Abtak Media Google News

રીબડા ગામે અજિતનાથ ઉપાશ્રયનું શાનદાર ઉદ્ઘાટન

વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર રાજકોટના ઉપક્રમે રીબડા ગામે ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં નવનિર્મિત અજિતનાથ જૈન ઉપાશ્રયનો ઉદ્ઘાટન ઉત્સવની શાનદાર ઉજવણી થઇ હતી.

Advertisement

આ પ્રસંગે લીંબડી સંપ્રદાયના પૂ.નિરંજનમુનિ મ.સા. તથા પૂ.નયનાજી મ.સ. આદિ ઠાણા ઉપસ્થિત હતા.

સલુણી સવારે શય્યાદાન મહાદાનના જયઘોષે અને ગુરૂદેવના માંગલિક બાદ પ્રમોદાબેન કિશોરચંદ્ર કોટીચા અને સુરેખાબેન હસમુખભાઇ કામાણીના હસ્તે રીમોટથી વ્યાખ્યાન હોલનું શ્રી સમીરભાઇ કોટીચા, મુકેશભાઇ, કેતનભાઇ, વિજયભાઇ કામાણી, શશીકાંતભાઇ અને ચંદ્રકાંતભાઇ કોટીચાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ.

ત્યારબાદ રાજકોટ જૈન મોટા સંઘ દ્વારા તા.26-1-1958ના શ્રી શામજી વેલજી વિરાણી સ્મારક ટ્રસ્ટ અને જૈનશાળા શિક્ષિકા સંતોકબેન પુંજાભાઇ પ્રેરિત વિનોદ વિરાણી વિશ્રામ ગૃહની અતીતની સ્મૃતિની તક્તી અનાવરણ વિધિ હરેશભાઇ વોરા, દિનેશભાઇ દોશી, બકુલેશ રૂપાણી, કમલેશ મોદી, સતીશ બાટવીયા, શક્તિસિંહ જાડેજા વગેરેના હસ્તે ‘અહોદાન’ના જયનાદે કરવામાં આવેલ.

કળશધારી બહેનોએ નગારાના નાદે દાતાઓનું સામૈયું કર્યા બાદ સુશોભિત સમિયાણામાં સહુ ધર્મસભામાં ગોઠવાયા હતાં.

ડુંગર દરબારમાં મંગલાચરણ પશ્ચાત સ્વાગત નૃત્ય જશાપર ક્ધયા મંડળે રજૂ કરેલ. નીરવ સંઘાણી અને હરેશભાઇ વોરાએ આવકાર પ્રવચન કરી દાતાઓનો ઋણ સ્વીકાર કરેલ.

પૂ.ધીરગુરૂદેવે જણાવેલ કે એક સાતાકારી ધર્મસ્થાનક મહાલાભનું કારણ બને છે. માનવીના જીવનમાં પાપ માર્ગેથી બચાવવામાં ધર્મ સ્થાનકો સ્પીડબ્રેકર સમાન છે. દિનેશભાઇ દોશી, તારકભાઇ વોરા, જયશ્રીબેન શાહ વગેરેની નિર્માણમાં સેવાઓને બિરદાવી હતી.

પૂ.નિરંજનમુનિ મ.સા.એ બિનસાંપ્રદાયિક અને ચારેય ફિરકાને ઉપયોગી ઉપાશ્રય નિર્માણની પૂ.ધીરગુરૂદેવની ઉદાત્ત ભાવનાની ‘વૈયાવચ્ચ ગુણ ધરાણં નમો નમ:’ના સૂત્ર દ્વારા અભિવંદના કરેલ.

કાયમી વૈયાવચ્ચ નિભાવ યોજનાનો પ્રમોદાબેન કોટીચા અને નવકાર તક્તીનો પુષ્પાબેન હરસુખલાલ કોટીચા પરિવાર તેમજ સાતાકારી પાટનો દાતાઓ અને ક્ષત્રિય પરિવારના ભાવિકોએ લાભ લીધેલ.

કોટીચા, કામાણી અને 111 સ્કૂલોનાં નિર્માણ નિયોજક શશીકાંતભાઇ કોટીચાનું સમસ્ત સંઘો વતી રજનીભાઇ બાવીસી, પ્રફુલભાઇ જસાણી, સુભાષભાઇ પારેખ (જેતપુર), શરદ દામાણી (ધોરાજી), બકુલેશ રૂપાણી, મહેશ મહેતા, રાજેશ વિરાણી, કે.ટી.હેમાણી વગેરેએ પાઘડી અને મોમેન્ટોથી સન્માન કરેલ. મુખ્ય મહેમાન પદે મહિપતસિંહ જાડેજા પરિવારના હર્ષાબા જાડેજા, દશરથબા જાડેજા, સગુણાબા જાડેજાનું વર્ષા ઘેલાણી, શિલ્પા કામાણી, જયશ્રી બાટવીયા, પ્રવીણા મહેતા, હીના કામાણી, ચિન્મય હેમાણીએ સન્માન કરેલ.

તિલકવિધિ રૂશાલી કામદારે કરેલ. જૈન રામાયણની અર્પણ વિધિ ઇન્દુભાઇ બદાણી, પ્રશાંત વોરા વગેરેએ કરેલ. સૂત્ર સંચાલન જશવંત મણિયારે કરેલ. ગૌતમ પ્રસાદ લઇ સહુ ભાવવિભોર હૈયે વિખરાયા હતાં.

મહાવીરનગરમાં પૂ.ધીરગુરૂદેવનું કાલે પ્રવચન

મહાવીરનગર જૈન સંઘમાં તા.10ને મંગળવારે સવારે 9 કલાકે સમૂહ ભક્તામર અને 9.30 થી 10.30 કલાકે ‘આત્માની અનુભૂતિ’ વિષય પર પૂ.શ્રી ધીરગુરૂદેવનું પ્રવચન યોજાશે. બુધવારે શ્રમજીવી ઉપાશ્રય અને ગુરૂવારે ભક્તિનગર ઉપાશ્રય પ્રવચન યોજાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.