Abtak Media Google News

સેન્ટ્રલ ઝોનમાં જ ૮૫૦થી વધુ મિલકતોને તાળા એટીસી મોબાઈલ ટાવરે રૂ.૧.૦૫ કરોડ જમા કરાવ્યા

ચાલુ નાણાકીય વર્ષમાં બાકી વેરો વસુલવા માટે કોર્પોરેશનની ટેકસ બ્રાંચ દ્વારા ત્રણેય ઝોન વિસ્તારમાં ૧૨૫૦થી વધુ મિલકતો સીલ કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનમાં જ ૮૫૦થી વધુ મિલકતો સીલ કરવામાં આવી હોવાનું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.

આજે કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી હાર્ડ રીકવરી દરમિયાન શહેરના સેન્ટ્રલ ઝોનમાં ૧૪ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. જયારે ઈસ્ટ ઝોનમાં કોઠારીયા વિસ્તારમાં ૬૪ બાકીદારોની મિલકત સીલ કરવાની કામગીરી હાથ ધરાતા ૮૦ લાખ રૂપિયાની વસુલાત થવા પામી છે. મોબાઈલ કંપનીઓ પાસેથી વેરો વસુલવા ટાવરો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાતા એટીસી ટાવર કંપની દ્વારા આજે રૂ.૧.૦૫ કરોડનો બાકી વેરો ભરપાઈ કરી દેવામાં આવ્યો હતો.

વેસ્ટ ઝોન વિસ્તારમાં આજે ૩ મિલકતો સીલ કરવામાં આવી છે. બપોર સુધીમાં કુલ ૪૪ લાખની વસુલાત થવા પામી છે. વેરા વસુલાત શાખાને આપવામાં આવેલો રૂ.૨૨૫ કરોડનો લક્ષ્યાંક ગઈકાલે હાંસલ કરી લીધો છે. દરમિયાન રિવાઈઝડ બજેટમાં મુકવામાં આવેલો ૨૪૬ કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે નાણાકીય વર્ષના અંતિમ ૩ દિવસોમાં પ્રયાસ હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.