Abtak Media Google News

રેમડેસીવીર ઈંજેકશન અંગેની માહિતી પૂરી પાડવાની સાથો સાથ દર્દીને હોસ્પિટલમાં એડમીટ કરવા સહિતની મદદ અપાઈ: ઘણાને સાંત્વના તો ઘણાને સચોટ માહિતી આપી પ્રશ્ર્નનું નિરાકરણ કરાયું 

કોરોનાના કપરા કાળમાં લોકોનો સંદેશો પ્રજા સુધી બરાબર રીતે પહોંચતો ન હોય તેમજ ઘણી વખત ગેરસમજણ ઉભી થતી હોય. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત તંત્રના હેલ્પલાઈન નંબર ઉપર ભારણ વધારે હોય આ હેલ્પલાઈન સુધી ફિલ્ડની વાસ્તવિકતા પહોંચતી ન હોય ત્યારે આવા સમયે ‘અબતક’એ આગળ આવી પ્રજા અને તંત્ર વચ્ચેની મહત્વપૂર્ણ કડી બની જનસેવાના સુત્રને સાર્થક કર્યું છે. ‘અબતક’ દ્વારા કોરોનાની મહામારીમાં બેડની વ્યવસ્થા કે અન્ય અવ્યવસ્થાને લઈને જે કોઈ લોકોને હાલાકી હોય તેઓના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા હેલ્પલાઈન શરૂ કરવાનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે. આ હેલ્પલાઈન શરૂ થયાના પ્રથમ દિવસે જ સવા સો જેટલા પ્રશ્ર્નોનો મારો ચાલ્યો હતો. ‘અબતક’એ 80 ટકા જેટલા પ્રશ્ર્નો હલ કરાવ્યા હતા. આ માટે ‘અબતક’ની ટીમે સતત ફિલ્ડ ઉપર દોડધામ પણ કરી હતી.

કોરોનાની મહામારીમાં તંત્ર દ્વારા દર્દીઓ માટે બનતી તમામ વ્યવસ્થાઓ ગોઠવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમ છતાં મહામારીનું સ્વરૂપ ખુબ ભયાનક હોય તંત્રની તૈયારીઓ ઘણી વખત અસમર્થ સાબીત થઈ રહી છે. ઉપરાંત દર્દીની સંખ્યા પણ ઓચિંતી વધી હોય બેડની વ્યવસ્થાને લઈને લોકોમાં ભારે દેકારો મચી ગયો છે. આ દરમિયાન જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પણ બેડની પરિસ્થિતિ જાણવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. ‘અબતક’ દ્વારા આ હેલ્પલાઈન નંબરને જનજન સુધી પહોંચાડવાનું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોરોનાને લઈને કોઈપણ વ્યક્તિને કંઈ પણ સમસ્યા હોય તેનું નિરાકરણ લાવવાના પ્રયાસના ભાગરૂપે તેમજ તેમના પ્રશ્ર્નોને વાચા આપવાના ભાગરૂપે ‘અબતક’ દ્વારા પોતાની હેલ્પલાઈન જાહેર કરવામાં આવી હતી. જેમના મોબાઈલ નં.70482 30007 રાખવામાં આવ્યા હતા. આ હેલ્પલાઈન શરૂ થયાના 2 થી 3 કલાકમાં જ પ્રશ્ર્નોની ભરમાર થઈ ગઈ હતી. આ હેલ્પલાઈન નંબર અતિ વ્યસ્ત થતાં ‘અબતક’ દ્વારા બીજી હેલ્પલાઈન શરૂ કરી દેવામાં આવી હતી. જેનો નંબર 70481 30001 રાખવામાં આવ્યો છે. એક જ દિવસમાં આ હેલ્પલાઈન નંબર ઉપર સવા સો જેટલા પ્રશ્ર્નોની ભરમાર ચાલી હતી. ‘અબતક’ની ટીમે સતત ફિલ્ડમાં દોડધામ કરીને લોકોના પ્રશ્ર્ન હલ કરવાના પ્રયાસો કર્યા હતા. 80 ટકા જેટલા પ્રશ્ર્નો હલ થઈ ગયા હતા. ઘણાને રેમડેસીવીર ઈંજેકશનનો જથ્થો ન મળતો હોવાની ફરિયાદ હતી. તેમને ક્યાં જથ્થો ઉપલબ્ધ છે તેની પુરતી માહિતી આપી સતત સંપર્કમાં રહીને જરૂરિયાત પ્રમાણેના ઈંજેકશન અપાવવામાં આવ્યા હતા. ઉપરાંત ઘણાને હોસ્પિટલમાં જગ્યા ખાલી ન હોય જ્યાં જગ્યા ખાલી હોય ત્યાં એડમીટ કરાવવાની વ્યવસ્થા પણ કરાઈ હતી. આમ ‘અબતક’ ખરા અર્થમાં કોરોના વેક્સિન સાબીત થયું છે.

36 કલાકથી મૃતદેહ માટે રઝળતા પરિવારની વ્હારે ‘અબતક’

Vlcsnap 2021 04 09 08H47M27S170

કોરોનાના કપરી પરિસ્થતિમાં જયારે દર્દીઓની સાથે તેમના સંબધીઓ પણ ભારે મુશ્કેલીના સામનો કરી રહ્યા છે ત્યારે ‘અબતક’ દ્વારા તેમનાં દુખમાં ભાગીદારી થવા માટે હેલ્પ લાઇન નંબર શરૂ કર્યો હતો. જેમાં ગત સાંજના સમયે ‘અબતક’ હેલ્પલાઇન નંબર પર ડાયાભાઇ ચનાભાઇ કારઠાનો ફોન આવ્યો હતો જેમા તેઓએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતુ કે તેમના મોટાબા વજીબેન ભોલાભાઇ નું 8મી એપ્રીલ રોજ કોરોનાની સારવાર દરમિયાન મોત થયુ હતુ. ત્યાર બાદ 36 કલાક વીતી ગયા છતા મૃતદેહ સોપવામાં આવ્યો ન હતો. આ બાબતની જાણ થતા જ ‘અબતક’ની ટીમ તુરત સિવિલ હોસ્પિટલ પહોચીને પરિવારની સાથે રહીને મદદે આવી હતી ‘અબતક’ની ટીમ દ્વારા પહેલ કયા બાદ ટોપરા પરિવારને તેમના મોટાબાની મૃતદેહ 30 મીનીટમાં જ સોપવામાં આવ્યો હતો. આ તકે ટોપટા પરિવારનાં સભ્યોએ ‘અબતક’ નો દુ:ખદ ઘડીમાં સહભાગી થવા માટે આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.