Abtak Media Google News

કોરોના કટોકટીમાં આભ ફાટ્યું હોય ત્યાં થીંગડુ ક્યાં દેવા જેવી પરિસ્થિતિમાં સંક્રમણનું પ્રમાણ જેમ-જેમ વધતું જાય છે તેમ વ્યવસ્થાની મર્યાદા અને લોકોની ધીરજનું માપ નિકળી રહ્યું છે. તેવા સંજોગોમાં હવે તંત્ર પર નિર્ભર રહેવાના બદલે સામાજીક શ્રેષ્ઠીજનો અને સમાજ સેવાના ઉત્તરદાયિત્વ સાથે જોડાઈને જેનું સેવા માટે જ અસ્તિત્વ ઉભુ થયું છે તેવી સામાજીક સંસ્થાઓએ આગળ આવવાનો સમય પાકી ગયો છે. કોરોનાની મહામારીમાંથી ઉગરવા હાલ ભારે ચીવટપૂર્વક કામગીરી અને દરેક પોતાની જવાબદારી મુજબ કામ કરી રહ્યાં છે ત્યારે કોરોનાના કાળા કહેરને કાબુમાં લેવો એકલા તંત્રના હાથમાં રહ્યું નથી. સામાજીક સંસ્થા, એનજીઓ અને રાજકીય પક્ષોએ પણ મેદાનમાં ઉતરવું જરૂરી બન્યું છે. સુરક્ષા અને સાર્વજનિક આરોગ્યની સલામતી માટે દરેકે પોતાની જવાબદારી નિભાવવાના આ સમયમાં હવે કોરોનાને કાબુમાં લેવા તંત્રના હાથ હેઠા પડી રહ્યાં હોય તેવી સ્થિતિમાં કોરોના વાયરસની બીજી લહેરમાં ગુજરાતભરમાં ચારેકોર ગંભીર સ્થિતિ ઉપજી રહી છે. વાયરસને નાથવાની આ વૈશ્ર્વિક લડાઈમાં માત્રને માત્ર તંત્ર અને સરકારી વ્યવસ્થાપન પર નિર્ભર રહેવાના બદલે હવે સૌરાષ્ટ્ર અને ગુજરાતની સેવાભાવી બિન રાજકીય સંસ્થાઓ કે જેનો જન્મ જ સેવાના ઉત્તરદાયિત્વ માટે બની છે આવી સંસ્થા અને શ્રેષ્ઠીજનો પોતાની ભાગે આવતી ફરજને તાંત્રીક ધોરણે નહીં પરંતુ જીવનરૂપે પરિણામદાયી કાર્યવાહી કરીને પોતાનો સેવાનો ધર્મ બજાવવાનો અભિગમ ધરાવે છે. હવે તંત્રના વ્યવસ્થાપનમાં કે જ્યાં ઓક્સિઝનના બાટલા દર્દીઓ માટેની પથારી, વેન્ટિલેટર મશીનથી લઈ ઈંજેકશનો સુધીની જરૂરી ચીજવસ્તુઓમાં વ્યાપક માંગના કારણે અછત ઉભી થવાની નોબત આવી છે તેવા સંજોગોમાં હવે સામાજીક સંસ્થાઓ અને શ્રેષ્ઠીજનોના સહીયારા પુરૂષાર્થથી કોરોનાનો આ જંગ જીતવો આવશ્યક બની રહ્યો છે. સૌના સાથ અને સહિયારા પુરૂષાર્થથી જ આ કોરોનાનો દૈત્ય કાબુમાં આવશે. કોરોનાની વૈશ્ર્વિક મહામારીમાંથી  બહાર નિકળવા માટે સમગ્ર વિશ્ર્વમાં મથામણ ચાલી રહી છે. ડોકટરો, વૈજ્ઞાનિકો, આંતરરાષ્ટ્રીય સંગઠનો સતત કાર્યરત બની ગયા છે. કોરોનાને એક વર્ષ કરતા સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં વાયરસની તિવ્રતા હજુ કાબુમાં આવે તેવું દેખાતું નથી. દરેક લોકોને એક વાત મુંજવી રહી છે કે, આ મહામારીમાંથી ક્યારે છુટકારો થશે. કોરોનાનો આ વાયરસ લાંબા સમય સુધી માનવ સમાજનો પીછો છોડે તેમ નથી તેવી અગમચેતીમાં હવે સારા સમાચાર આવી રહ્યાં છે. વૈજ્ઞાનિકોએ કરેલા સર્વેક્ષણમાં કોરોના હવે ટૂંક સમયમાં કાબુમાં આવી જાય તેવો આશાવાદ ઉભો થયો છે ત્યારે સરકારી તંત્ર પર નિર્ભર રહેવાના બદલે સામાજીક સંસ્થાઓના સહકારથી કોરોના સામે હવે સામૂહિક ધોરણે આરપારની લડાઈ લડી લેવી જોઈએ. સરકારી તંત્રની મર્યાદાને નબળાઈ ન બનવા દઈને સામાજીક સહિયારા પુરૂષાર્થની શક્તિને કામે લગાડવામાં આવશે તો કોરોનાની આ મહામારી અવશ્યકપણે કાબુમાં આવશે તેમાં બે મત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.