Abtak Media Google News

30471 અરજીઓ અમાન્ય: પ્રથમ રાઉન્ડમાં 54903 વિદ્યાર્થીઓને અને બીજા રાઉન્ડમાં 4963 બાળકોને પ્રવેશ અપાયો

રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષ 82853 જગ્યાઓ પૈકી 52726 જગ્યાઓ પર બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. હજી 30127 જગ્યાઓ ખાલી પડી છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ મંત્રીએ જણાવ્યું હતું.

પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, આરટીઇ એક્ટ-2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24 માં પ્રવેશ મેળવવા માટેની ઉપલબ્ધ 82,853 જગ્યાઓ સામે કુલ 98,650 અરજીઓ મળી છે. જેમાંથી બીજા રાઉન્ડમાં વધુ કુલ 4,966 બાળકો પ્રવેશ મેળવવા પાત્ર બન્યા છે.

આ વર્ષે આર.ટી.ઇ. એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવવાની ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ, આઇ.ટી. રીટર્ન અને એકરાર નામાની શરતોના પરિણામે મર્યાદીત સંખ્યામાં અને ખરા લાભાર્થીઓ જ પ્રવેશ માટે અરજી કરી શક્યા છે.

શૈક્ષણિક વર્ષ 2022-23 મા 2.18 લાખ અરજીઓની સામે આ ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ સાથેના અન્ય ડોક્યુમેન્ટના વિકલ્પ ઉમેરાતા વર્ષ 2023-24 માટે 98,650 અરજીઓ મળી હતી.

વધુમાં આર.ટી.ઇ. હેઠળ બોગસ ડોક્યુમેન્ટ રજુ કરીને પ્રવેશ મેળવેલ 1291 જેટલા એડમીશન રદ્દ કરવામાં આવ્યા છે.

જેમાં આગામી શૈક્ષણિક વર્ષ 2023-24માં 9,863 જેટલી બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદા-જુદા માધ્યમમાં 25 ટકા મુજબ 82, 853 જગ્યાઓ ઉપલબ્ધ હતી. જેની સામે કુલ 98, 650 અરજીઓ મળી છે. તે પૈકી વિધાર્થીઓની પસંદગી અને 6 કિમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં 54,903 જેટલા વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં 48,890 જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવ્યો હતો.

પ્રથમ રાઉન્ડમાં નિયત થયેલ પ્રવેશો પૈકી 1,130 જેટલા બાળકો અગાઉના શૈક્ષણિક વર્ષમાં ધો-1/ધો-2માં અભ્યાસ કરેલ હોય તેમ જ અન્ય કારણોસર નિયમાનુસાર જિલ્લા કક્ષાએથી આરટીઇ  હેઠળ પ્રવેશો રદ કરવામાં આવ્યાં છે. જ્યારે બીજો રાઉન્ડ સોમવારનાં રોજ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વધુ 4,966 જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ આગામી સોમવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા રજૂ કરી પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવાનો રહેશે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

શૈક્ષણિક વર્ષ 2022-23 અંતર્ગત 9958 શાળાઓમાં 25 ટકા લેખે ઉપલબ્ધ 71452 જગ્યાઓ પર 218228 અરજીઓ મળી હતી, તે પૈકી 176445 અરજીઓ જિલ્લા કક્ષાએ માન્ય થઈ હતી અને 41783 અરજીઓ અમાન્ય ઠરી હતી. પ્રવેશ પ્રક્રિયાના 4 રાઉન્ડ બાદ એકદંરે 64395 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. જે માટે વિદ્યાર્થી દીઠ રૂ. 3000 લેખે રૂ. 140.41 કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવી છે. જ્યારે શાળાઓને રૂ. 13675 લેખે ફી પરત ચુકવણી પેટે રૂ. 521.92 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે.

આરટીઇ એક્ટ હેઠળ ઉપલબ્ધ જગ્યાઓ પૈકી બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં 30,127 જેટલી જગ્યાઓ ખાલી રહી છે. જેમાં ગુજરાતી માધ્યમની 14,546, અંગ્રેજી માધ્યમની 12,466, હિન્દી માધ્યમની 2,828 તથા અન્ય માધ્યમની 287 જગ્યાઓનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા 13,299 અરજદારોને શાળાઓની પુન: પસંદગીની તક તા. 23/05/2023 થી તા. 25/05/2023 દરમિયાન આપવામાં આવી હતી. આ સમયગાળામાં એકંદરે કુલ 8, 38 અરજદારોને શાળાઓની પુન: પસંદગી કરી હતી, જ્યારે બાકીના 5,061 અરજદારોએ પ્રથમ રાઉન્ડ પૂર્વે ભરેલ ફોર્મની શાળાઓ યથાવત રાખી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.