Abtak Media Google News

પ્રથમ તબક્કે ૩૦ મિલ્કતોની ત્રીજીએ મહાપાલિકા કરશે હરાજી

૧૮૦ મિલ્કત ધારકો પાસે ૧.૧૬ કરોડનો વેરો બાકી શહેરમાં વેરા ચૂકવવામાં નિષ્ફળ ગયેલા ૧૮૦ મિલકતધારકો પૈકી ૩૦ મિલકતોની હરાજી કરવા મહાપાલિકાએ નિર્ણય કર્યો છે.

શહેરમાં ૧૮૦ મિલકતધારકો પાસે રૂ. ૧.૧૬ કરોડનો વેરા બાકી છે જેમાં નોટિસ આપવા છતાં વેરા નહીં ભરનાર મિલકતધારકો ડિફોલ્ટર બનતા આવી મિલકતો સીલ કરાઇ છે. આ મિલકતો પૈકી ૩૦ મિલકતોની હરાજી કરાશે.

જામનગર મહાપાલિકાએ વેરા વસુલાત માટે બાકીદારોની મિલકતની હરરાજી કરવા નિર્ણય કર્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ફુલ ૧૮૦ મિલકત ધારકો ની એક કરોડ ૧૬ લાખની વેરાની રકમ બાકી હોવાથી મિલકતો સીલ કરી હતી. તેમ છતાં મિલકત ધારકો બાકી રોકાતો મિલકતોનો વેરો ભરતા ન હોવાથી તે પૈકીની ૩૦ મિલકતોની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ૩ ડિસેમ્બરે ટાઉનહોલમાં હરાજી કરવામાં આવશે અને ૩૦ લાખની બાકી રોકાતી વેરાની રકમ વસુલ કરશે. બીજા તબક્કામાં અન્ય બાકી મિલકતોની પણ હરાજી કરવામાં આવશે. અત્યાર સુઘીમાં ૬૫ મિલકત ધારકો પોતાની મિલ્કતો છોડાવી ગયા છે. જ્યારે ૧૧૫ મિલકતોની વેરા વસુલાત હજુ બાકી રહે છે. મહાનગરપાલિકા દ્વારા એક કરોડ ૧૬ લાખ જેટલી વેરાની બાકી રકમ વસૂલાત કરવા માટે ૧૮૦ મિલકત સીલ કર્યા પછી આખરી નોટિસ આપી હતી તેમ છતાં પણ મિલકત વેરો નહિ ભરતાં ૩૦ મિલકતોની હરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગામી ૩ ડિસેમ્બરે ટાઉનહોલમાં જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરાશે.

૩૦ મિલકત ધારકો કે તેઓની મિલકતની વેલ્યુ ચાર કરોડ ૯૫ લાખ જેટલી થવા જાય છે. અને જામનગરના કોઈપણ આસામી હરાજીની પ્રક્રિયામાં પંદર હજાર રૂપિયાની ડિપોઝીટ ભરીને બોલી બોલાવી શકશે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી તમામ ૩૦ દુકાનો કે જે સંપૂર્ણ કોમર્શિયલ બાંધકામ છે. તેની હરાજીની પ્રક્રિયા હાથ ધરી ૩૦ લાખનો વેરો વસુલાત કરી બાકીની રકમ મિલકત ધારકના મૂળ માલિકને પરત કરી દેવાશે. જે દરમિયાન હજુ પણ કોઇ મિલકત ધારકો બાકી વેરો ભરી દેવા માંગતા હોય તો તેઓની ટાઉનહોલમાં વેરાની રકમ સ્વીકારી લેવામાં આવશે. કુલ ૧૧૮ મિલકત ધારકોનો વેરો વસૂલવાનો બાકી હતો જે પૈકી હરાજીની જાહેરાત થતાં ૬૫ મિલકત ધારકો પોતાનો બાકી વેરો ભરી ગયા છે અને મિલકત છોડાવી લીધી છે. પરંતુ હજુ ૧૧૫ લોકો વેરો ભરપાઇ કરી નથી ગયા જે તમામની તબક્કાવાર હરાજીની પ્રક્રિયા હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.