Abtak Media Google News

અશક્ત, વૃધ્ધ અને દિવ્યાંગોને ઘેર જઈ રસી આપવાની સુવિધા: શ્રમિકો માટે મોબાઈલ વેનની વ્યવસ્થા

રાજકોટ જીલ્લાના 432 ગામોમાં 100 ટકા રસીકરણની સિધ્ધિ નોંધાઇ છે, જેમાં જેતપુર તાલુકાના સૌથી વધુ 47 ગામોનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નગરપાલિકા વિસ્તારના 7 અર્બન હેલ્થ સેન્ટર અને 12 સામૂહિક આરોગ્ય કેન્દ્રો, તથા 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે નાગરિકોને રાજયસરકાર દ્વારા મફત વેક્સિન આપવામાં આવી રહી છે.

ઉપરાંત દરેક પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. આ રસીકરણ કામગીરી માટે જીલ્લામાં દૈનિક 300 જેટલા વેક્સિન સેશન્સનું આયોજન કરવામાં આવી રહયું છે.આ કામગીરીનો વેગ વધારવા તથા વધુમાં વધુ લોકોને ઝડપથી રસીકરણનો લાભ મળી રહે તે હેતુથી અશક્ત/વૃધ્ધ કે દિવ્યાંગ લોકોને ઘરે જઈને રસી આપવામાં આવી રહી છે.

ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં મજૂરીકામ કરતાં કામદારોને એક પણ દિવસની રજા રાખવી ન પડે તે માટે મોબાઈલ ટીમ બનાવી તેઓની અનુકુળતા મુજબ રસીકરણની કામગીરી કરવામાં આવી રહેલ છે. ગુરુવાર સુધીમાં જિલ્લાના 432 ગામોમાં 100 ટકા સંપૂર્ણ રસીકરણ કરવામાં આવેલ છે. જેમાં સૌથી વધુ જેતપુર તાલુકામાં-47 ગામોમાં સંપૂર્ણ પણે 100 ટકા રસીકરણ કરવામાં આવે છે.

જ્યારે અન્ય તાલુકાઓમાં જામ કંડોરણામાં-46, રાજકોટ માં-83, પડધરીમાં-47, લોધિકામાં-35, કોટડામાં-25, ગોંડલમાં- 45, જસદણમાં- 29, વીંછીયામાં-9, ધોરાજીમાં-28, અને ઉપલેટમાં-38, ગામોમાં 100 ટકા સંપૂર્ણ રસીકરણ કરવામાં આવેલ છે. સમગ્ર જીલ્લામાં 92.28 ટકા કામગીરી થવા પામેલ છે.

તે મુજબ 10,38,930 લોકોએ પ્રથમ ડોઝ અને 4,54, 703 લોકોએ બીજો ડોઝ લીધો છે. જીલ્લામાં કોટડા, લોધિકા, પડધરી અને જામકંડોરણા એમ કૂલ 4 તાલુકામાં પ્રથમ ડોઝનું 100 ટકા સંપૂર્ણ રસીકરણ કરવામાં આવેલ છે.

આ રસીકરણ કરાવનાર જાગૃત નાગરિકોએ પોતાની જાતને સુરક્ષિત કરી પોતાના કુટુંબને પણ સંક્રમણથી બચાવ્યું છે. તે બદલ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. અને રસી અંગેની ખોટી માન્યતાઓ કે અફવાથી ન ભરમાવા અનુરોધ કરાયો છે. આ રસીની આડ અસર નહિવત છે. તેથી તમામ લોકોને આ રસીકરણનો લાભ લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.