Abtak Media Google News

સૌરાષ્ટ્ર મુળના તમિલ સમુદાયની ભરપુર પ્રસંશા કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ

ભારતના સાંસ્કૃતિક મૂલ્યોમાં અસીમ આસ્થા ધરાવતા અને જનતા પ્રત્યે હંમેશાં પ્રતિબદ્ધ અને કર્તવ્યનિષ્ઠ એવા  વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સમાજની આ જ વિશેષતાને વધુ ગાઢ બનાવવા માટે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ ના મંત્ર સાથે દેશના દરેક રાજ્યના સાંસ્કૃતિક વારસાને સન્માન આપવાનું ભગીરથ કાર્ય કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. વડાપ્રધાનશ્રીના આ વિચારને નક્કર સ્વરૂપ આપતા ગુજરાત સરકારે તાજેતરમાં ભગવાન સોમનાથ મહાદેવના પવિત્ર સાંન્નિધ્યમાં ઐતિહાસિક સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું છે.

આ કાર્યક્રમ દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિઓનો સંગમ છે. લગભગ બારસો વર્ષના લાંબા સમયગાળા પછી આટલી ભવ્યતા સાથે આ પ્રકારનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. એવું પહેલીવાર થઈ રહ્યું છે કે સદીઓ પહેલા તમિલનાડુ જઇને સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના લોકો આ કાર્યક્રમના ઉપક્રમે પોતાના પૈતૃક વતનની યાત્રા કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રના આ જ પૂર્વજોએ ગુજરાતની હસ્તશિલ્પ અને અન્ય કળાઓને તમિલનાડુમાં પણ આગળ વધારી, જેને ત્યાંના લોકોએ સ્વીકારી અને તેને લોકપ્રિયતા પણ પ્રાપ્ત થઇ. તે સમયના શાસક  થિરૂમલાઈ નાયક્કર અને તેમની રાજકુમારીએ આપણા આ ગુજરાતી કારીગરો દ્વારા બનાવવામાં આવેલા સિલ્કના વસ્ત્રોની પ્રશંસા કરતા એકવાર કહ્યું હતું કે સૌરાષ્ટ્રના કારીગરો જો અહીંયા ન આવ્યા હોત, તો આપણને ચીની અને યુરોપીય સિલ્કથી પણ શ્રેષ્ઠ એવું આ સિલ્ક પહેરવા મળ્યું ન હોત. સૌરાષ્ટ્ર મૂળના તમિલ રહેવાસીઓને મળેલું આ સન્માન ભારતની સાંસ્કૃતિક, સામાજિક અને કલાત્મક સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

સંસારમાં સ્થાનાંતરણ એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ, સૌરાષ્ટ્રવાસીઓનું આ સ્થળાંતર એક વિશિષ્ટ અને ઐતિહાસિક ઘટના છે. હું સૌરાષ્ટ્ર મૂળના તમિલ સમુદાયની પ્રશંસા કરવા માંગું છું કે વિદેશી આક્રમણકારોના દમનના કારણે તેઓ વિસ્થાપિત તો થયા, પરંતુ તેમણે પોતાના હૃદયમાં સૌરાષ્ટ્રની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખી.

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમને કારણે આ સમુદાયને હજારો વર્ષો પછી પોતાની માતૃભૂમિ પર પાછા ફરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આપણે સહુ ગુજરાતીઓ આપણા સૌરાષ્ટ્રિયન-તમિલ ભાઈઓનું સ્વાગત અને સરભરા કરવા માટે ઉત્સુક છીએ, તો સામે સૌરાષ્ટ્ર મૂળના આપણા તમિલ બંધુઓ પણ આટલા વર્ષો પછી પોતાના પૂર્વજોની ધરતી પર આવીને ઘણા ભાવુક બન્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ના સંદર્ભમાં એક વાર કહ્યું હતું કે, સરદાર પટેલે આપણને ‘એક ભારત’ આપ્યું છે અને હવે સહુ ભારતવાસીઓનું એ કર્તવ્ય છે કે આપણે આપણા સામૂહિક પ્રયાસોથી તેને ‘શ્રેષ્ઠ ભારત’ બનાવીએ. સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમની સાથે-સાથે ગુજરાતનો માધવપુર મેળો પણ શ્રી નરેન્દ્રભાઈના આ જ વિચારો પર આધારિત છે. પૌરાણિક કથા પર આધારિત માધવપુર મેળો દ્વારિકાના રાજા ભગવાન શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશની રાજકુમારી રૂકમણિજીના વિવાહની ઉજવણી છે. આ પણ પશ્ચિમી ભારત અને પૂર્વીય ભારતની બે સંસ્કૃતિઓના સંગમનો કાર્યક્રમ છે. એ આપણા માટે ગૌરવની વાત છે કે છેલ્લાં બે વર્ષોમાં આપણે આ કાર્યક્રમના પણ બે સફળ આયોજનો કર્યા છે.

આપણે ભવિષ્યમાં આવા જ અલગ-અલગ પ્રયાસોથી સાંસ્કૃતિક આદાન-પ્રદાનના ચલનની પ્રવૃત્તિને આગળ વધારવાની છે. આપણે આપણી નવી પેઢી માટે એવા સમાજના નિર્માણની દિશામાં કામ કરવાનું છે, જ્યાં આપણે સહુ એકબીજાની ભાષા, સંસ્કૃતિ અને પરંપરા બાબતે વધુ સહજ હોઇશું, અને તેના માટે વધુ સમરસતા અને સ્વીકાર્યતા ધરાવીશું.

આધુનિક ભારતના સૂત્રધાર સરદાર પટેલ દ્વારા આપણને મળેલું ભૌગોલિક રીતે એક ભારત ત્યારે જ સાંસ્કૃતિક રીતે શ્રેષ્ઠ બનશે જ્યારે ભારતની તમામ સંસ્કૃતિઓ અને પરંપરાઓનું સન્માન અને સંવર્ધન દરેક નાગરિકના નૈતિક મૂલ્યો અને ફરજોનું અભિન્ન અંગ બની જશે.  ‘શ્રેષ્ઠ ભારત’ માટે ખૂબ જ જરૂરી છે, કે આપણે કેવળ અર્થ ખાતર શિરોમણિ બનવા માટે કામ ન કરીએ પરંતુ માનવધર્મ, સામાજિક સમરસતા, સાંસ્કૃતિક બહુમતીની સાથે આદર્શ નૈતિક મૂલ્યો અપનાવવામાં પણ વિશ્વમાં શિરમોર બનીએ.

મને વિશ્વાસ છે કે સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્સવ સમા ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’ જેવા કાર્યક્રમોના આયોજનો અને કેન્દ્રમાં શ્રી નરેન્દ્રભાઈની સરકાર અને દેશની રાજ્ય સરકારોના નિરંતર પ્રામાણિક પ્રયાસો ચોક્કસપણે ‘એક ભારત’ થી ‘શ્રેષ્ઠ ભારત’ નો માર્ગ પ્રશસ્ત કરશે.

આ વિશેષ પ્રસંગે દેશભક્તિ અને દેશ માટે ત્યાગની ભાવનાને વ્યક્ત કરવા માટે મને આપણા પ્રેરણાસ્ત્રોત અને ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની કેટલીક પંક્તિઓ યાદ આવી રહી છે, ” (ભારત) ચન્દ્રન કી ભૂમિ હૈ, અભિનંદન કી ભૂમિ હૈ ! યહ તર્પણ કી ભૂમિ હૈ, યહ અર્પણ કી ભૂમિ હૈ ! ઇસકા કંકર – કંકર શંકર હૈ, ઇસકા બિંદુ- બિંદુ ગંગાજલ હૈ  ! હમ જિયગે તો ઇસકે લીયે, ઔર મરેંગે તો ઇસકે લિયે”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.