Abtak Media Google News

કોરોના સામે લડવા હાલ સુધી કોઈ સચોટ પદ્ધતિ સામે આવી નથી પરંતુ કેન્સર સામે લડવા સચોટ સાબિત થયેલી રેડિએશન થેરાપી કોરોના સામે લડવામાં સાર્થક નીવડી શકે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.

કેન્સર સામે લડવા આ થેરાપીનો હાઈ ડોઝ વાપરવામાં આવે છે જ્યારે કોરોના સામે લડવા લો ડોઝ રેડિએશન થેરાપી કારગત નીવડે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

કોરોનાની સામે લડવા અત્યાર સુધીમાં ઘણા ટ્રાયલ થયા, ઘણી દવાઓ આવી અને થેરાપીઓ થઈ પણ ચૂકી છે. આ બધા ફેરફારો વચ્ચે કોરોના વાઇરસને કારણે શરીરની ઈમ્યુનિટી હાઈપર એક્ટિવ થતા ફેફસાંમાં ડેમેજ વધતા ઓક્સિજનની જરૂર પડતી તેમજ સાઈટોકાઈન સ્ટોર્મથી મોત થવાના બનાવ બની રહ્યા છે.

આ સ્થિતિ અટકાવવા માટે દર્દીઓને સ્ટિરોઈડ આપીને ઈમ્યુનિટી ઘટાડી બચાવવામાં આવી રહ્યા છે. પણ, વધુ પડતા સ્ટિરોઈડને કારણે મ્યુકરમાઈકોસિસનો ખતરો વધ્યો છે અને દર્દીઓ એક રોગમાંથી નીકળ્યા બાદ બીજામાં ફસાઈ રહ્યા છે.

સ્ટિરોઈડનો ઉપયોગ ઘટે તો ફુગ ઘટી શકે પણ હાલ એવી કોઇ પદ્ધતિ નથી જોકે રાજ્યમાં માત્ર સ્ટિરોઈડનો ઉપયોગ ઘટાડવા પૂરતી જ નહિ પણ એક જ સપ્તાહમાં ઓક્સિજનની જરૂરિયાત સાવ ઘટાડવા માટે એલડીઆરટી એટલે કે લો- ડોઝ રેડિએશન થેરપી શરૂ થઈ રહી છે. શનિવારે આ અંગે નેશનલ કોન્ફરન્સ થઈ હતી. જેમાં નિષ્ણાત ઓન્કોલોજિસ્ટ સામેલ થયા હતા અને આ થેરપીના પરિણામો વિશે ચર્ચા થઈ હતી તેમાં રાજકોટના અગ્રણી ઓન્કોલોજિસ્ટ ડો. કેતન કાલરિયાને આમંત્રણ અપાયું હતું.

એઈમ્સ દિલ્હી અને પટનામાં આ થેરપીના ટ્રાયલ થયા છે. એક દર્દી કે જેના એક્સ-રે પરથી ફેફસાં 80 ટકા જેટલા ઈન્વોલ્વ થયા હતા તેમને ડોઝ અપાયો જ્યારે બીજા દર્દી કે જેના ફેફસાં 50 ટકા હતા તેમને ડોઝ અપાયો હતો. સપ્તાહ પછી પ્રથમ દર્દીના ફેફસાંનું ઈન્વોલ્વમેન્ટ 80 ટકા હતું તે 50 ટકા થયું જ્યારે બીજા દર્દીમાં 50 ટકા હતું તે ઘટીને 10 ટકાએ પહોંચ્યું હતું.

નિષ્ણાંતોના જણાવ્યાઅનુસાર ઓક્સિજન લેવલ 9) ઘટ્યું હોય તેવા કેસમાં ફેફસાંમાં પાણી ભરાવાનું શરૂ થતું હોય છે. આવા દર્દીઓના સીટી સ્કેન કરીને જેની સીટી સ્કેન વેલ્યૂ 10થી 20એટલે કે સામાન્ય ભાષામાં કહીએ ફેફસાં 30થી 80ટકા સુધી ખરાબ થયા હોય તેમને આ થેરાપી આપી શકાય. આઈસીયુમાં દાખલ હોય તેમજ ઓક્સિજનની જરૂરિયાત 7 લિટરથી વધુ હોય તેવા ગંભીર દર્દીઓને આપી શકાય નહીં.

ઓન્કોલોજિસ્ટ ડો. કેતન કાલરિયાએ જણાવ્યું છે કે, કોરાનાની સારવારમાં આ થેરપી આશાનું નવું કિરણ છે. માત્ર એક જ વખત અને તે પણ 5 જ મિનિટ સારવાર આપવાથી એક અઠવાડિયામાં દર્દીની તબિયત સુધરે છે. આ ઉપરાંત સ્ટિરોઈડ ઘટે તો મ્યુકરથી પણ છુટકારો મળશે. રાજકોટમાં આ થેરાપીનું ટ્રાયલ શરૂ કરવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ.

ડો. કાલરિયા જણાવે છે કે, 80થી 90વર્ષ પહેલા બેક્ટેરિયલ ન્યુમોનિયાના દર્દીઓના ફેફસાં બચાવવા એક્સ-રે મશીનનો ઉપયોગ કરીને આ સારવાર અપાતી હતી. એન્ટિ બેક્ટેરિયલની શોધ થતા સારવાર બંધ થઈ હતી. હવે વાઇરસથી થતા ન્યુમોનિયામાં કે જ્યારે કોઇ દવા કામ કરતી નથી ત્યારે ફેફસાં બચાવવા ફરીથી આ સારવાર સફળ નીવડી શકે છે.

સાઈટોકાઈન સ્ટોર્મ ઘટાડવા માટે રોગપ્રતિકારક શક્તિ ઘટાડવી ફરજિયાત છે. સ્ટિરોઈડના ઈન્જેક્શન અપાય તો આખા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે આ કારણે બીજા ચેપની શક્યતા વધી જાય છે. જ્યારે રેડિએશન થેરાપીમાં માત્ર ફેફસાંમાંના જ ઈન્ફલામેન્ટ્રી સેલ ડિએક્ટિવેટ થાય છે અને ત્યાં જ ઈમ્યુનિટી ઘટે છે. બીજા અંગો પર ફરક પડતો નથી એટલે જ મ્યુકરમાઈકોસિસ થવાના ચાન્સ રહેતા નથી.

70 ગ્રે જેટલા માપનું રેડિએશન અપાય છે જ્યારે લો ડોઝમાં ફક્ત 0.3થી 1.5 સુધીનું રેડિએશન અપાય છે અને એક જ વખત અપાય છે. ફેફસાંમાં આ રેડિએશન જતા પાણી ભરાવવા માટે અથવા તો ઈમ્યુનિટીને હાઇપર બનાવવામાં જે ઈન્ફ્લામેન્ટ્રી સેલ જવાબદાર છે તેમાંથી ખાસ પ્રકારના કેમિકલ નીકળે સોજા ચડાવતા હોય છે. તે પૈકી એક કેમિકલ આઈએલ-6 પણ હોય છે આ કેમિકલની હાજરી રિપોર્ટમાં નોંધાતી હોય છે. રેડિએશન આ પ્રકારના ઈન્ફ્લામેન્ટ્રી સેલને જ ડિએક્ટિવેટ કરી દે છે જેથી તેમાંથી આઈએલ-6 જેવા કેમિકલ નીકળતા નથી અને ફેફસાંમાં પાણી ભરાવું કે સોજા ચડવાની નોબત આવતી નથી.

કોરોનાના વાયરસને નાથવા પ્રયોગો જામ્યા!!

કોરોના સામે લડવા અનેક પ્રયોગો જામ્યા છે. વિશ્વભરના નિષ્ણાંતો સચોટ સારવાર પદ્ધતિ શોધવા જામી પડ્યા છે. ત્યારે ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના વિજ્ઞાનીઓના રિસર્ચના પરિણામોએ કોરોના મહામારીથી છુટકારાની આશા જગાવી છે. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ સ્થિત ગ્રિફિથ યુનિવર્સિટીની મેન્ડીસ હેલ્થ ઇન્સ્ટિ. તથા સિટી ઑફ હોપ રિસર્ચ એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટરે એક ક્રાંતિકારી થેરપી શોધી છે. તેની મદદથી કોરોના વાઇરસને ટારગેટ કરીને સંપૂર્ણપણે ખતમ કરી શકાય છે.

રિસર્ચ ટીમનું નેતૃત્ત્વ કરનારા વિજ્ઞાની નાઇજેલ મેકમિલનના કહેવા મુજબ, આરએનએ ટેક્નિક દ્વારા શરીરમાં પ્રવેશતા 99.9% વાઇરસ જડમૂળથી ખતમ કરાયા. ઉંદરો પર કરાયેલા પ્રયોગ દરમિયાન ફેફ્સાંમાં ફેલાયેલો કોરોના વાઇરસ સંપૂર્ણપણે ખતમ થઇ ગયો.દવા દર્દીના શરીરમાં રહેલા કોરોનાના જિનોમને મારીને શરીર કે ફેફ્સાંમાં તેનું સંક્રમણ વધતું અટકાવે છે. પરિણામે પ્રતિરોધક કોષો વાઇરસને ખતમ કરી દે છે. આ થેરપી ડાયરેક્ટ એક્ટિંગ એન્ટી વાઇરલ થેરપી તરીકે ઓળખાય છે, જે દરમિયાન લિપિડ નેનો પાર્ટિકલ દ્વારા દર્દીના ફેફ્સાંમાં દવા છોડી દેવાય.

શરીરમાં એન્ટિબોડી વધી જાય તો સામા ખાવા દોડે?

કોરોનાની પહેલી લહેર દરમિયાન સારવાર માટે ફક્ત એન્ટીબોડીની એક માત્ર આશા હતી. જેના માટે અનેકવિધ પદ્ધતિઓ પણ શરૂ કરાઇ હતી. તે પદ્ધતિઓ પૈકી પ્લાઝ્મા થેરાપીને હાલમાં જ પ્રતિબંધિત કરવામાં આવી છે. ત્યારે એક ચોંકાવનારી વિગત એવી ઓણ મળી રહી છે કે, અતિની ગતિ નહિ તે મુજબ શરીરમાં એન્ટીબોડી વધી જાય તો તે સામે અન્ય કોષોને ખાવા દોડે છે.

વધુ પડતા એન્ટીબોડીને કારણે નકારાત્મક અસર પડી રહી છે તેથી આ એન્ટીબોડી શરીરમાં રહેલા અન્ય કોષોને ખાવા દોડી રહ્યા છે જેના કારણે શરીરનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. આ અસરને કારણે દર્દીની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અને હાલ આવા એક-એક કેસ સુરત અને રાજકોટમાં નોંધાયા છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જો કે, હાલ સરકારી ચોપડે આવી કોઈ વિગતો જાહેર કરાઈ નથી.

રસીની રસ્સાખેંચ!!

સો મણનો સવાલ: રસીનો 40 ટકા જથ્થો જાય છે કયાં?

ભારત બાયોટેક, સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉત્પાદિત રસીના જથ્થાનો હિસાબ મળી રહ્યોં નથી. જે રીતે સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આંકડા આપવામાં આવ્યા છે તે મુજબ દર મહિને બંને સંસ્થાઓ દ્વારા આશરે 8.5 કરોડ રસીના ડોઝ તૈયાર કરવામાં આવે છે. એપ્રિલ મહિનામાં કોવિન પોર્ટલ મુજબ 22 દિવસમાં પ્રતિદિન 16.2 લાખ લોકોને સરેરાશ રસી અપાઈ રહી છે જે મુજબ એક મહિનામાં આશરે 5 કરોડ ડોઝ લોકોને અપાઈ રહ્યા છે ત્યારે બાકીના 3 કરોડ ડોઝ સ્ટોકમાં હોવા જોઈએ. સાંપ્રત પરિસ્થિતિમાં રસી માટે ખેંચતાણ થઈ રહી છે. અનેક રાજયમાં રસીના ડોઝનો સ્ટોક નહીં હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તો સ્ટોકમાં રહેલા 3 કરોડથી વધુના ડોઝ ક્યાં ગયા તે સવાલ ઉદ્ભવયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.