડક પ્રતિબંધો હટાવવામાં આવે તેવી સંભાવના છે. એક તરફ વાયરસ અને એમાં પણ વાવાઝોડું ત્રાટકતા નાના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ફરી ધંધા રોજગાર શરૂ થાય તેમ ઈચ્છી રહ્યા છે. ત્યારે આ નાના વેપારી વર્ગને ધ્યાને રાખી સરકાર નિયમો હળવા કરે જો કે રાત્રી  કરફ્યૂ હજુ લંબાવાય તેવી શકયતા છે.

ઉલ્લેખનીય છે કે ગત 4 મેના રોજ રાજ્યના 29 ઉપરાંત સાત અન્ય શહેરો એમ કુલ 36 શહેરોમાં જે રાત્રી કર્ફ્યૂ ઉપરાત દિવસ દરમિયાનના પ્રતિબંધો લાગુ કરાયા હતા તે બે વખત લંબાવાયા બાદ સોમવારે ફરી લંબાવવાની જાહેરાત કર્યા બાદ આજ તેની અવધિ પૂર્ણ થઈ રહી છે. રાજકોટ સહિત 36 શહેરોમાં રાત્રે 8થી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ છે તો દિવસ દરમિયાન પણ જરૂરી વસ્તુઓની સેવાઓ ચાલુ છે. બિનજરૂરી સામાનોની દુકાનો પણ બંધ રાખવામાં આવી છે. તો હવે આ કર્ફ્યૂ સહિત લોકડાઉન જેવા આકરા નિયમોની મુદ્ત આજે  પૂર્ણ થઈ રહી છે. તેવામાં રાજ્ય સરકાર આજે કોઈ નિર્ણય લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરો ઉપરાંત ગામડાંઓમાં પણ કોરોનાથી રાહત મળી છે. પરંતુ આગામી ત્રીજી લહેરને લઈ રાજ્ય સરકાર કર્ફ્યૂમાં ઢીલ આપશે તેમ લાગી રહ્યું નથી. કોરોના સંક્રમણ સંપૂર્ણપણે કાબુમાં કરવા અને ત્રીજી લહેર સામે અડીખમ ઉભું રહેવા માટે કડક નિયમોની જરૂર છે.

ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી,  વલસાડ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ અને વધારાના નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે. જે અંગે આજે નિર્ણય લઈ નાના વેપારીઓને રાહત અપાય તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.