Abtak Media Google News

પછાત વર્ગ કલ્યાણ આયોગના રિપોર્ટના આધારે અનામત તૈયાર કરવા નિર્દેશ: એક સપ્તાહમાં નોટિફિકેશન જાહેર કરી દેવાશે

સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશની પંચાયત ચૂંટણી અને શહેરી સંસ્થાઓની ચૂંટણીમાં ઓબીસી અનામતની મંજૂરી આપી છે. આ સાથે સાત દિવસમાં અનામતના આધારે નોટિફિકેશન બહાર પાડવા સૂચના આપવામાં આવી છે. સુપ્રીમે એમ પણ કહ્યું કે રાજ્યમાં કુલ અનામત 50% થી વધુ ન હોવી જોઈએ.

આ પહેલા 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે ટ્રિપલ ટેસ્ટના અધૂરા રિપોર્ટના આધારે ઓબીસી અનામત વિના ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રિવિઝન પિટિશન દાખલ કરી હતી. મહત્વની વાત એ છે કે પછાત વર્ગ કલ્યાણ આયોગના રિપોર્ટના આધારે અનામત આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે જ્યારે મધ્યપ્રદેશ સરકારના પ્રયત્નોથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામત આપવાનો નિર્ણય સુપ્રીમે આપ્યો છે ત્યારે આ નિર્ણયની અસર દેશ આખામાં તો થશે જ સાથોસાથ આના લીધે દેશભરના રાજકારણમાં ગરમાવો આવી જશે.

દેશભરમાં ઓબીસી વર્ગ મોટો છે. ત્યારે આ નિર્ણયથી ઓબીસી વર્ગ ચોક્કસથી રાજીપો અનુભવી રહ્યો છે તેવા સમયમાં આ બાબત હવે ચૂંટણી મુદ્દો બની જાય તો નવાઈ નહીં. એક સમયે મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર સમક્ષ પણ આ મુદ્દો આવ્યો હતો પરંતુ મહારાષ્ટ્ર સરકાર આ મુદ્દે કંઈ ખાસ કરી શકી ન હતી. ત્યારે ભાજપ દ્વારા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારને આ મુદ્દે ઘેરવાની શરૂઆત થઈ ચૂકી છે.

ભાજપ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, મહા વિકાસ અઘાડી સરકારે ક્યારેય આ મુદ્દો ગંભીરતાપૂર્વક લીધી જ નથી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ તરફ ક્યારેય ધ્યાન આપ્યું જ નથી. વધુમાં દેવેન્દ્ર ફડણવિસે નિશાન સાધતા કહ્યું હતું કે, જે કાર્ય મધ્યપ્રદેશ સરકારે કરી બતાવ્યું છે તે કરવા માટે ઉદ્ધવ સરકાર સક્ષમ નથી. હવે આ મુદ્દે આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં સરકારને મોટા પાયે ઘેરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે, મહારાષ્ટ્ર 38% ઓબીસી વર્ગની વસ્તી ધરાવે છ3.

મધ્યપ્રદેશના શહેરી વિકાસ મંત્રી ભૂપેન્દ્ર સિંહે કહ્યું કે માનનીય સુપ્રીમ કોર્ટમાં હમણાં જ સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશમાં સરકારને મોટી સફળતા મળી છે. સુપ્રીમ કોર્ટે 2022ના સીમાંકનના આધારે ચૂંટણી કરાવવાની માંગને સ્વીકારી લીધી છે. ઓબીસી અનામતની માંગણી પણ સ્વીકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઓબીસી આરક્ષણ એક સપ્તાહની અંદર કરવામાં આવે.

10 મેના આદેશ પછી મુખ્ય પ્રધાને વિદેશ પ્રવાસ રદ કરીને સુધારો અરજી દાખલ કરવાના પ્રયાસો તેજ કર્યા હતા. આ સંદર્ભે તેઓ પોતે દિલ્હી ગયા હતા અને વરિષ્ઠ વકીલોની સલાહ લીધી હતી. આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટે સુધારા અરજી પર રાજ્ય સરકાર પાસેથી કેટલીક માહિતી માંગી હતી, જેના આધારે સરકારે મધ્યપ્રદેશમાં ઓબીસી વસ્તીની બોડી મુજબની માહિતી કોર્ટ સમક્ષ મૂકી હતી.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કોઈ પણ સંજોગોમાં અનામત 50%થી વધુ ન હોવી જોઈએ. જો આપણે રાજ્ય મુજબ જોઈએ તો, રાજ્યમાં અનુસૂચિત જાતિ (એસસી) વર્ગને 16% અનામત અને અનુસૂચિત જનજાતિ (એસટી)ને 20% અનામત મળે છે. આ રીતે 36% અનામતનો લાભ આપવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 50 ટકાથી વધુ અનામત નહીં હોય. તેથી ઓબીસીને 14 ટકાથી વધુ અનામત નહીં મળે.

રોટેશન વગર પંચાયતની ચૂંટણી કરાવવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારનાર કોંગ્રેસના નેતા સૈયદ જાફરે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે હવે અનામતનો નિર્ણય જિલ્લા પંચાયતો પ્રમાણે કરવામાં આવશે. જો જનપદ પંચાયતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી 30% છે અને અનુસૂચિત જાતિની વસ્તી 25% છે, તો ઓબીસીને કોઈ અનામત મળશે નહીં. તે જ સમયે, જો જનપદ પંચાયતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી 30% અને અનુસૂચિત જાતિની વસ્તી 15% છે, તો ઓબીસીને 5% અનામત મળશે. જો જનપદ પંચાયતમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિની વસ્તી 5-5% છે. એટલે કે ઓબીસીની વસ્તી 40% છે, તો આવી સ્થિતિમાં ઓબીસી વર્ગને 35%થી વધુ અનામત નહીં મળે.

અનામત વગર ચૂંટણી કરાવવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા પર ઓબીસી અનામત ખતમ કરવાના આરોપો લગાવવા લાગ્યા. બંને રાજકીય પક્ષોએ અનામત વિના ચૂંટણી યોજાય તો ઓબીસી વર્ગને સંતોષવા માટે ઓબીસી નેતાઓને 27 ટકા ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી યોજવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. પંચે બંને ચૂંટણી જૂન મહિનામાં કરાવવાની જાહેરાત કરી છે. 24 મે સુધીમાં ચૂંટણીનું નોટિફિકેશન જારી કરવાનું કહેવામાં આવ્યું છે. જો કે હવે જાણકારોનું કહેવું છે કે જનપદ પંચાયત અનુસાર અનામતની તૈયારીમાં ચૂંટણીમાં થોડો સમય લાગી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.