Abtak Media Google News

નેશનલ ન્યુઝ 

પર્સનલ લોન 0.50 ટકા મોંઘી બનશે, બેંકોની લોન ગ્રોથ બે ટકા ઘટી જશે અને બેન્કોની મૂડી પર્યાપ્તતામાં 0.6 ટકાનો ઘટાડો થઈ જવાના એંધાણ

રિઝર્વ બેંક દ્વારા બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ માટે અસુરક્ષિત લોન સંબંધિત નિયમોને કડક બનાવવાને કારણે બેંકોને વધુ રૂ.84 હજાર કરોડના ભંડોળની જરૂર પડવાની છે.એસબીઆઈના અર્થશાસ્ત્રીઓએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે લોનની કડકતા હેઠળ બેંકોને 84,000 કરોડ રૂપિયાની મૂડીની જરૂર પડશે. રિપોર્ટ અનુસાર રેપો રેટ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં, આરબીઆઈ વૃદ્ધિ અને ફુગાવાના નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે રોકડ વ્યવસ્થાપન અને સમજદાર મેક્રોઈકોનોમિક પગલાંનો આશરો લઈ રહી છે. મધ્યસ્થ બેંકે એક મજબૂત સંદેશ મોકલ્યો છે કે તે કોઈપણ પ્રારંભિક નાણાકીય સ્થિરતા જોખમોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

આ નિર્ણયથી પર્સનલ લોન 0.50 ટકા મોંઘી થશે. મધ્યસ્થ બેંકે અસુરક્ષિત લોન માટે જોખમનું વજન 25 ટકાથી વધારીને 125 ટકા કર્યું છે. આની સૌથી વધુ અસર એનબીએફસી પર પડશે કારણ કે બેંકો પાસેથી મૂડી લેવાને કારણે તેમની લોન મોંઘી થશે.આ નિર્ણયથી હવે બેંકો અને એનબીએફસીએ વધુ મૂડી પોતાની પાસે રાખવી પડશે. આનાથી તેઓ ધિરાણની ઝડપ ઘટાડી શકે છે અને વ્યાજદરમાં વધારો કરી શકે છે. મેક્વેરી કેપિટલે કહ્યું કે, આ કડકાઈથી બેંકોની લોન ગ્રોથ બે ટકા ઘટી શકે છે. ખાનગી બેંકો માટે બહુ સમસ્યા નથી, પરંતુ સરકારી બેંકો માટે તે મોટી સમસ્યા બની શકે છે. રેટિંગ એજન્સી નોમુરાએ જણાવ્યું હતું કે, આરબીઆઈની કડકતા એ સ્પષ્ટ સંકેત છે કે તે અસુરક્ષિત લોન વૃદ્ધિને રોકવા માંગે છે. આઇડીબીઆઈ બેન્કના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર સુરેશ ખટનાહરે જણાવ્યું હતું કે બેન્કો અસુરક્ષિત લોન ક્ષેત્રમાં જોખમ ઘટાડવાનું વિચારી શકે છે.

એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે કહ્યું કે, આરબીઆઇના નિર્ણયથી બેન્કોની મૂડી પર્યાપ્તતામાં 0.6 ટકાનો ઘટાડો થઈ શકે છે. એજન્સીના ક્રેડિટ એનાલિસ્ટ ગીતા ચુગે જણાવ્યું હતું કે ધીમી ધિરાણ વૃદ્ધિ અને જોખમ વ્યવસ્થાપન પર વધુ ભાર ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં એસેટ ગુણવત્તામાં સુધારો કરશે. આ ફેરફારોની ભારતના નાણાકીય ક્ષેત્રની ધિરાણપાત્રતા પર તાત્કાલિક અસર થશે નહીં.

બેંક બજારના સીઈઓ આદિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, જે ગ્રાહકોની આવક અને ક્રેડિટ સ્કોર સારી છે અને જેમણે સમયસર હપ્તા ચૂકવ્યા છે, તેઓને આ નિર્ણયથી કોઈ અસર થશે નહીં. બેંકો પહેલાની જેમ આવા ગ્રાહકોને લોન આપવાનું ચાલુ રાખશે. અગાઉ પણ લોન પેમેન્ટમાં ડિફોલ્ટ કરનારાઓને અસર થઈ હતી. હજુ પણ થશે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ પર નિયંત્રણ જે આક્રમક રીતે ક્રેડિટ કાર્ડ અને વ્યક્તિગત લોનનું વિતરણ કરી રહી હતી. આખો નિર્ણય નાની લોનને લઈને છે, તેથી તેની વધારે અસર નહીં થાય.
એસબીઆઈના ચેરમેન દિનેશ કુમાર ખરા કહે છે કે આરબીઆઈ દ્વારા અસુરક્ષિત લોનને રોકવા માટે જોખમના વજનમાં વધારો કરવાથી અમારી પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ પર 0.50 થી 0.60 ટકાની અસર થઈ શકે છે. વ્યક્તિગત લોન માટેના કડક નિયમોની મૂડી ગુણોત્તર પર ન્યૂનતમ અસર પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.