Abtak Media Google News

હાપા અને કાલાવડ યાર્ડમાં યોજાયો કાર્યક્રમ

ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત બે પગલાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ થી આ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. જામનગરમાં યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ છ તાલુકાઓને ત્રણ તાલુકાઓના ક્લસ્ટરમાં બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો. જેમાં સવારના સમયે કાલાવાડ એ.પી.એમ.સી અને બપોરના સમયે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ,ગ્રામીણ વિકાસ અને માર્ગ પરિવહન મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને   આ સંપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.

Advertisement

આ કાર્યક્રમમાં કાલાવડમાં, જામજોધપુર, કાલાવડ અને લાલપુર તાલુકાના તેમજ હાપામાં જામનગર, ધ્રોલ અને જોડિયા તાલુકાના ખેડૂતોને આ યોજના અંતર્ગત મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાના ૩૪ લાભાર્થીઓને સ્ટેજ પરથી મંજૂરીપત્રો અને મુખ્યમંત્રીના શુભેચ્છા સંદેશના પત્રો એનાયત કરાયા હતા. જામનગર જિલ્લાના કુલ ૨૦૦ ખેડૂતોને આ યોજના અંતર્ગત મંજૂરીપત્રો એનાયતા કરવામાં આવ્યા છે.

આ યોજના દ્વારા રાજ્ય સરકાર વાવણીથી વેચાણ સુધી દરેક પગલે ખેડૂતોના પડખે ઊભી રહી અને સહકાર માટે ઉભી છે એમ જણાવતાં મંત્રી  આર.સી.ફળદુએ કહ્યું હતું કે, દરેક વર્ગનો સર્વાંગી વિકાસ થાય,  દરેક વર્ગની આવશ્યકતાઓને ધ્યાનમાં લઈને તેમના માટે યોજનાઓ અમલી બનાવી રાજ્ય સરકાર લોકાભિમુખ શાસન વ્યવસ્થા તરફ આગળ વધી રહી છે.

સાથે જ કિસાન પરિવહન યોજના અંતર્ગત ખેડૂતોને ૫૦,૦૦૦થી ૭૫,૦૦૦ જેટલી સબસીડી પરિવહન માટેના વાહનની ખરીદી પર મળશે, જેનાથી ખેતી માટે શહેરમાંથી ખાતર, બીજ વગેરે લાવવું, તદુપરાંત પાકને યાર્ડ ખાતે વેચવા માટે પણ ખેડૂતો આત્મનિર્ભર બનશે. જે ખેડૂતો ફળો-શાકભાજી જેવા ઉત્પાદનોની ખેતી કરે છે તેઓને રોજબરોજ યાર્ડ ખાતે આ જણસો વેચવા જવાનું થતું હોય આ પરિવહન યોજના હેઠળ લાભ મેળવનાર લાભાર્થીઓને આ પાક વેચવા માટે અન્ય પર આધારિત નહીં રહેવું પડે. જામનગર જિલ્લામાં ૩૩૪૫ ખેડૂતોની પાક સંગ્રહ માટેની અરજી અને પરિવહન વાહન માટેની ૧૯૩અરજીઓ મંજૂર થયેલી છે.

તો ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે ખેડૂતોના પ્રશ્નો જેવા કે વીજળી, આંતરમાળખાકીય સુવિધાઓમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ દ્વારા ખેડુતોને મળતા લાભ વિષે માહિતી આપી હતી અને રાજ્ય સરકારના ખેડૂતોને સવારના સમયે વીજળી આપવાના નિર્ણયને વધાવ્યો હતો.

આ કાર્યક્રમમાં કાલાવડ ખાતે એ.પી.એમ.સી કાલાવડના ચેરમેન  યુવરાજસિંહ જાડેજા, કાલાવડ નગરપાલિકા પ્રમુખ અજમલભાઈ ગઢવી, લાલપુર એ.પી.એમ.સી.ના ચેરમેન કરણસિંહ જાડેજા, પુર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ ગાંડુભાઈ ડાંગરિયા, શહેર ભાજપ પ્રમુખ  કશ્યપભાઈ વૈષ્ણવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અફસાના મકવા,  પ્રાંત અધિકારી જામનગર ગ્રામ્ય  તથા હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે અગ્રણી  મુકુંદભાઈ સભાયા, જાડાના પૂર્વ ચેરમેન  દિલિપસિંહ ચુડાસમા, પૂર્વ જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, અગ્રણી પ્રવિણસિંહ ઝાલા, હાપા એ. પી. એમ.સીના વાઇસચેરમેન ધીરુભાઈ કારીયા, કલેકટર  રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપીન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર  રાજેન્દ્ર સરવૈયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કીર્તન પરમાર  ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.