Abtak Media Google News

દેશમાં કોરોના વાઈરસના સંક્રમણની બીજી લહેર કાબુમાં કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લોકડાઉન અંગે વિચાર કરવાનું સૂચન કર્યું છે. દેશની હોસ્પિટલોમાં બેડ, આઈસીયુ, ઓક્સિજન, જરૂરી દવાઓ વગેરેની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓમોટો કરીને સુનાવણી શરૂ કરી છે. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કોરોના સંક્રમણ કાબુમાં રાખવા કેન્દ્ર અને રાજ્ય સરકારોને લોકડાઉનનો વિચાર કરવાની પણ ભલામણ કરી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો કે, હાલની સ્થિતિમાં રાજ્ય સરકારોએ ઓક્સિજન પહોંચાડવા આગામી ચાર દિવસમાં રોજેરોજનો ઈમર્જન્સી સ્ટોક તૈયાર કરવો. દેશમાં વધતા સંક્રમણનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય

સરકારોને વર્તમાન લહેર કાબુમાં રાખવાની યોજના બનાવવાનું પણ સૂચન કર્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લોકડાઉનની સામાજિક-આર્થિક અસરોની નબળા વર્ગ પર શું અસર થશે, તેનાથી અમે વાકેફ છીએ. આમ છતાં, લોકડાઉન કરવું પડે, તો આ વર્ગની તમામ જરૂરિયાતો પૂરી કરવા યુદ્ધ સ્તરે તૈયારી કરો. બીજી બાજુ ટાસ્ક ફોર્સે પણ કેન્દ્ર સરકારને ભલામણ કરતાં કહ્યું છે કે, 15 દિવસનું લોકડાઉન સમગ્ર દેશમાં અમલી બનાવવામાં આવે ત્યારે આજના દિવસમાં કેન્દ્ર સરકાર લોકડાઉન અંગે નિર્ણય લે તેવી સંભાવના છે. જ્યારે સમગ્ર ભારતમાં કોરોના સંક્રમણ વકર્યું છે ત્યારે હવે ગુજરાત રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ ક્યાંક કાબુમાં આવતી નજરે પડી રહી છે, રિકવરી રેટમાં ભારે વધારો પણ નોંધાયો છે. ત્યારે શું લોકડાઉનમાંથી ગુજરાતને બાકાત રાખવામાં આવશે કે કેમ તેવો સવાલ પણ ઉદ્ભવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.