Abtak Media Google News

રાજકોટનાં પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીએ રાજ્યની કમાન સંભાળી છે ત્યારથી લઈ આજ સુધી પંચાયતથી લઈ પાર્લામેન્ટની નાની-મોટી ચૂંટણીઓમાં મતદારો માત્રને માત્ર ભાજપનાં ઉમેદવારોને વિજયી બનાવી રહ્યા છે જે પાછળ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કુશળ કામગીરી અને સંગઠન શક્તિ જવાબદાર છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં લોકકલ્યાણકારી કાર્યોને કારણે મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત હતો એવુ ભાજપ અગ્રણી પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે, છેલ્લા કેટલાંક મહિનાઓ અને વર્ષોમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારે કરેલી કામગીરીને પ્રચાર માધ્યમો દ્વારા મતદારો સુધી લઈ જવામાં અમે સફળ રહ્યા છીએ. ગત વિધાનસભાની પેટા ચૂંટણીની જેમ  રાજકોટ મહાનગપાલિકા ચૂંટણીમાં ભાજપની જીતનાં મેન ઓફ ધી મેચ મુખ્યમંત્રી રૂપાણી છે એવું કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નહીં લાગે. તમામ મહાનગપાલિકાઓમાં મતદારોએ વિકાસને ચૂંટી કમળ ખીલવ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં છએ છ મહાનગપાલિકાની ચૂંટણીમાં ભાજપ જીતશે એવો રાજુભાઈ ધ્રુવનો વિશ્વાસ વાસ્તવિક બન્યો છે. રાજ્યના લોકો સ્વીકારે છે કે વિજયભાઈની કાર્યનિષ્ઠા, પ્રજાવત્સલતા, સજ્જનતા અને મક્કમ મનોબળ અને યોગ્ય દિશાના સમયબદ્ધ નિર્ણયોને કારણે આજે કોરોનાકાળમાં પણ ગુજરાતનો વિકાસ વણથંભ્યો રહ્યો છે.

છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જીત મેળવવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, પક્ષનાં ઉમેદવારો સહિત ભાજપનાં તમામ શ્રેણીનાં અગ્રણીઓ અને કાર્યકર્તા બંધુઓને રાજુભાઈ ધ્રુવે અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.