Abtak Media Google News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક 5 થી 7 નવેમ્બર દરમિયાન ભૂજ ખાતે યોજાશે. જેમાં આગામી સમયમાં એક લાખ શાખાના લક્ષ્યાંક, સંઘ કાર્યવિસ્તાર સહિતના મુદે ચર્ચાઓ થશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યપ્રણાલી અનુસાર પ્રતિવર્ષ દિવાળી પૂર્વે અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક દેશનાં કોઈ એક સ્થાન પર યોજાતી હોય છે. જેના ભાગરૂપે આ વર્ષે આ બેઠક ગુજરાતના ભુજ ખાતે 5 થી 7 નવેમ્બર એમ ત્રણ દિવસ માટે યોજાશે.

31મીએ સરસંઘચાલક ડો.મોહન ભાગવત ભૂજ આવી પહોંચશે: નવ દિવસનું રોકાણ

આ બેઠકમાં સંઘના કાર્યવિસ્તાર સહિતની બાબતો પર ચિંતન થશે. સરસંઘચાલક ડો.મોહનજી ભાગવતનું 31મી ઓક્ટોબરના રોજ સવારે ટ્રેન મારફતે ભુજ ખાતે આગમન થશે અને 8 નવેમ્બર સુધી કચ્છમાં રહેશે.

આ બેઠકમાં સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત ઉપરાંત મા.સરકાર્યવાહ દત્તાત્રેયજી હોસબલે ઉપરાંત સંઘના પાંચ સહ-સરકાર્યવાહ તેમજ અખિલ ભારતીય કાર્યકારણીના તમામ વિભાગના મુખ્ય કાર્યકર્તાઓ પૂર્ણ સમય ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં વિવિધ પ્રાંત અને ક્ષેત્રના ટીમના સદસ્યો મા.સંઘચાલક, કાર્યવાહ અને પ્રચારક પણ પૂર્ણ સમય ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં કાર્યરત અખિલ ભારતીય સ્તરની જેમની જવાબદારી છે એવા પ્રચારકો પણ આ બેઠકમાં ભાગ લેશે. આમ કુલ મળી અને દેશભરમાંથી લગભગ 400 જેટલા કાર્યકર્તાઓ, કચ્છી લેવા પટેલ સમાજ સરદાર પટેલ વિદ્યા સંકુલ-ભૂજ ખાતે આ ત્રિ-દિવસીય બેઠકમાં ભાગ લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.