Abtak Media Google News

અમદાવાદમાં એક જ દિવસમાં ૫૦ કેસ નોંધાયા, એકનું મોત : દાહોદ, બોડેલી, આણંદ, સૂરતમાં વધુ કેસ

રાજકોટમાં ૨૨ કોરોના સેમ્પલ નેગેટિવ : જંગલેશ્વર શેરી – ૨૭ ક્લસ્ટર કોરેઇન્ટઇન કરાઈ

ગુજરાતમાં કોરોના કોવિડ ૧૯ ના વાયરસના સંક્રમણના કારણે છેલ્લા કેટલાંક દિવસથી પોઝિટિવ દર્દીઓમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. પરંતુ ગઈ કાલે રાજ્યમાં ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાની ગતિમાં થોડી રોક લાગી હોય તેવું લાગી રહ્યું છે. વધુમાં રાજ્યમાં કોરોનાના એપીસેન્ટર બનેલા અમદાવાદમાં ગઈ કાલે એક પણ પોઝિટિવ કેસ ન નોંધાતા થોડો રાહતનો શ્વાસ અનુભવાયો છે. ગઈ કાલે દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીના સેમ્પલ કરાવતા બન્નેને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેની સાથે રાજ્યમાં કુલ ૧૮૯ પોઝિટિવ કેસ નોંધાયો છે અને ૧૬ લોકોના મોત નિપજ્યાં છે. રાજકોટમાં જંગલેશ્વરના યુવાનને કોરોના પોઝિટિવ આવતા રાજકોટનો પોઝિટિવ આંક ૧૧ સુધી પહોંચ્યો છે. જંગલેશ્વરના યુવાનને કોરોના પોઝિટિવ આવતા વિસ્તારની શેરી નમ્બર ૨૭ ક્લસ્ટર કોરેન્ટાઇન કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં ગઈ કાલે વધુ ૧૦ કેસ પોઝિટિવ આવ્યા હતા. સુરત માં બે મળી કાલે દાહોદ જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. દાહોદમાં અને બોડેલીમાં ગઈ કાલે એક-એક બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં ગઈ કાલે વધુ ૧૦ કેસ પોઝિટિવ નોંધાતા આંકડો ૧૮૯ સુધી પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી ૨૫ પોઝિટિવ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અને ૧૬ દર્દીઓના કોરોના વાયરસના કારણે મોત પણ નિપજ્યા છે.

રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં ૮૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. પરંતુ ગઈ કાલે કોરોના એપિસેન્ટર તરીકે નોંધાયેલા અમદાવાદ શહેરમાં એક પણ પોઝિટિવ કેસ ન નોંધાતા રાહત અનુભવાઈ રહી છે. જ્યારે અમદાવાદ ગ્રામીણ વિસ્તારમાં નોંધાયેલો સૌપ્રથમ પોઝિટિવ દર્દીની હાલતમાં સુધારો જણાવતા તેના સેમ્પલ ટેસ્ટ કરાવતા નેગેટિવ આવ્યો હતો. અત્યાર સુધી રાજ્યમાં ૨૫ પોઝિટિવ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી જિંદગીની જંગ જીત્યા છે.

રાજકોટમાં સતત સાત દિવસ સુધી કોરોનાના એક પણ પોઝિટિવ કેસ ન નોંધાયા બાદ મંગળવારે જંગલેશ્વરના ૪૧ વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ ૧૧ પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયા છે. જ્યારે ગઈ કાલે વધુ ૧૪ લોકોમાં કોરોનાના લક્ષણ દેખાતા તેમને આઇસોલેટ કરી સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે ગઈ કાલે લેબોરેટરી માં કરાયેલા ૨૨ પરિક્ષણ કરાવતા તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. પરંતુ જંગલેશ્વર શેરી નમ્બર ૨૭ માં રહેતા યુવાનને રિપોર્ટ પોઝિટિવ આવતા શેરીને ક્લસ્ટર કોરેન્ટાઇન કરવામાં આવી છે.  તેના પરિવારના ૫ સભ્યોને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે શેરીમાં રહેતા ૭૭ પરિવારના ૩૩૩ સભ્યોને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જયારે આજરોજ રાજકોટ શહેરમાં કુલ ૬૮ લોકોના સેમ્પલ મેળવી લેબ ખાતે રિપોર્ટ કરાવવા મોકલવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરના ૬૫, ગ્રામ્યના ૨ અને ૧ સેમ્પલ અન્ય જિલ્લાનું મેળવવામાં આવ્યું છે. ૬૮ વ્યક્તિઓમાંથી ૩૭ પુરુષો અને ૩૧ મહિલાઓ હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતના દાહોદમાં જિલ્લામાં કોરોનાનો સૌપ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં ૧૮ જિલ્લામાં કોરોનાનો કહેર પ્રસરી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં ૮૩, સુરતમાં ૨૪, વડોદરામાં ૧૮, રાજકોટમાં ૧૧, ભાવનવરમાં ૧૮, ગાંધીનગરમાં ૧૩, મહેસાણામાં ૦૨, પાટણમાં ૦૫, પોરબંદરમાં ૦૩, કચ્છમાં ૦૨, છોટા ઉદયપુરમાં ૦૨, ગીર સોમનાથમાં ૦૨, જામનગરમાં ૦૧, મોરબીમાં ૦૧, સાબરકાંઠામાં ૦૧, પંચમહાલમાં ૦૧, આણંદમાં ૦૧ અને દાહોદમાં ૦૧ કેસ સાથે કુલ ૧૮૯ પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. અને ૧૬ દર્દીઓને કોરોના ભરખી ગયો છે.

ખાનગી લેબમાં કોરોનાના ટેસ્ટ વિના મૂલ્યે કરવા સુપ્રિમનો હુકમ

કોરોનાની મહામારી વચ્ચે સુપ્રિમ કોર્ટ દ્વારા એક મહત્વની સુનાવણી કરવામાં આવી છે. જેમાં જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટની બેચ માં લેવામાં આવેલ નિર્ણયના પગલે દેશમાં એન.બી.એલ, ડબ્લ્યૂ. એચ.ઓ. અને આઈ.સી.એમ.આર. દ્વારા જ સ્થાપિત લેબોરેટરીમાં જે કોરોનાના રિપોર્ટ કરવામાં આવે અને ખાનગી લેબોરેટરીમાં પણ કોરોનાના રિપોર્ટ કરવા અંગે કોઈ ચાર્જ ન વસૂલવા નું જણાવ્યું હતું. દેશભરમાં કોરોનાના રિપોર્ટ કરવા માટે હાલ કુલ ૧૧૮ લેબોરેટરી કાર્યરત છે  જેમાં રોજના ૧૫ હજારથી પણ વધુ લોકોના સેમ્પલનું પરિક્ષરણ કરવામાં આવે છે. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા ખાનગી લેબમાં પણ કોરોનાના રિપોર્ટ વિના મૂલ્યે કરવાનું સૂચવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.