Abtak Media Google News

ભાવનગર થોરડી ગામે તળાવમાંથી લાપતા સગીરાની કોહવાયેલી લાશ મળી આવ્યા બાદ ભેદ ઉકેલાયો

મામાના ઘરેથી ગુમ થયેલી સગીરાનું અપહરણની ફરિયાદ નોંધાયા બાદ બે દિવસ પહેલા મૃતદેહ મળ્યો’તો : ફોરેન્સીક પોસ્ટમોર્ટમમાં ગળુ દબાવી, તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કર્યાનું ખૂલ્યું : બહેનપણીની આકરી પૂછપરછમાં પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા : બંનેની ધરપકડ

ભાવનગર નજીક થોરડી ગામે તળાવમાંથી 16 વર્ષની સગીરાની હત્યા કરી ફેંકી દેવાયેલ મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખી સગીરાની બહેનપણી અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં બહેનપણીના પ્રેમ સંબંધની સખીએ બધાને જાણ કરી દઇ બદનામ કરતી હોય પૂર્વયોજીત કાવત્રુ રચી સગીરા અને તેના પ્રેમીએ બહેનપણીનું કાસળ કાઢી નાખ્યું હતું.

આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ ભાવનગરના ચિત્રા વિસ્તાર કુંભારવાડામાં રહેતી ભૂમિ કિશોરભાઇ ધંધુકીયા (ઉ.16) ગત તા.16/9/21ને ગુરૂવારે સીદસર ગામે મામાના ઘરેથી થોરડી ગામે માતાજીના માંડવામાં જ્યાં નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં લાપતા બની હતી.

સગીર બાળા ગુમ થતા બે દિવસ સુધી પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ બાળાની માતા વનીતાબેન કિશોર ધંધુકીયાએ ગત તા.19/9ને રવિવારે વરતેજ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે પોતાની સગીર પુત્રીનું અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન ગત તા.23/9ને ગુરૂવારે થોરડી ગામે તળાવમાંથી ભૂમિનો કોહવાયેલ ગયેલ મૃતદેહ મળી આવ્યો હતો જેનું ભાવનગર સર ટી હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા ભૂમિનું ગળેટુપો દઇ અને પેટ-છાતીમાં તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું.

ભેદી સંજોગોમાં લાપતા થયેલી ભૂમિની હત્યા થઇ હોવાનું ખૂલતા પોલીસે મૃતક યુવતી છેલ્લે કોની સાથે હતી તે મુદ્ા પર તપાસ કરતા સીદસર ગામે રહેતી અને હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી સગીરા સાથે હોવાનું જાણવા મળતા પોલીસે 17 વર્ષની સગીરાની સઘન પૂછપરછ કરતા સગીરા પોલીસ સમક્ષ ભાંગી પડી હતી અને પોતાના પ્રેમી કાર્તિક ભરત હુમરાળીયા (ઉ.19)ની મદદથી ભૂમિની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.

પોલીસની તપાસમાં 17 વર્ષની સગીરાને કોલેજીયન કાર્તિક સાથે પ્રેમસંબંધ હોય જેની જાણ સખી ભૂમિને થઇ જતા ભૂમિએ બહેનપણી અને તેના પ્રેમીને બદનામ કરવા લાગી હતી.

દરમિયાન તા.16ના રોજ થોરડી ગામે માતાજીનો માંડવો હોય બંને  બહેનપણી માંડવામાં ગઇ હતી જ્યાં કાર્તિકને બોલાવી તળાવ કાંઠે ભૂમિને બદનામ નહી કરવા પ્રેમી પંખીડાએ સમજાવી હતી પરંતુ ભૂમિ એકની બે નહી થતા બંને પ્રેમીપંખીડાએ ભૂમિનું ગળુ દબાવી પેટ અને છાતીમાં ટેસ્ટરના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશ તળાવમાં ફેંકી દીધી હતી.

સગીરા અને તેના પ્રેમીએ પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બહેનપણીની નિર્મમ હત્યા કર્યા બાદ જાણે કશું જ બન્યું ન હોય તે રીતે પોત પોતાના ઘરે જતા રહ્યાં હતાં.

આ ઘટનાની વરતેજ પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.જે. જાડેજા સહિતના સ્ટાફ અને એલ.સી.બી.એ ભેદ ઉકેલી નાખી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.