Abtak Media Google News

સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવનાર 10 લાખ, આંશિક અસર પામનાર દર્દીઓને 5 લાખ અને સારવાર દરમિયાન દ્રષ્ટિ પાછી મળી હોય તેવા દર્દીઓને 2 લાખ વળતર આપવા આદેશ

હોસ્પિટલને મળતી ગ્રાન્ટમાંથી 5 કરોડ દંડ પેટે કાપી લેવા આદેશ

અમરેલીની શાંતાબા હોસ્પિટલની નવેમ્બર 2022 ઘોર બેદરકારી સામે આવી હતી. હોસ્પિટલની બેદરકારીના કારણે મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓએ આંખની રોશની ગુમાવી હતી. અંદાજે 25 જેટલા દર્દીઓને ઓપરેશન બાદ અસર જોવા મળી હતી. આ ઘટના બાદ દર્દીઓને અન્ય શહેરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા .કેટલાક દર્દીઓને રાજકોટ અને ભાવનગર ખસેડાયા હતો, તો 4 જેટલા દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

આ ઘટનામાં 12 દર્દીઓને અસર થઈ હતી. સમગ્ર બનાવ અંગે ફરિયાદ ઊઠતાં રાજ્ય સરકાર દ્વારા તપાસ અર્થે તજજ્ઞોની સમિતિ બનાવાઈ હતી.અમરેલીની શાંતાબા હોસ્પિટલ અંધાપા કાંડ મામલે રાજ્યના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અસરગ્રસ્ત 12 દર્દીઓને વળતર ચુકવવા શાંતાબા હોસ્પિટલને આદેશ આપવામાં આવ્યો છે. 10 દિવસની અંદર વળતર ચુકવી આરોગ્ય વિભાગને જાણ કરવા જણાવાયું છે. આ ઘટનામાં 12 દર્દીઓને અસર થઈ હતી.

કેટલાક દર્દીઓએ દ્રષ્ટી ગુમાવી તો કેટલાક દર્દીઓને આંશિક અસર થઈ હતી. ગત 16 નવેમ્બરથી 23 નવેમ્બર દરમિયાન અમરેલીની આ હોસ્પિટલમાં આંખના ઓપરેશન બાદ આડઅસર થઈ હતી. સંપૂર્ણ દ્રષ્ટી ગુમાવનાર દર્દીને 10 લાખ અને આંશિક અસર પામેલા દર્દીઓને 5 લાખ વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે. સારવાર દરમિયાન દ્રષ્ટી પરત મેળવનાર દર્દીને 2 લાખનું વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે. ગ્રાન્ટ પણ દંડ પેટે કાપી લેવામાં આવશે આ મામલે તપાસ સમિતિની રચના થઈ હતી. તપાસ સમિતિના અહેવાલમાં પણ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી. ઈન્ફેક્શન કંટ્રોલ પોલિસી અંતર્ગત યોગ્ય પગલા પણ લેવાયા ન હતા.

આ ઘટનાક્રમમાં સામેલ તબીબોની સામે મેડીકલ કાઉન્સીલ પણ પગલા ભરશે. ઉપરાંત હોસ્પિટલ ટ્રસ્ટ સાથે સંકળાયેલી હોવાથી ચેરીટી કમિશ્નર પણ કાર્યવાહી કરશે. શાંતાબા મેડીકલ કોલેજને રાજ્ય સરકાર તરફ મળવા પાત્ર ગ્રાન્ટમાંથી 5 કરોડની ગ્રાન્ટ પણ દંડ પેટે કાપી લેવામાં આવશે. ઘટના સમયે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટે ડોક્ટરોનો કર્યો હતો બચાવ આ સમગ્ર ઘટનામાં હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર. એમ જીતિયાએ હોસ્પિટલ અને ઑપરેશન કરનાર ડોક્ટરોનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમારા હોસ્પિટલના આંખની સારવાર માટેના વિભાગમાં મોતિયાની સારવાર મેળવ્યા બાદ આઠ-દસ લોકોને આંખમાં સોજાની સમસ્યા થઈ હતી. આ સમસ્યાનું કારણ એ હતું કે દર્દીઓને જ્યારે ફોલોઅપ માટે બોલાવ્યા તેમાંથી કેટલાક સમયસર ન આવ્યા અને આ સમસ્યા થઈ. જે સમયસર આવ્યા તેઓ સાજા થઈ ગયા છે.

અમરેલીની શાંતાબા હોસ્પિટલ રાજય સરકાર હસ્તગત કરે

12 વ્યકિતઓની આંખની  રોશની છીનવી લેનાર હોસ્પિટલ સામે કોઈ આકરી કાર્યવાહી કરાય નથી: મનિષ દોશી

અમરેલીની શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલ   આંખના ઓપરેશન બાદ 12-12 દર્દીઓના અંધાપાની ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં ને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે આક્રોશને પગલે રાજ્ય સરકારને ઉચ્ચ કક્ષાની સમિતિ બનાવવાની ફરજ પડી. જેનો અહેવાલ આઠ મહિના પછી જાહેર કરવામાં આવ્યો જે પ્રકારની માનવજીંદગી સાથે રમાયેલ રમત પછી પણ, ભાજપ સરકાર વગ ધરાવતા લાભાર્થી કોલેજના સંચાલકને બચાવી રહી હોવાનો પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જે અહેવાલ જાહેર થયો છે

તેમાં માળખાકીય સુવિધાઓની ખામી, સાધન સામગ્રીની ખામી, સર્જન અને સ્ટાફની ખામી સહીતની તમામ બેદરકારી સ્પષ્ટ જોવા મળી છે. જેના પરિણામે 12 જેટલા માનવ જીંદગીને આંખ ગુમાવવી પડી છે અને અંધાપાનો ભોગ બન્યા છે. શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલની ગંભીર બેદરકારી ઉજાગર થઈ છતાં, રાજ્ય સરકારના માત્ર અહેવાલથી નાણાંકીય દંડ સહિત નાના-નાના પગલા ભરીને સંતોષ માની રહી છે. ભાજપ સરકાર આવી ગંભીર બેદરકારી દાખવ્યા બાદ મેડીકલ કોલેજના સંચાલકો સામે કેમ ત્વરીત પગલા ન ભર્યા ? આઠ-આઠ મહિના સુધી કેમ અહેવાલ દબાવી દીધો ?

સરકારી નાણાંથી ઉભી થયેલ સીવીલ હોસ્પીટલ વગ ધરાવતા માલેતુજારને સોંપીને શું આવી ગંભીર બેદરકારી દાખવાના લાયસન્સ અપાઈ રહ્યા છે ? વગ ધરાવતા સામે શું માનવ જીંદગીની કોઈ કિંમત જ નહીં ? બનાવની ગંભીરતા અંગે સંસ્થાની બેદરકારી અને દૃષ્ટી ગુમાવેલ દર્દીઓ પ્રત્યેની ઉદાસીનતાને ધ્યાને રાખીને ભવિષ્યમાં આવી ગંભીર ઘટના બીજી કોઈ મેડીકલ કોલેજ – હોસ્પીટલમાં ન બને તે માટે શિક્ષાત્મક કાર્યવાહીની સાથે મેડીકલ કોલેજ-હોસ્પીટલનું સંચાલન તાત્કાલીક અસરથી રાજ્ય સરકાર હસ્તગત કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.