Abtak Media Google News

મોબાઇલ અને ઇન્ટરનેટનો વપરાશ વધતા સાયબર ક્રાઇમના ગુનાઓનું પ્રમાણ વધતા ગુજરાત પોલીસને સુસજજઅને ટેકનોલોજીને અપગ્રેડ કરવાની સાથે રાજયના વધુ 10 સાયબર પોલીસ મથક કાર્યરત કરવામાં આવ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડીજીટલ ભારતના નિર્માણના સપનાને સાકાર કરવા ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે. ગુજરાત પોલીસને સ્માર્ટ, શાર્પ અને ટેકનોલોજીથી સજ્જ બનાવીને લોકોને સાયબર ક્રાઇમથી સુરક્ષિત કરવાના નિર્ધાર સાથે આગળ વધી રહ્યાં છીએ ત્યારે ગુજરાત દેશને રાહ ચિંધશે તેવો મને દ્દઢ વિશ્વાસ વ્યકત કર્યો છે.

સાયબર ક્રાઇમના ગુનાઓનું ટેકનોલોજીની મદદથી નિયંત્રણ થશે: ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

રાજયના નાગરીકોને સાયબર સુરક્ષા મળે તે માટે સરકાર કટીબઘ્ધ: ગૃહ સચિવ પંકજકુમાર

આજે રાજયમાં કાર્યરત થનારા નવા 10 સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ગાંધીનગર ખાતેની વર્ચ્યુઅલી પ્રારંભ કરાવતાં પ્રદિપસીંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પરંપરાગત વ્યવસ્થાઓથી બહાર આવીને અદ્યતન ટેકનોલોજી સાથે કાયદો વ્યવસ્થા વધુ સુદ્દઢ બને તે માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, નેશનલ લો યુનિવર્સીટી જેવા નવા આયામોનું ગુજરાતમાં નિર્માણ કર્યુ છે જેને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગળ વધારીને નાગરિકોને સાયબર ક્રાઇમ સામે રક્ષણ આપવા મક્કમ નિર્ધાર કરીને જે આયોજન કર્યું તેના પરિણામે આજે ગુજરાત પોલીસ વધુ સુસજ્જ બની છે અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્દઢ બની છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુનેગારો આજે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ક્રાઇમ કરતા થયા છે તે સામે નાગરિકોને સુરક્ષા પુરી પાડવા માટે રાજય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે. સાયબર ક્રાઇમના ગુનાઓનું ટેકનોલોજી દ્વારા નિયંત્રણ થાય તે માટે ગુજરાત પોલીસને વધુને વધુ સજ્જ કરવામાં આવી રહી છે. સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ સાયબર ઇન્સીડન્ટ રિસ્પોન્સ યુનિટ, એન્ટી સાયબર બુલીંગ યુનિટ, સાયબર ક્રાઇમ પ્રીવેન્શન યુનિટ, સાયબર સુરક્ષા લેબ એમ 4 સેવાઓનો સીધો લાભ રાજયના નાગરિકોને મળ્યો છે.

સાયબર ક્રાઇમને સંબંધિત ગુનાઓને રોકવા અને આવા ગુનાઓને ઉકેલવા માટે રાજય કક્ષાએ સી.આઇ.ડી. ક્રાઇમની કચેરીમાં કાર્યરત સ્ટેટ સાયબર સેલ હસ્તક1 સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. જયારે સાયબર ક્રાઇમને અટકાવવા અને સાયબર ક્રાઇમ તંત્રને વધુ અદ્યતન તથા સુસજ્જ કરવા માટે રાજયના 4 શહેરો એટલે કે કમિશ્નરેટ વિસ્તાર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં પણ અત્યાધુનિક સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે. ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, બોર્ડર રેન્જ, સુરત, વડોદરા, પંચમહાલ- ગોધરા, અમદાવાદ અને જુનાગઢ ખાતે પણ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરી દેવાયા છે મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગ્રૃતિ અને ડીટેકશન માટે સક્ષમ પ્રયાસો કરી નાગરિકોને સહાયરૂપ થવા પોલીસ તંત્રને તેમણે આહવાન કરતાં કહ્યું કે, આજે રાજયના આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, ક્ચ્છ-પૂર્વ ( ગાંધીધામ ) અને બનાસકાંઠા એમ કુલ 10 જિલ્લાઓમાં પણ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી આ વિસ્તારના નાગરિકોને સાયબર ક્રાઇમ સંદર્ભે વધુ સુરક્ષા મળશે તેમજ સાયબર ક્રાઇમના ગુનાઓ નોંધાવવા તથા માર્ગદર્શનની સુવિધાઓ પણ ઉપલબ્ધ બનશે તેમ જણાવ્યું છે.

રાજયમાં સીસીટીવીનું નેટવર્ક ગોઠવવા માટે વિશ્વાસ પ્રોજેક્ટ કાર્યરત છે. જેના પરિણામે ગુનાઓની તપાસમાં ઝડપ આવી છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના કામો પૂર્ણતાના આરે છે. આગામી સમયમાં સમગ્ર ગુજરાતને આવરી લેવાશે. ગુજરાત પોલીસને સજ્જ કરવા અને ટેકનોલોજીના અપગ્રેડેશન માટે પણ નક્કર આયોજન કરાયું છે.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું હતું કે, સાઇબર ક્રાઇમ મેનેજમેન્ટમાં મીડિયાનો રોલ મહત્વનો છે. કેવી રીતે સાયબર ક્રાઇમના ગુનાઓ આચરવામાં આવે છે તેની સામે નાગરિકોએ કેવી સાવચેતી રાખવી જોઇએ તે સંદર્ભે જનજાગ્રૃતિ ફેલાવવામાં મીડિયાની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. વર્ષ 2019માં દેશમાં નોંધાયેલા કુલ સાયબર ગુનાઓમાં ગુજરાતના માત્ર 1.1 ટકા છે. દિન પ્રતિદિન ઇન્ટરનેટ અને મોબાઇલના વપરાશકારો વધી રહ્યાં છે ત્યારે રાજયના નાગરિકોને સાયબર સુરક્ષા મળે તે માટે સરકાર કટિબધ્ધ છે.

ઠગાઇના ગુનામાંં ગયેલા 13.22 કરોડ નાગરિકોને પરત અપાવી

રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાએ જણાવ્યું કે, સાયબર ક્રાઇમ આચરનારા વ્યક્તિઓ ખૂબ જ આધુનિક ટેકનીકની મદદથી અને મોડેસ ઓપરેન્ડીથી નાણાંકીય છેતરપીડી, હેકીંગ, સાયબર બુલીંગ, ટેલીફીસીંગ, સેક્સટોર્શન તેમજ રેન્ડસમવેર જેવી આધુનિક તકનીકનો ઉપયોગ કરી ગુના આચરી રહ્યાં છે. તેને નાથવા માટે ગુજરાત પોલીસ સજ્જ છે. સીઆઇડી ક્રાઇમ સાયબર સેલની હેલ્પલાઇન તથા આશ્વસ્ત પ્રોજેકટ થકી ફાયનાન્સીયલ ફોડમાં ગયેલ 13.22 કરોડ જેટલી રકમ નાગરિકોને પરત કરાવવામાં આવી છે અને 21.12 કરોડ જેટલી રકમ ફીઝ કરવામાં આવી છે. ઉપરાંત સાયબર બુલીંગનો ભોગ બન્યા હોય તેવા હજારો નાગરિકોનું કાઉન્સેલીંગ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.