Abtak Media Google News

આપણે જાણીએ છીએ કે પેટ્રોલના ભાવ થોડા સમય પહેલા આસમાને પહોંચી ગયા હતા જેના કારણે મધ્યમ વર્ગના લોકોને ઘણી તકલીફ પડી હતી. પેટ્રોલની તુલનામાં લાંબા ગાળે ઇલેક્ટ્રિક વાહન ચોક્કસપણે અસરકારક વિકલ્પ છે. ત્યારે ઈલેક્ટ્રોનિક વાહનોનો વ્યાપ દેશમાં વધે તે માટે નવ એક્સપ્રેસ વે પર EV ચાર્જિંગ સુવિધાઓનો ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે તેવી જાહેરાત કેન્દ્રિય મંત્રી મહેન્દ્ર નાથ પાંડે દ્વારા કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોના સંચાલન અને ઈવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણના ભાગરૂપે તાજેતરમાં કેન્દ્રિય ઉદ્યોગ મંત્રાલય દ્વારા ARAI, SIAM અને ACMA સાથે મળીને એક ઈન્ડસ્ટ્રી ઈન્ટરએક્શન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી ડૉ.મહેન્દ્ર નાથ પાંડેએ PLI યોજના વિશે મીડિયાને માહિતી આપી હતી. આ મિટિંગમાં કેન્દ્ર સરકારની આ યોજના શું છે અને તેનાથી ઇલેક્ટ્રિક વાહનોને કેવી રીતે વધુ પ્રોત્સાહન મળશે તેની ચર્ચા કરવામાં આવી હતી.

પ્રથમ તબક્કામાં 3,000 ચાર્જિંગ સ્ટેશન ખુલશે

દેશના નવ એક્સપ્રેસ વે પર ખોલવામાં આવનાર કુલ 6,000 ચાર્જિંગ સ્ટેશનોમા પ્રથમ તબક્કામાં 3,000 EV ચાર્જિંગ સ્ટેશનો ખોલવામાં આવશે. EV ઈલેક્ટ્રોનિક વાહનના ઉપયોગની વાત આવે ત્યારે ચાર્જિંગએ ચિંતાનો વિષય છે. સરકારે નવ એક્સપ્રેસ વે પસંદ કર્યા છે જ્યાં 6,000 ચાર્જિંગ સ્ટેશનોને મંજૂરી આપવામાં આવી છે. આનાથી વાહનોને ચાર્જ કરવામાં લાગતો સમય બચશે અને EV વાહન ચાલકોના પડકારો ઘટશે.

ઉદ્યોગ મંત્રીએ EV વેચાણમાં જંગી વધારો સ્વીકાર્યો

કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી ડૉ. મહેન્દ્ર નાથ પાંડેએ ભારતના ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશનને ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગનો સમય ઘટાડવા માટે ટેક્નોલોજી વિકસાવી રહ્યા છે ત્યારે તેમણે જણાવ્યું હતું. કે GDPમાં ઓટો સેક્ટરનો ફાળો લગભગ 14 થી 15 ટકા છે. આ ઉત્પાદન 25 થી 30 ટકા સુધી પહોંચી શકે છે જે ભારતને USD 5 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાના PMના વિઝનને સમર્થન આપી શકે છે. સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી યોજનાઓ અને અનુદાનને કારણે, છેલ્લા કેટલાક મહિનામાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ભારે વધારો થયો છે.

બેટરીની ACCની આયાત ઘટાડવા પર ભાર

કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી મહેન્દ્ર નાથ પાંડેએ પણ કહ્યું હતું કે હાલમાં ભારતમાં ACC નામની બેટરીના એડવાન્સ કેમિકલ સેલની આયાત કરવામાં આવી રહી છે, તે ઘટાડવી જોઈએ. લિથિયમ-આયન બેટરીના ઉત્પાદનમાં વપરાતી લગભગ 70 ટકા સામગ્રી ભારતમાં પહેલેથી જ ઉપલબ્ધ છે.

આગામી સમયમાં EV બેટરીના ઉત્પાદનને વેગ મળશે

આગામી સમયમાં EV બેટરીના ઉત્પાદનને વેગ મળે તેવી શક્યતા છે. આ માહિતી ઉદ્યોગ મંત્રી મહેન્દ્ર નાથ પાંડેએ મીડિયાને આપી હતી. તેમણે કહ્યું કે નવી PLI યોજનાઓ સાથે સરકાર EVsના આ ક્ષેત્રમાં પ્રતિ GW 362 કરોડ રૂપિયા સુધીની સહાય પૂરી પાડી રહી છે. સરકારની હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોના ઝડપી ઉત્પાદન યોજનાનો કાર્યકાળ 31 માર્ચ, 2024 સુધી બે વર્ષ લંબાવવામાં આવ્યો છે.

પ્રોડક્શન લિંક્ડ PLI સ્કીમ સાથે, આના પરિણામે રૂ. 42,500 કરોડનું રોકાણ થશે. તેના દ્વારા ભારતમાં કમ્પોનન્ટ્સ અને બેટરી મેન્યુફેક્ચરિંગને વેગ મળશે. સરકાર દ્વારા, તે ઓટોના ઉત્પાદકોને 8 થી 13 ટકા અને EV ઉત્પાદકો માટે 13 થી 18 ટકા સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે.

ક્યાં શરૂ થશે ચાર્જિંગ સ્ટેશન

ભારે ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર ચાર્જિંગ સ્ટેશન બનાવવાની યોજના તૈયાર છે. નવ એક્સપ્રેસવેમાં દિલ્હી-આગ્રા, મુંબઈ-પુણે, આગ્રા-લખનૌ, અમદાવાદ-બરોડા, બેંગલુરુ-મૈસુર, બેંગલુરુ-ચેન્નઈ અને ઈસ્ટર્ન પેરિફેરલનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.