Abtak Media Google News

ગાંધીનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસો બનાવવાની કામગીરી ખુબ જ ઢીલી ચાલતી હતી ત્યાર બાદ ઉચ્ચકક્ષાએતી આવેલી સુચનાને પગલે આખરે જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસો બનાવવાની કામગીરી તેજ બની છે. ત્યારે જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ મંજુર થયેલા ૧.૯૯૮ પૈકી ૧,૯૪૦ આવાસો બનાવવામાં આવ્યા છે.  જે વિવિધ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારોને મકાનનો લાભ આપવામાં આવે છે. સરકાર દ્વારા ગામતળની અન્ય જગ્યામાં આ આવાસો બનાવીને લાભાર્થીઓને આપવામાં આવે છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પ્રધાનમંત્રી આવાસની કામગીરી મંદગતિએ ચાલતી હતી.

આ બાબતે ઉચ્ચઅધિકારીઓ દ્વારા પણ કામગીરી તેજ કરવા માટે વારંવાર ટકોર કરવામાં આવી છે. જેને લઇને કામગીરી વધુ ઝડપી બની છે. ત્યારે આ બાબતે વિધાનસભામાં આજે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ગ્રામવિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૧૯૯૮ પ્રધાનમંત્રી આવાસો મંજુર થયા છે. જે પૈકી ૧૯૪૦ આવાસો પુર્ણ થઇ ગયા છે. આ આવાસોની કામગીરી પાછળ સરકારને ૨૨.૬૪ કરોડનો ખર્ચો થયો હોવાનું પણ મંત્રીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.