Abtak Media Google News

ઉછીની આપેલ રૂ.11 લાખની રકમ પરત અપાવી

અબતક, દર્શન જોશી, જુનાગઢ

જૂનાગઢના નિવૃત્ત શિક્ષક પાસેથી ડેરી કરવાનુ કહી માતબર રૂ. 11 લાખ જેવી રકમ લઇ હાથ ઊંચા કરી દેતા પોલીસ દ્વારા આ રકમ પરત અપાવવા મદદ કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.જૂનાગઢ શહેરમાં જોષીપુરા રહેતા અને શિક્ષક તરીકે નોકરી કરી, નિવૃત્ત થયેલા, સિનિયર સિટીઝન સદગૃહસ્થ એ પોતાની નિવૃત્તિના સમયે આવેલ જીવનમરણ સમાન મૂડી માંથી રૂ. 11 લાખ જેવી રકમ પોતાને નિવૃત્તિના સમયમાં આવક થાય, એ હેતુથી, પોતાની જ જ્ઞાતિના એક ભાઈને ભાગમાં ડેરી નાખવા, આજથી ત્રણેક વર્ષ પહેલા આપેલ હતા. બાદમાં પોતાની જ્ઞાતિના આ ભાઈએ કોઈ ડેરી નાખેલ નહિ અને રૂપિયા પણ પાછા આપેલ ના હતા. આ બાબતે પોતે તથા પોતાની જ્ઞાતિના આગેવાનો મારફતે અવાર નવાર ઉઘરાણી કરતા, છેલ્લે આજથી છ મહિના પહેલા, તારે જાવું હોય ત્યાં જા, રૂપિયા આવશે ત્યારે આપીશ…એવું જણાવી, હાથ ઊંચા કરી દીધા હતા. પોતે નિવૃત્ત શિક્ષક સિનિયર સિટીઝન હોઈ, પોતાની જ્ઞાતિના માણસ સાથે કોઈ માથાકૂટ કરી શકે તેમ ના હોઈ, જેથી તેઓ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, મદદ કરવા ગળગળા થઈને રજૂઆત કરી હતી.

જે બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.શાહ, સ્ટાફના હે.કો. મુકેશભાઇ, ધાનીબેન, નીતિનભાઈ, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે સામાવાળા માથાભારે ઇસમને બોલાવી, પોલીસની ભાષામાં સમજાવતા અને છેતરપિંડી કરવા અંગે કાયદેસર કાર્યવાહી કરવા જણાવતા, માથાભારે ઇસમ પોપટ બની ગયો હતો અને પોતાની જાતે, સામેથી  સિનિયર સિટીઝન સદગૃહસ્થના ઘરે આગેવાનો સાથે પહોંચી ગયો હતો.

જે વ્યક્તિને અરજદાર પોતે ફોન કરતા હોવા છતાં ઉપાડતો ના હોઈ, એ સામેથી અરજદાર સમક્ષ હાજર થતા, અરજદાર પણ અચંબામાં પડી ગયો હતો. સામાવાળા માથાભારે રૂપિયા ઓળવી જનાર ઇસમ જ્ઞાતિના આગેવાનો સાથે આવી, સમાધાન કરી, આશરે પાંચેક લાખ રોકડા નિવૃત્ત શિક્ષકને પરત આપી દીધા હતા અને બાકી રકમ દિવાળી સુધીમાં આપી દેવાની આગેવાનોની હાજરીમાં કબૂલાત કરી, પોલીસ સમક્ષ પોતાને નહિ લઈ જવા વિનંતી કરી, ચેક પણ આપી દિધેલ હતો.

નિવૃત્ત શિક્ષક સિનિયર સિટીઝન એ જૂનાગઢ પોલીસ દ્વારા મદદ કરવામાં આવેલ ના હોત તો, પોતાની નિવૃત્તિના સમયમાં મળેલ મરણ મૂડી સમાન 11 લાખ જેવી માતબર રકમ ખોવાનો વારો આવત એવું જણાવી, ભાવ વિભોર થયેલ હતા. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારને હવેથી આવા લોકોને રોકાણ કરવા મૂડી નહિ આપવા વિનંતી પણ કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.