Abtak Media Google News

જી.20 સમિટ માટે સજજ થતુ ગુજરાત

કેન્દ્રીય મંત્રી  પીયૂષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને જી20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત 23 જાન્યુઆરીએ ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહેશે

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ભારત માટે જી20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે. 18મી જી-20 સમિટ સપ્ટેમ્બર 2023માં આયોજિત થશે.

ગુજરાત શ્રેણીબદ્ધ ચર્ચાઓ, વિચાર-વિમર્શ અને બેઠકોના આયોજન સાથે આ ઐતિહાસિક ઘટનામાં પોતાની ભૂમિકા ભજવવા માટે સજ્જ છે. ગુજરાતમાં યોજાનારી 15 બેઠકોમાંથી પ્રથમ બેઠક બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ છે, જે ગાંધીનગરમાં 22 થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન યોજાશે.

બી-20 ઇન્સેપ્શનના ઉદ્ઘાટન સમારોહમાં માનનીય કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી  પીયૂષ ગોયલ, માનનીય કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, કોમ્યુનિકેશન્સ અને રેલ્વે મંત્રી   અશ્વિની વૈષ્ણવ,   મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જી20 માટે ભારતના શેરપા    અમિતાભ કાંત ઉપસ્થિત રહેશે. આ સાથે જ,  બી.20 ઈન્ડિયા હેઠળ બિઝનેસ એજન્ડા પર પરિણામલક્ષી ચર્ચાઓ અને વિચાર-વિમર્શને પ્રોત્સાહિત કરવા માટે બી. 20ના અધ્યક્ષ તેમજ ટાટા સન્સના ચેરમેન  એન. ચંદ્રશેખરન અને 150થી વધુ પોલિસી મેકર્સ, થોટ લીડર્સ, બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ, સીઇઓ, અને જી20 દેશોની એન્ટરપ્રાઇઝોનું પ્રતિનિધિત્વ કરતા સિનિયર એક્ઝિક્યુટિવ્સ તેમજ સંખ્યાબંધ બહુપક્ષીય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉદ્ઘાટન બેઠકમાં હાજરી આપશે.

ગુજરાત સરકાર જી-20 પ્રતિનિધિઓ માટે રાત્રિભોજનનું આયોજન કરશે અને ત્યારબાદ દાંડી કુટીરની મુલાકાત લેશે. આ પ્રતિનિધિમંડળ મહાત્મા મંદિરના એમ્ફી થિયેટર ખાતે ગરબા અને દાંડિયાની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનો પણ અનુભવ કરશે. સરકારે ગાંધીનગરના પુનિત વનમાં જી20 પ્રતિનિધિઓ માટે યોગ અને આયુર્વેદ સત્રનું પણ આયોજન કર્યું છે. આ સાથે, કાર્યક્રમના સ્થળ પર લાઇવ ક્રાફ્ટ ડેમો અને બાજરી સ્ટેશન પણ ઊભું કરવામાં આવશે. આ પ્રતિનિધિઓ ઉભરતા વૈશ્વિક ફિન-ટેક સિટી, ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેશે તેમજ ગુજરાતના વારસા અને સંસ્કૃતિની ઝલક મેળવવા માટે તેઓ અડાલજની વાવની મુલાકાત લેશે અને ત્યારબાદ પુનિત વન ખાતે ઇકો ટુર કરશે.

બી-20 ઇન્સેપ્શન બેઠકનો મુખ્ય કાર્યક્રમ બી-20 ઇન્ડિયા સેક્રેટેરિએટ દ્વારા બનાવવામાં આવ્યો છે, જે આર.એ.આઈૅએસ.ઈ. રિસ્પોન્સીબલ, એક્સલરેટેડ, ઇનોવેટિવ, સસ્ટેનેબલ એન્ડ ઇક્વીટેબલ બિઝનેસ: જવાબદાર, ઝડપી, નવીન, ટકાઉ અને સમાન વ્યવસાયો”ના વિષય પર આધારિત હશે. ઇન્સેપ્શન મીટિંગ બી.20 ઈન્ડિયા હેઠળના તમામ ટાસ્ક ફોર્સ અને એક્શન કાઉન્સિલના પ્રમુખપદના કાર્યને ઔપચારિક રીતે શરૂ કરશે. આ મીટિંગમાં નક્કી કરેલી પ્રાથમિકતાઓ પર ચર્ચા કરવામાં આવશે, અને આ મીટિંગ લીડર્સ સમિટ પહેલા જી20માં સબમિટ કરવા માટેના પોલિસી રેકમેન્ડેશન્સ ઘડવાની દિશામાં કામ શરૂ કરશે.

બી.20 પ્રતિનિધિઓ ક્લાઇમેટ ચેન્જ, યુદ્ધ અને મહામારીના સમયમાં સરહદ પારનો ડિજિટલ સહયોગ, સસ્ટેનેબલ અને રેઝિલિયેન્ટ વેલ્યુ ચેઇન્સ, નેટિઝન્સ વચ્ચે ઇનોવેશનનું સ્તર વધારવું, અને વિવિધ સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ ધરાવતા સમુદાયોને સશક્ત બનાવવા માટે નાણાકીય સમાવેશ જેવા બહુપક્ષીય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા અને વિચાર-વિમર્શ કરશે. વધુમાં, ટાસ્ક ફોર્સ રેઝિલિયન્ટ ગ્લોબલ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ માટે ઇન્ક્લુઝિવ જીવીસી  પર કામ કરશે, તેમજ કામના ભાવિ, કૌશલ્ય અને ગતિશીલતા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને વૈશ્વિક આર્થિક પુન:પ્રાપ્તિ માટે ધિરાણની ચર્ચા કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.