Abtak Media Google News

જૂનાગઢ સક્કરબાગના છ સિંહોને બિહારના બે પ્રાણી સંગ્રહાલયમાં મોકલવાયા

કેવડિયા ખકતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં બિહારથી પઇલેક્શનથ નામની માદા ગેંડાનું આગમન કરવામાં આવ્યું છે. પરંતુ એક માત્ર ગેંડાની સામે ગુજરાતથી જૂનાગઢના સક્કરબાગના છ સિંહોને બિહારના ઝૂ ખાતે મોકલવામાં આવ્યા છે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા ઝૂમાં બિહારથી ઇલેક્શન નામના માદા ગેંડાને લાવવામાં આવી છે. તેની સામે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી છ સિંહને બિહારના બે ઝૂમાં મોકલવામાં આવ્યા છે.

એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આવેલા આ માદા ગેંડાનું બ્રિડીંગ કરાવાશે. જોકે, એના બદલામાં ગુજરાતના વનવિભાગે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં આપેલા છ સિંહમાં બે નર અને ચાર માદાનો સમાવેશ થાય છે. આ પૈકી ત્રણ પટણાના સંજય ગાંધી પ્રાણી સંગ્રહાલય અને ત્રણ રાજગીરમાં આવેલા રાજગીર સફારી ખાતે મોકલાયા છે. નોંધનીય છેકે, કેવડિયામાં ઝૂ શરૂ થયા બાદ તેને ઘણા દુર્લભ પ્રજાતિના પ્રાણીઓથી સમૃદ્ધ બનાવવા સક્કરબાગ ઝૂમાંથી જ પ્રાણી મોકલાય છે. દેશવિદેશના દૂર્લભ પ્રાણીઓ કેવડિયામાં જોઈ શકાય છે. ભારતમાં એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ બધાજ ઝૂ એકબીજાને પ્રાણીની આપ લે કરે છે.

કેવડિયામાં આ અગાઉ પણ મુંબઇથી ઝીબ્રાના બદલામાં જે પ્રાણી અપાયા એ સક્કરબાગથી જ ગયા હતા. જોકે, કેવડિયા ઝૂ નવું હોઇ ત્યાં આપવા જેવું કશું ન હોવાથી અને રાજ્ય સરકાર પાસે સક્કરબાગનો વિકલ્પ ન હોવાથી આમ થઇ રહ્યું છે. જોકે, આ બધામાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી જરૂરી હોય છે.

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી કેવડિયા માટે પ્રાણીઓ બીજા રાજ્યમાં ગયા. પણ ખુદ સક્કરબાગ ઝૂમાં છેલ્લે બાયસન એટલે કે જંગલી ભેંસ અને હિપોપોટેમસનું બચ્ચું આવ્યું હતું. એ પહેલાં તો સક્કરબાગથી સિંહ જેવા પ્રાણીના બદલામાં બેંગલુરુથી જંગલી કૂતરા આવ્યા હતા. ટૂંકમાં, કિંમતી અને આકર્ષક પ્રાણીઓના મામલે સક્કરબાગ છેલ્લા કેટલાક વર્ષોથી ખોટમાં રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.