Abtak Media Google News

જલ જીવન મિશનના પ્રારંભે ગુજરાતના 71 ટકા ઘરોમાં નળ જોડાણ હતુ, બાદમાં કોરોનાની વિષમ પરિસ્થિતીઓ વચ્ચે માત્ર 34 મહિનામાં 96.50 ટકાએ પહોંચ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વ અને પાણી પુરવઠા મંત્રી  ઋષિકેશ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ નલ સે જલ યોજના અંતર્ગત રાજ્યના 96.50 ટકા ઘરોને નળ થી જોડાણ આપીને દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર છે. રાજ્યના કુલ 91,77,459 ઘરો પૈકી 88,56,438 ઘરોને નલ સે જલ યોજના અંતર્ગત નળ જોડાણ આપવામાં સફળતા મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 15 મી ઓગસ્ટ 2019 ના રોજ સમગ્ર દેશમાં જલ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. જેના અંતર્ગત વર્ષ 2024 સુધીમાં દેશના પ્રત્યેક ઘરમાં નળ થી શુધ્ધ પીવાનું જળ પહોંચે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે.  ગુજરાત સરકારના આયોજનબધ્ધ માળખાના પરિણામે આ લક્ષ્યાંકને વર્ષ 2022 સુધીમાં જ પૂર્ણ કરવાની દિશામાં કામગીરી હાથ ધરાઇ છે. જે હવે પૂર્ણતાના આરે છે. વર્ષ 2019 માં જ્યારે નલ સે જલ અભિયાનની શરૂઆત થઇ ત્યારે 71 ટકા ગ્રામીણ વિસ્તારોમાં જ નળ થી જળ પહોંચતું હતું. વળી રાજ્યના એક પણ જિલ્લા સંપૂર્ણપણે 100 ટકા નળ થી જળ મેળવતા હતા નહીં. પરતું જલ જીવન મિશન અંતર્ગતના નલ થી જલ અભિયાનના પરિણામે આજે રાજ્યના 16 જિલ્લાઓ સંપૂર્ણપણે 100 ટકા નલ થી જલ અંતર્ગત શુધ્ધ પીવાનું પાણી મેળવતા થયા છે.

આ 16 જિલ્લાઓમાં આણંદ, ભાવનગર, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ અને વડોદરાનો સમાવેશ થાય છે.

અત્રે નોંધનીય છે કે, જલ જીવન મીશનનો ઉદ્દેશય દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવવીને નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે.

દૂર-સૂદૂર અને દુર્ગમ વિસ્તારોમાં પણ નળ જોડાણની કામગીરી સુપેરે થઈ રહી છે: ઋષિકેશ પટેલ

Rushi

પાણીપુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા દૂર – સૂદૂર અને દૂર્ગમ વિસ્તારો સહિતના સ્થળોએ ડુંગરાળ પ્રદેશો તેમજ છૂટા છવાયા ધરોમાં પણ નળ નું જોડાણ આપીને નળ થી જળ પહોંચાડવાની કામગીરી સુપેરે પૂર્ણ કરવામાં આવી રહી છે. આ અભિયાન પૂર્ણ કરવાનો લક્ષ્યાંક 2024 સુધીનો હતો. પણ હાલ સરકાર ઝડપભેર કામ કરી રહી હોય 2022 સુધીમાં જ 100 ટકા કામગીરી થઈ જાય તેવી આશા છે.

91 લાખ ઘરો પૈકી 88 લાખ ઘરોમાં છે નળ જોડાણ

નલ સે જલ યોજના અંતર્ગત થયેલ તબક્કાવાર કામગીરી પર નજર કરીએ તો , વર્ષ 2019-20 રાજ્યના 91,77,459 કુલ ઘર પૈકી 75,94,347 ઘરોમાં નલ થી જળ પહોંચતું હતુ. વર્ષ 2020-21માં 76,20,962 એટલે કે 83.04 ટકા ઘરોમાં, વર્ષ 2021-22 માં 86,73,575 ટકા એટલે કે 94.51 ટકા ઘરોમાં  અને જુન – 2022 સુધીમાં 88,56,438 ઘરોમાં જોડાણ આપીને 96.50 ટકા ઘરોમાં નલ સે જલ અતંર્ગત નળ જોડાણ આપવામાં સફળતા મળી છે.

ગ્રે-વોટર મેનેજમેન્ટ, જળ સંરક્ષણ, રેઈન વોટર હાર્વેસ્ટીંગ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત

જલ જીવન મિશન અંતર્ગત લાંબાગાળાના પીવાના પાણીના સ્રોતો માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગ્રે-વોટર મેનેજમેન્ટ, જળ સંરક્ષણ, રેઈન વોટર હાર્વેસિ્ંટગ દ્વારા રિચાર્જ અને પાણીના પુન: ઉપયોગ થકી પાણીની ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા ટકાઉ સ્રોતોનું આયોજન કરવામાં આવ્યું છે. જલ જીવન મિશન હેઠળ પીવાના પાણી માટેના લોકભાગીદારીના અભિગમ પર આધારિત છે અને લોકોને મિશન અંતર્ગત સહભાગીઓને યોજના વિશે વિસ્તૃત માહિતી, શિક્ષણ અને પ્રચાર પ્રસાર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.