Abtak Media Google News

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના હસ્તે તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ  સી. આર. પાટીલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતેથી ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગર તેમજ સૌરાષ્ટ્ર વિભાગ માટે નિર્માણાધીન નવીન કાર્યાલયનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ નવીન કાર્યાલયના ઈ-ખાતમુહૂર્ત પ્રસંગે રાજકોટ મહાનગર અને સૌરાષ્ટ્ર વિભાગના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર વિભાગનું ભારતીય જનતા પાર્ટીનું નવીન કાર્યાલય પક્ષ માટે પાવર હાઉસ બનશે. રાજકોટ ભાજપનું નવીન કાર્યાલય પક્ષના વિકાસનું કેન્દ્ર બને તે જરૂરી છે. રાજકોટમાં ૧૯૫૧-૫૨થી જનસંઘ વખતથી પક્ષનું કાર્યાલય કાર્યરત છે. આજ રીતે આ કાર્યાલય ઝડપથી તૈયાર થાય અને ધમધમતુ થાય તે માટે આપણે સૌએ પ્રયાસો કરવા પડશે. કાર્યાલયમાં યોગ્ય વ્યવસ્થા અને પદ્ધતિથી પક્ષના કાર્યનો વિકાસ થાય છે.

મુખ્યમંત્રીએ ખાસ ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, પક્ષનો વિકાસ અને વ્યાપ વધારવા માટે “ચાર-ક” એટલે કાર્યાલય, કાર્યકર્તા, કોષ અને કાર્યક્રમ ખૂબ જ જરૂરી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ જનસંઘ વખતની યાદો તાજી કરીને જણાવ્યું હતું કે, એક સમયે કાર્યકર્તાની ઘરે કાર્યાલય ચાલતું હતું રાજકોટમાં એસ.ટી. બસ સ્ટેશન સામે આવેલા ઉદય મકાનમાં એક રૂમમાં આપણું કાર્યાલય ચાલતું હતું. જ્યાં ચકુભાઈ ડોડીયાએ આપણી પાર્ટીનો પાયો નાખ્યો હતો અને ત્યાર બાદ સ્વ. ચીમનભાઈ શુક્લ અને સ્વ.  અરવિંદભાઈ મણિયારે પાર્ટીને વધુ મજબૂત કરવા, કાર્યકર્તાઓમાં પાર્ટીના પાયાના સંસ્કારનું સિંચન કરવા અવિસ્મરણીય યોગદાન આપ્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ સુવિધાયુક્ત ૬૦ હજાર ચોરસ ફૂટમાં નિર્માણાધિન આ આધુનિક કાર્યાલયમાં તૈયાર થનાર ૪૦૦-૫૦૦ની બેઠક વાળો હોલ ઉપલબ્ધ થવાથી આપણે હવે અન્ય સ્થાનો પર હોલ શોધવા જવાની જવાબદારીમાંથી મુક્તિ મળશે. ભારતીય જનતા પાર્ટી પરિવારની ભાવનાથી કામ કરતો પક્ષ છે. આપણે “સૌના સુખે સુખી અને સૌના દુઃખે દુઃખી”ના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ. આપણા પક્ષમાં સામાન્ય કાર્યકર્તાની પણ વિશેષ ચિંતા કરવામાં આવે છે, અને તેના પરિણામે આજે પક્ષમાં લાખો કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. કોરોના જેવી મહામારીમાં પણ ફીઝીકલી નહીં પણ ડીજીટલના માધ્યમથી આપણે આ ઈ-ખાતમુહૂર્ત હાથ ધર્યું છે.

આ નવીન કાર્યાલયમાં તમામ કાર્યકર્તાઓનો ડીજીટલ ડેટા તેમજ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને આપણે પક્ષ અને કાર્યાલયને ડીજીટલી સજ્જ બનાવવું છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને પક્ષના કાર્યકર્તાઓને નવીન કાર્યાલય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી. આર. પાટીલે આ પ્રસંગે શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓએ પાર્ટીને વૃક્ષની જેમ ઉછેરીને આજે પક્ષ વડલા જેટલો વિશાળ થયો છે તેની વ્યવસ્થા માટે આ નવીન કાર્યાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. કોઈપણ પક્ષના વિકાસ માટે કાર્યકર્તાઓનો પરિશ્રમ ખૂબ જરૂરી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપમાં લાખ્ખો કાર્યકર્તા પક્ષ માટે પોતાનો કિંમતી સમય આપી રહ્યા છે. તેને ધ્યાન ઉપર રાખીને નવી દિલ્હી ખાતે પણ માત્ર ૧૫ માસમાં કમલમ કાર્યાલય તૈયાર કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે પણ આ કાર્યાલય ૧૫ માસથી પણ ઓછા સમયમાં પૂર્ણ કરી રેકોર્ડ બનાવીને દાખલો આપવાનો છે કે આપણે જે કામ હાથ ઉપર લઈએ છીએ તેને ઝડપી પૂર્ણ કરીએ છીએ.

આ નવીન કાર્યાલય આધુનિક ટેક્નોલોજીથી સજ્જ બને અને સૌરાષ્ટ્રના નાનામાં નાના કાર્યકર્તાનો પણ નામ સહિતનો ડીજીટલ રેકોર્ડ ઉપલબ્ધ થાય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ તેમ જણાવી શ્રી પાટીલે તમામ કાર્યકર્તાઓને આ કાર્યાલયના ઈ-ખાતમુહૂર્ત પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ગાંધીનગર ખાતે ભાજપના સંગઠન મંત્રી શ્રી ભીખુભાઈ દલસાણિયા, ભાજપ મહિલા મોરચાના રાજકોટના પ્રભારી શ્રીમતી અંજલિબેન રૂપાણી તેમજ રાજકોટ ખાતે ધારાસભ્ય સર્વે શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી લાખાભાઈ, શ્રી અરવિંદભાઈ, રાજકોટના મેયર શ્રીમતી બિનાબેન સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.