Abtak Media Google News

અબતક,ભૂજ

વીમા કંપનીએ ડ્રાઈવર / કંડકટરનું રીસ્ક કવર કરવા માટે વધારાનું પ્રીમીયમ વસુલ કરેલ હોય તેવા કેસમાં અકસ્માત ડ્રાઈવરની બેદરકારીના કારણે થયેલ હોય તો પણ, વળતરની સંપૂર્ણ રકમ ચુકવવા વીમા કંપની જવાબદાર છે.  તેમજ સબેરાબીબી ખીસામીયા ઉમરમિયા વગેરે વાળા કેસમાં ડીવીઝન બેન્ચે જે સિધ્ધાંત પ્રસ્થાપિત કરેલ છે તે યોગ્ય છે એવો મહત્વનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ  જસ્ટીસ વિક્રમનાથ,  જસ્ટીસ આર. એમ. છાયા તથા મિ. જસ્ટીસ બી. એન. કારીઆની ફુલ બેન્ચે આપ્યો છે.

આ કેસની હકિકતો એવી છે કે, તા.ર4/03/ર003ના રોજ, કંડલા ડોક લેબર બોર્ડની એમ્બ્યુલન્સ દર્દીને લઈને સારવાર માટે ગાંધીધામથી અમદાવાદ તરફ જતી હતી. એમ્બ્યુલન્સના ચાલકની બેદરકારીના કારણે અકસ્માત થતાં, એમ્બ્યુલન્સ ચાલકનું મૃત્યુ થયું હતું. તેમના વારસોએ

વળતરના રૂપીયા ત્રીસ લાખ મળવા માટે, મોટર એકિસડન્ટસ્ કલેઈમ્સ ટ્રીબ્યુનલ, ગાંધીધામ સમક્ષ વળતરની અરજી કરી હતી. તે કેસમાં અકસ્માત એમ્બ્યુલન્સ ચાલકની બેદરકારીના કારણે થયેલ હોઈ, કલેઈમન્ટસ્ કલમ 166 હેઠળ સંપૂર્ણ વળતર મેળવવા હક્કદાર નથી. કલેઈમન્ટસ્ કામદાર વળતર ધારા હેઠળ મર્યાદિત વળતર મેળવવા હક્કદાર છે તેવી તકરાર લેવામાં આવી હતી. કલેઈમન્ટસ્ વતીથી દલીલ કરવામા આવેલ કે વીમા કંપનીએ ડ્રાઈવરનું રીસ્ક કવર કરવા માટે વધારાનું પ્રીમીયમ વસુલ કરેલ છે. તેથી કંપની કલમ 166 હેઠળ સંપૂર્ણ વળતર ચુકવવા જવાબદાર છે. બન્ને પક્ષોની દલીલો સંપન્ન થઈ ગયા બાદ, વીમા કંપનીએ કલેઈમન્ટસ્ની ગેરહાજરીમાં ગુજરાત હાઈકોર્ટનો એક ચુકાદો રજુ કર્યો હતો. જે લક્ષમાં રાખીને ટ્રીબ્યુનલે વળતરની અરજી રદ કરી હતી.

કલેઈમેન્ટસે્ તેમના એડવોકેટસ્  હેમલ શાહ,  શંકરભાઈ સચદે,  ઉર્મિશ સચદે તથા  હિરેન સચદે મારફતે કરેલ અપીલમાં એવી રજૂઆત કરી હતી કે, તેમની ગેરહાજરીમાં રજુ કરવામાં આવેલ ચુકાદામાં એસ.ટી. ડ્રાઈવરની બેદરકારીને કારણે અકસ્માત થયેલ હોઈ, તેમજ એસ.ટી. તરફથી વીમા કવચ લેવામાં આવતુ ન હોવાથી કલમ 166 હેઠળની અરજી રદ કરવામાં આવી હતી. હાઈકોર્ટની ડીવીઝન બેન્ચ સમક્ષ વીમા કંપનીએ ગુજરાત હાઈકોર્ટની સીંગલ બેન્ચનો તથા અન્ય હાઈકોર્ટનો ચુકાદો ટાંકીને અપીલ રદ કરવા દલીલ કરી હતી.

જેની સામે કલેઈમેન્ટસ્ તરફથી ગુજરાત હાઈકોર્ટના ડીવીઝન બેન્ચના તથા સીંગલ બેન્ચના ચુકાદા ટાંકી, અપીલ મંજુર કરવા દલીલો કરવામાં આવી હતી. ડીવીઝન બેન્ચે, સબેરાબીબી ઉમરમીયા  વાળા કેસમાં જે કેસોમાં વધારાનું પ્રિમીયમ વસુલ કરીને ડ્રાઈવર / કંડકટરનું રીસ્ક કવર કરવામાં આવેલ હોય તેવા કેસોમાં ડ્રાઈવરની પોતાની બેદરકારીના કારણે અકસ્માત થએલ હોય તેવા કેસમાં પણ વીમા કંપની વળતર ચુકવવા જવાબદાર છે તે મતલબે સ્થાપિત કરવામાં આવેલ કાયદાનો સિધ્ધાંત યોગ્ય છે કે કેમ? તે નકકી કરી આપવા માટે કેસ લાર્જર બેન્ચને રીફર કરવા માટે ચુકાદો આપતાં, તે કાયદાકીય મુદ્દો લાર્જર બેન્ચને રીફર કરવામાં આવ્યો હતો.

લાર્જર બેન્ચે કલેઈમન્ટસ્ તથા વીમા કંપની તરફથી કરવામાં આવેલ મૌખિક દલીલો, વિસ્તૃત લેખિત દલીલો તથા રજુ કરવામાં આવેલ જુદાં જુદા ચુકાદાઓ લક્ષમાં રાખીને તથા મોટર વ્હીકલસ્ એકટની જોગવાઈઓ અંગે વિસ્તૃત છણાવટ કરીને તેવું ઠરાવી આપેલ છે કે, વીમા કંપનીએ ડ્રાઈવર / કંડકટરનું રીસ્ક કવર કરવા માટે વધારાનું પ્રીમીયમ વસુલ કરેલ હોય તેવા કેસમાં અકસ્માત ડ્રાઈવરની બેદરકારીના કારણે થયેલ હોય તો પણ, વળતરની સંપૂર્ણ રકમ ચુકવવા વીમા કંપની જવાબદાર છે. તેમજ સબેરાબીબી ખીસામીયા ઉમરમિયા વગેરે વાળા કેસમાં ડીવીઝન બેન્ચે જે સિધ્ધાંત પ્રસ્થાપિત કરેલ છે તે યોગ્ય છે.

લાર્જર બેન્ચ સમક્ષ કલેઈમન્ટસ્ વતી સીનીઅર એડવોકેટ  એમ. ટી.એમ હકીમે વિસ્તૃત લેખિત દલીલો / મૌખિક દલીલો રજુ કરી હતી. તેમની સાથે અમદાવાદના એડવોકેટ   હેમલ શાહ હાજર રહયા હતા. કચ્છના ધારાશાસ્ત્રી  શંકરભાઈ સચદે, ઉર્મિશ સચદે તથા  હિરેન સચદે મદદમાં રહયા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.