Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાંથી પસાર થતી પીવાના પાણીની પાઈપલાઈનમાંથી ગેરકાયદેસર રીતે પાણીચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જેમાં પીવાના પાણીની પાઈપલાઈનોમાં ગેરકાયદેસર કનેકશનો જોડી પાણીચોરી થતી હોવાની ફરીયાદોને ધ્યાને લઈ જીલ્લા પાણી પુરવઠા બોર્ડ અને વહિવટી તંત્ર તેમજ સ્થાનીક પોલીસને સાથે રાખી મુળી તાલુકાના અલગ-અલગ ગામોમાં ચેકીંગ હાથધરવામાં આવ્યું હતું જેમાં ગેરકાયદેસર પાણીચોરી કરતાં અંદાજે 12 જેટલા કનેકશનો પ્રથમ દિવસે જ્યારે બીજે દિવસે અંદાજે 31 જેટલા ગેરકાયદેસર કનેકશનો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીલ્લાના મુળી, સાયલા, થાન, ચોટીલા તાલુકાના આવરી લેતી ધોળીધજા ડેમ આધારીત અંદાજે 224 ગામ અને બે શહેર માટેની ધોળીધજા ડેમથી થાન તરફ જતી પીવાના પાણીની પાઈપલાઈન તથા જીલ્લામાંથી પસાર થતી જીડબલ્યુવાયએલ હસ્તકની રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી અને દેવભુમી દ્વારકાના અંદાજે 1200થી વધુ ગામો તથા 21 શહેરોને આવરી લેતી બ્લક પાઈપલાઈન યોજનામાં ઉનાળા દરમ્યાન થતી પાણીચોરી અટકાવવા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને પાણી પુરવઠા તેમજ ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા છેવાડાના ગામોમાં ઉનાળા દરમ્યાન પીવાના પાણીની ઘટ નિવારવા જીલ્લા વહિવટી તંત્ર તેમજ પોલીસ તંત્રને સાથે રાખી પાણી પુરવઠા બોર્ડ દ્વારા સતત ચેકીંગ હાથધરવામાં આવ્યું હતું.

જેમાં મુળી તાલુકાના ગઢાદ અને રામપરડા ગામની સીમમાંથી પસાર થતી અને ધોળીધજા ડેમથી થાન વચ્ચેની પાણીની પાઈપલાઈનમાંથી ગેરકાયદેસર ચોરી થતી હોવાની બાતમીના આધારે ચેકીંગ હાથધર્યું હતું જેમાં બે દિવસ દરમ્યાન 29 જેટલા ગેરકાયદેસર કનેકશનો ઝડપી પાડવામાં આવ્યાં હતાં અને આ પાણીનો ઉપયોગ ખેડુતો દ્વારા ગેરકાયદેસર રીતે ખેતી તેમજ સીંચાઈ માટે કરવામાં આવતો હતો. આ ઉપરાંત જીડબ્લ્યુઆઈએલની દુધરેજથી વડોદરા તરફ જતી બલ્ક પાઈપલાઈનના પથરેખામાં આવતાં મુળી તાલુકાના દાણાવાડા ગામની સીમમાંથી પણ બે અંડરગ્રાઉન્ડ કનેકશન ઝડપી પાડી દુર કરવામાં આવ્યાં હતાં.

તેમજ મુળી તાલુકાના ખાટડી ગામમાંપણ પાઈપલાઈનના એરવાલ્વમાંથી ગેરકાયદેસર કનેકશન લઈ પાણીની ચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું અને બે દિવસ દરમ્યાન 21 જેટલા ગરકાયદેસર કનકશનો ઝડપી પાડવામાં આવ્યાં હતાં. આમ પાણી પુરવઠા બોર્ડ દ્વારા બે દિવસમાં મુળી તાલુકાના અલગ-અલગ ગામોમાંથી ચેકીંગ દરમ્યાન પાણીની પાઈપલાઈનમાં ચેડા કરી ગેરકાયદેસર પાણીની ચોરી કરતાં 43 જેટલા ગેરકાયદેસર કનેકશનો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. આ સમગ્ર કામગીરી દરમ્યાન પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર શશીભાઈ વાઘેલા, એ.આર.ડોડીયા, ગૌતમભાઈ પટેલ, શંકરભાઈ દેસાઈ, બી.વી.કટોસણા સહિત પાંચ અધિકારીઓ અને ટીમે ચેકીંગ હાથધરી કામગીરી હાથધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.