Abtak Media Google News

પ્રથમ એકેડમિક વર્ષ 1-ઓગસ્ટથી થશે શરૂ: માર્ચથી એડમીશન પ્રક્રિયાની શરૂઆત થશે

બિટ્સ લો સ્કૂલ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં 63-એકરના યુનિવર્સિટી કેમ્પસની અંદર સ્થળાંતરિત થશે, જે માટે રૂ. 1500 કરોડનું રોકાણ થઈ રહ્યું છ ભારત સરકાર તરફથી ‘ઇન્સ્ટિટ્યૂશન ઓફ એમિનન્સ’નો દરજ્જો પ્રાપ્ત કરનાર યુનિવર્સિટીઝ પૈકીની પ્રથમ અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટી બિટ્સ પિલાનીએ ગ્રેટર મુંબઈમાં બિટ્લ લો સ્કૂલ સાથે કાયદાકીય ક્ષેત્રના શિક્ષણમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી હતી. અદ્યતન બિટ્સ લો સ્કૂલ કાયદાકીય અભ્યાસના નવેસરથી પરિભાષિત તમામ પાસાં ધરાવે છે, જેમાં લવચિક કે સાનુકૂળ અને આંતરશાખીય અભ્યાસક્રમ, શિક્ષણમાં સંવેદના અને રચનાત્મક પર ભાર, કાયદાકીય લેખન અને વિદ્વતાપૂર્ણ સંશોધન પર કેન્દ્રિત ધ્યાન, તમામ પ્રોગ્રામમાં ડિજિટલ ટેકનોલોજી પર ભાર અને ઉદાર સ્કોલરશિપ્સ દ્વારા સરળ સુલભતા સામેલ છે.બિટ્સ લો સ્કૂલ બે અતિ લોકપ્રિય પાંચ-વર્ષના સંકલિત પ્રોગ્રામ – બી. એ. એલએલ.બી (ઑનર્સ) અને બી.બી.એ. એલએલ.બી (ઑનર્સ) ઓફર કરશે. પ્રથમ એકેડેમિક વર્ષ 1 ઓગસ્ટ, 2023થી શરૂ થશે અને આ માટે એડમિશન પ્રક્રિયાની શરૂઆત માર્ચ, 2023માં શરૂ થશે.

આ પ્રસંગે બિટ્સ પિલાનીના ચાન્સેલર કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે, ભારતની યુનિવર્સિટીઓ અને વિશેષ શૈક્ષણિક કેન્દ્રો દેશને સમાન, વિવિધતાસભર અને સર્વસમાવેશક જ્ઞાન આધારિત અર્થતંત્ર તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઇન્સ્ટિટ્યૂશન ઓફ એમિનન્સ તરીકે બિટ્સ પિલાની અદ્યતન રચનાત્મક, બહુશાખીય અને ભવિષ્ય માટે સજ્જ લીડર્સ વિકસાવવામાં મોખરે રહેવાની વિશિષ્ટ સ્થિતિમાં છે. નવા સાહસિક વિઝન અને અભિયાન સાથે બિટ્સ લો સ્કૂલ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ, અદ્યતન અને વિકસતી સમસ્યાઓનું સમાધાન કરવા કાયદાકીય શિક્ષણને નવેસરથી પરિભાષિત કરવા ઇચ્છે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી)માંથી પ્રેરણા લઈને અને યુવાન ભારતીયોની વધતી આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને બિટ્સ લો સ્કૂલ નવા વિચારોનો સમન્વય કરશે. અમારી આંતરરાષ્ટ્રીય સ્તરની શિક્ષણ પદ્ધતિઓ, નવીન અભ્યાસક્રમ અને ઉત્કૃષ્ટ ફેકલ્ટી કાયદાકીય વ્યવસાયો બનવા ઇચ્છતાં લોકોને વિશિષ્ટ અનુભવ આપશે.

બિટ્સ લો સ્કૂલ કાયદાકીય સમુદાય, ઉચ્ચ શિક્ષણ, વ્યવસાય અને નીતનિર્માણના પ્રસિદ્ધ લોકો પાસેથી બૌદ્ધિક માર્ગદર્શન મેળવશે. સ્કૂલની સલાહકાર પરિષદમાં સામેલ કેટલાંક પ્રતિષ્ઠિત સભ્યો છે – જસ્ટિસ યુ યુ લલિત (પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધિશ), જસ્ટિસ બી એન શ્રીક્રિષ્ના (પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધિશ), સુશ્રી પલ્લવી શ્રોફ (મેનેજિંગ પાર્ટનર, શાર્દૂલ અમરચંદ મંગળદાસ એન્ડ કંપની) અને શ્રી હૈયગ્રીવ ખેતાન (મેનેજિંગ પાર્ટનર, ખેતાન એન્ડ કંપની). બિટ્સ લો સ્કૂલના સ્થાપક ડીન તરીકે પ્રોફેસર (ડો.) આશિષ ભારદ્વાજ જોડાશે.

સ્થાપક ડીન, પ્રોફેસર (ડો.) આશિષ ભારદ્વાજે કહ્યું હતું કે, બિટ્સ લો સ્કૂલ કાયદો શીખવામાં રસ ધરાવતા, એકેડેમિક સંશોધનમાં નવા માપદંડો સ્થાપિત કરવા ઇચ્છતાં તથા સમયસર ન્યાયની સાથે નૈતિક દુનિયાનો સમન્વય કરવાની અમારી માન્યતામાં વિશ્વાસ ધરાવતા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને આવકારશે. અમારો પ્રગતિશીલ, આંતરશાખીય અને ટેકનોલોજી-સંચાલિત અભિગમ વિદ્યાર્થીઓને કાયદો જાણવા-સમજવા, કાયદાની પ્રેક્ટિસ કરવા, કાયદા સાથે જીવવા અને કાયદા દ્વારા સક્ષમ બનવામાં મદદરૂપ થશે. અમે ભારતનું નિર્માણ કરનાર હાર્દરૂપ મૂલ્યો અને ભારતનું નેતૃત્વ કરનાર લોકોના પાયારૂપ વિશ્વાસોને આધારે એક પ્રેરણાદાયક માપદંડ સ્થાપિત કરવાની આકાંક્ષા ધરાવીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.