Abtak Media Google News

કંપનીઓ અને રોકાણકારોના હિતમાં સેબીનો મહત્વપૂર્ણ નિર્ણય

શેર્સના લિસ્ટિંગની સમય મર્યાદા અત્યાર સુધી 6 દિવસની હતી : રોકાણકારોના બ્લોક કરાયેલા નાણા પણ વહેલા છુટા થઈ જશે

આઈપીઓમાં રોકાણ કરનારા માટે સેબીએ ગુડ ન્યૂઝ જાહેર કર્યા છે.સેબીએ આઈપીઓનું સબસ્ક્રિપ્શન બંધ થયા પછી શેર્સના લિસ્ટિંગનો સમય અડધો કરી દીધો છે.હવે કંપનીએ ત્રણ દિવસમાં શેર્સનું લિસ્ટિંગ કરવાનું રહેશે. શેર્સના એલોટમેન્ટ માટે પણ સેબીએ નવો કાયદો બનાવ્યો છે. શેરબજાર અને આઈપીઓમાં રોકાણ કરનારા માટે સારા સમાચાર છે. વર્ષો પહેલા આઈપીઓ ભરનારાના રૂપિયા બ્લોક કરવાના નિયમમાં મોટો ફેરફાર કરાયા બાદ હવે, માર્કેટ રેગ્યુલેટર સેબીએ રોકાણકારો અને આઈપીઓ લાવનારી કંપનીઓના લાભ માટે બુધવારે એક મહત્વપૂર્ણ પગલું ઉઠાવ્યું છે.

સેબીએ આઈપીઓ બંધ થયા પછી શેરબજારોમાં શેર્સના લિસ્ટિંગની સમય મર્યાદા ઘટાડીને અડધી એટલે કે ત્રણ દિવસ કરી દીધી છે. હાલમાં આ સમય મર્યાદા છ દિવસ છે. સેબીએ એક સર્ક્યુલરમાં કહ્યું કે, 1 સપ્ટેમ્બર કે તે પછી આવનારા બધા પબ્લિક ઈશ્યૂઝ માટે લિસ્ટિંગની નવી સમય મર્યાદા સ્વૈચ્છિક હશે, જ્યારે કે જે ઈશ્યૂ 1 ડિસેમ્બર પછી આવશે, તેમના માટે તે ફરજિયાત હશે. લિસ્ટિંગ થવા અને વેપારની સમય મર્યાદા ઓછી થવાથી ઈશ્યૂ જારી કરનારાની સાથે-સાથે રોકાણકારને પણ લાભ થશે.

આ પગલાંથી ઈશ્યૂ જારી કરનારી કંપનીએ જે મૂડી એકઠી કરી છે, તે તેને જલદી મળી શકશે. તેનાથી વેપાર કરવો સરળ થશે અને રોકાણકારોને પણ તેમણે રોકેલા રૂપિયા જલદી પ્રાપ્ત કરવાની તક મળશે. સેબી મુજબ, પબ્લિક ઈશ્યૂ બંધ થયા પછી શેર્સના લિસ્ટિંગમાં લાગતો સમય 6 વર્કિંગ ડે (ટી + 6 દિવસ)થી ઘટાડીને ત્રણ વર્કિંગ ડે (ટી + 3 દિવસ) કરવાનો નિર્ણય લેવાયો છે. અહીં ’ટી’ આઈપીઓ બંધ થવાની છેલ્લી તારીખ છે.

સેબીએ કહ્યું કે, એએસબીએ (એપ્લીકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ) અરજીની રકમને ઈશ્યૂ કરવામાં મોડું કરવા માટે રોકાણકારોને ક્ષતિપૂર્તિની ગણતરી ટી+3 દિવસથી કરવામાં આવશે. સેબીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. નવી ગાઈડલાઈન મુજબ કંપનીઓના ઈશ્યૂ બંધ થયાના બીજા દિવસે સાંજે છ કલાક પહેલા અલોટમેન્ટ ફાઈનલ કરવાનું રહેશે. જે રોકાણકારોને શેરનું એલોટમેન્ટ નથી થયું, તેમનું ફંડ તેના બીજા દિવસે ટ્રાન્સફર થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.