Abtak Media Google News

‘શ્રી હરિ સંભારે શ્રી કૃષ્ણ’ વિષય પર સંતો દ્વારા કથામૃતનું રસપાન, મહાઅન્નકૂટ, મહાઆરતી સહિતના આયોજનો 

વિશ્વવંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા જન્માષ્ટમીના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સંતો-ભક્તો સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમોમાં જોડાઈ રહ્યા છે. સવારે શણગાર આરતી બાદ શ્રીકૃષ્ણ ભગવાનની પૂજન-અર્ચન કરવામાં આવી, શ્રીકૃષ્ણ ભગવાનના પદો ગાવામાં આવશે. જન્મોત્સવે રાત્રે મુખ્યસભામાં શ્રીકૃષ્ણ ભગવાન સમક્ષ મહાઅન્નકૂટ રચવામાં આવશે અને મહાઆરતી ઉતારવામાં આવશે.

3 1બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે સવારે ૮:૦૦ થી ૯:૩૦ સુધી યોગીસભાગૃહ ખાતે સંસ્થાના વિદ્વાન સંતોની કથાવાર્તા હરિભક્તોને આધ્યાત્મિક પ્રગતિના સોપાન સર કરાવી રહી છે જેમાં આજે તારીખ ૩-૯-૨૦૧૮, સોમવારથી ૯-૯-૨૦૧૮, રવિવાર સુધી પૂજ્ય નારાયણચરણ સ્વામી જેમણે વર્ષો સુધી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સેવક સંત તરીકે સેવાઓ કરેલી છે તેઓ ‘પ્રમુખ ચરિતમ’ વિષય પર પ્રમુખસ્વામી મહારાજના પ્રસંગોનું રસપાન કરાવશે. આજના દિવસ જન્માષ્ટમીના વિશિષ્ટ દિનની સ્મૃતિ કરતા પૂજ્ય નારાયણચરણ સ્વામીએ જણાવ્યું હતું કે, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ૩૦થી વધુ વખત આ ઉત્સવ અટલાદરા મુકામે કર્યો હતો તેની વિડિઓ સ્મૃતિ કરવામાં આવી હતી. આ દિને સ્વામીશ્રી આશીર્વચન આપતા જણાવતા કે, ભગવાન અને ભગવાનના સાચા સંતના સમાગમે કરીને જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે.

2 1આજે રાત્રે ૮:૦૦ વાગ્યાથી જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવશે જેમાં ‘શ્રી હરિ સંભારે શ્રી કૃષ્ણ’ વિષય પર સંતો કથામૃતનું રસપાન કરાવશે. સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્યગ્રંથ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે સત્સંગનો મહિમા સમજાવવા માટેના ઉધ્ધવજી અને શ્રીકૃષ્ણ, નારદજી અને શ્રીકૃષ્ણ, ગોપી અને શ્રીકૃષ્ણ સાથેના સંવાદ સંભાર્યા છે તેની સ્મૃતિ કરવામાં આવશે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સેવક સંત પૂજ્ય નારાયણચરણ સ્વામી જન્માષ્ટમી પર્વે પ્રમુખસ્વામી મહારાજના પ્રસંગોનું રસપાન કરાવશે. શ્રીકૃષ્ણ જન્મોત્સવે અન્નકૂટ રચવામાં આવશે અને સભાના અંતે મહાઆરતી ઉતારવામાં આવશે.

1 4

આ જન્માષ્ટમી પર્વે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને સંત નિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવી વિશિષ્ટ સભાનો લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.