Abtak Media Google News

આવાસની ફાળવણી માટે ટુંક સમયમાં આગળની કાર્યવાહી હાથ ધરાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બી.એસ.યુ.પી. આવાસ યોજનામાં વેઇટિંગમાં રહેલા બી.પી.એલ. હેઠળના ૧૯૧ લાભાર્થીઓને આવાસ ફાળવવાની મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમનઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આજે સંયુક્ત જાહેરાત કરી હતી.

Advertisement

બી.પી.એલ. કાર્ડ ધારક પરિવારોને બી.એસ.યુ.પી આવાસ યોજનામાં આવાસ ફાળવવા માટે તેઓની પાસેથી ૨૦૧૨માં અરજીઓ માંગવામાં આવેલ હતી. ત્યારબાદ જે તે સમયે કોમ્પ્યૂટરાઈઝડ ડ્રો મુજબ લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવેલ હતાં અને એ પૈકી ૧૯૭ લાભાર્થીની પ્રતીક્ષા યાદી બની હતી. જોકે આ ૧૯૭ પૈકી ૬ લાભાર્થીઓએ તેમની ડીપોઝીટની રકમ પરત મેળવવા અરજી કરી હતી, પરિણામે આખરમાં બાકી રહેલા ૧૯૧ લાભાર્થીઓને આવાસ ફાળવવાનો ઉમદા નિર્ણય કરવામાં આવતા લાભાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. આ બીપીએલ પરિવારોને આવાસ ફાળવવા અંગે હાઉસિંગ કમિટી ચેરમેન શ્રી જયાબેન ડાંગર દ્વારા રજૂઆત થઇ હતી. વેઇટિંગ યાદીમાં પાત્રતા ધરવતા કુલ ૧૯૧ લાભાર્થીઓને બી.એસ.યુ.પી. યોજના અંતર્ગત આવાસ ફાળવવાની વહીવટી મંજૂરી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવતા હવે ટૂંક સમયમાં જ બાકીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હાલ મહાપાલિકા દ્વારા વન બેડ, હોલ, કિચનનાં આવાસ માટેનાં ફોર્મનું વિતરણ ચાલી રહ્યું છે ત્યારે બીએસયુપી આવાસ યોજનાનાં વેઈટીંગમાં રહેલા ૧૯૧ કવાર્ટરની બીપીએલ કાર્ડ ધારકોને ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવતા મકાનવિહોણા લોકોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. આગામી દિવસોમાં અલગ-અલગ યોજના અંતર્ગત બનનારા ટુ અને થ્રી બેડનાં આવાસ માટે પણ ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.