Abtak Media Google News

મોસ્કો-ગોઆની ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકીથી ખળભળાટ

૨૪૪ મુસાફરોને સુરક્ષિતને બહાર કાઢી લેવાયાં: બૉમ્બની માહિતી ફક્ત અફવા હોવાનું ફલિત થયું

મોસ્કોથી ગોવા આવી રહેલી રશિયન એરલાઇન અઝુરની ફ્લાઈટમાં સોમવારે રાત્રે બોમ્બ હોવા માહિતી મળી હતી. આ પછી જામનગરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ પછી તમામ ૨૩૬ મુસાફરો અને ૮ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે ફ્લાઇટની બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ગુજરાત પોલીસે પ્લેનની અંદર તપાસ કરી હતી. એનએસજીની ટીમોએ જામનગર એરપોર્ટ પર પહોંચીને પ્લેનની તપાસ કરી હતી.

રાજકોટ-જામનગર રેન્જના આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે પ્લેન મોસ્કોથી ગોવા જઇ રહ્યુ હતું. તેનું જામનગર એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં રશિયન દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય એજન્સીઓએ મોસ્કોથી ગોવા આવી રહેલી અઝુર એરની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે, પ્લેનને જામનગરમાં ભારતીય વાયુસેનાના બેઝ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિ સુરક્ષિત છે. આ પછી સુરક્ષા એજન્સીઓએ પ્લેનની તપાસ કરી. આ દરમિયાન કોઈપણ પ્રકારનો બોમ્બ મળ્યો ન હતો. એનએસજીએ લગભગ ૬ કલાક સુધી પ્લેનની તપાસ કરી હતી. આ દરમિયાન પ્લેનમાં કોઈ વાંધાજનક સામગ્રી કે બોમ્બ મળ્યો ન હતો. વિમાનમાં સવાર તમામ ૨૪૪ લોકોને જામનગર એરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા. હવે એનએસજીની ટીમો દ્વારા એરપોર્ટ પર મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવશે.

બીજી તરફ, અઝુર એરલાઇન વતી કહેવામાં આવ્યું હતું કે અઝુર એરને ભારત તરફની તેની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. ઈન્ડિયન એવિએશન ઓથોરિટીના નિર્ણય હેઠળ પ્લેનને જામનગરમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. વિમાનમાં બેઠેલા કોઈપણ વ્યક્તિને નુકસાન થયું નથી. આ પછી પ્લેનની તપાસ કરવામાં આવી હતી. વિમાનની તપાસ કર્યા બાદ ફ્લાઇટ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર આ ફ્લાઇટ જામનગરથી સવારે ૧૦ વાગ્યે ઉડાન ભરી હતી.

બીજી તરફ આ પ્લેનનું લેન્ડિંગ ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર થવાનું હતું. આવી સ્થિતિમાં ત્યાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. વાસ્કો પોલીસના ડેપ્યુટી એસપી સલીમ શેખે જણાવ્યું હતું કે બોમ્બ હોવાની માહિતી મળતાં મોસ્કોથી આવતી ફ્લાઈટને જામનગર તરફ વાળવામાં આવી હતી. બીજી તરફ ગોવા એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઈમરજન્સી સેવાને એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસે એરપોર્ટ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

ગોવા એટીસી ફ્લાઈટમાં બૉમ્બ હોવાનો ઈ-મેઈલ મળ્યો !!

જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર મોસ્કોથી ગોવાની ફલાઈટમાં બૉમ્બની ખબરને ફ્લાઇટ લેન્ડ થયા બાદ પોલીસ, બૉમ્બ સ્કોડ એરપોર્ટ પર તૈનાત છે. જ્યારે ૭ થી ૮ જેટલી એમ્બ્યુલન્સ સાથે સ્ટાફ અને પોલીસ કાફલો એરપોર્ટ પર ખડેપગે રહ્યો છે. ગોવા એટીસીને બોમ્બ અંગેનો ઇ-મેલ મળ્યો હતો. જે ઇ-મેલ મળ્યા બાદ ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે.હાલ ફ્લાઈટમાં ૨૩૬ વિદેશી પેસેન્જરો સવાર હતા.આ ઘટનાને પગલે જામનગર એરપોર્ટ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

૨૩૬ મુસાફરો અને ૮ ક્રુ મેમ્બર્સ સંપૂર્ણ સુરક્ષિત : ડૉ. સૌરભ પારધી

આ મામલે રાહતના સમાચાર પણ સામે આવી રહ્યા છે જેમાં જામનગરના કલેકટર સૌરભ પારધીએ સોશિયલ મીડિયામા એક સંદેશ વહેતો કરી જણાવ્યું કે ફલાઈટમાં બૉમ્બ હોવાની જાણકારી મળતા મોસ્કો-ગોવા જતી ફ્લાઇટને જામનગર એરપોર્ટ ખાતે ડાયવર્ડ કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૩૬ પેસેન્જર્સ અને ૮ ક્રૂ સહિત ૨૪૪ પેસેન્જર્સને સલામત રીતે બહાર કઢાયા છે અને હાલ સંબંધિત વિભાગ દ્વારા બોમ્બના ડિટેક્શન અને ડિસ્પોઝલની કામગીરી બાદ કશું જ શંકાસ્પદ મળી આવ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.