Abtak Media Google News

મુખ્યમંત્રીના હસ્તે ટંકારા, સરા, ચુડા બસ સ્ટેશનનું ઈ-ખાતમુહૂર્ત

ટંકારા બસ સ્ટેશનથી પાંચ જિલ્લાનું સીધુ જોડાણ મળશે

મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજયમાં કુલ ૩૩.૬૬ કરોડના ખર્ચે સાકાર થનાર પાંચ નવા બસ મથકોના લોકાર્પણ અને ૧૦ નવા બનનારા બસ મથકોનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.

ટંકારાવાસીઓ માટે ખુશીના સમાચાર મળ્યા છે. બે દાયકાથી બસ સ્ટેન્ડ વિહોણું ટંકારા આજે બે દાયકા બાદ બસ સ્ટેન્ડની સુવિધા મેળવી શકશે. જેમાં સરકાર દ્વારા ‚.૧.૬૬ કરોડના ખર્ચે ટંકારામાં અતિ આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા માટે આજે  ઇ- ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી દ્વારા કરવામાં આવ્યુ હતું.

સરા ખાતે બસ સ્ટેશનના ઇ-ખાતમૂહુર્ત કાર્યક્રમ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા મંત્રી આર.સી. ફળદુએે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે એસ.ટી. બસની સુવિધા છેવાડાના માનવી સુધી ઉપલબ્ધ બનાવી છે. કોરોના કાળમાં પણ એસટી નિગમ દ્વારા અનેક લોકોને પોતાના વતન જવા માટે સુવિધાઓ પુરી પાડવામાં આવી હોવાનું વધુમાં જણાવ્યું હતું. મંત્રી ફળદુએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના માધ્યમથી લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે તેમ જણાવી રાજયમાં આધુનિક સુવિધાયુકત નવા એસ.ટી. બસ સ્ટેશનો ઉભા કરી રહયા છે. તેમણે પ્રજાને એસ.ટી.મુસાફરી દરમિયાન પૂરતી સુવિધાઓ મળે, તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહેલ હોવાનું પણ જણાવ્યું હતું.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા ૨.૩૧ કરોડના ખર્ચે નવનિર્મિત ચુડા બસ સ્ટેશનનું મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરાયું હતું .આ ઈ- લોકાર્પણ કાર્યક્રમમાં ચુડા ખાતે મહિલા અને બાળ કલ્યાણના રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. ઈ- લોકાર્પણ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા રાજય મંત્રીએ જણાવ્યું હતું કે, ચુડાના અદ્યતન બસ સ્ટેશન થકી આ વિસ્તારના લોકોની પરિવહન સુવિધામાં વધારો થશે. રાજ્ય સરકારે દિવ્યાંગો માટે મફત મુસાફરી તેમજ વિદ્યાર્થી પાસ યોજના જેવી અનેક યોજનાઓ અમલી બનાવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજનાના માધ્યમથી રાજ્યોના તળાવો અને ચેકડેમ ઊંડા કરીને પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો કર્યો છે તેમજ કિસાન સૂર્યોદય યોજના દ્વારા હવે ખેડૂતોને દિવસે વીજળી પણ આપવામાં આવશે.

Vijay Rupani1

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસ.ટીમાં ૧૦૦૦ નવી બસ ખરીદ કરીને આગામી જૂન મહિનાથી મુસાફરોની સેવામાં મૂકવામાં આવશે. તેમણે રાજ્યમાં સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય જાહેર પરિવહન સેવા માટે નવી ૫૦ ઇ બસ મૂકવામાં આવશે તેવી ઘોષણા પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યમાં કુલ ૩૩.૬૬ કરોડના ખર્ચે સાકાર થયેલા ૫  નવા બસ મથકોના લોકાર્પણ અને ૧૦ નવા બનનારા બસ મથકોના ખાતમુહૂર્ત સંપન્ન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.