Abtak Media Google News

હવે 9 ને બદલે 6 મહિનામાં લગાવી શકશો કોરોનાનો બૂસ્ટર ડોઝ!!

દેશમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ હવે 9 ને બદલે 6 મહિનામાં લગાવી શકાશે. કેન્દ્ર સરકારે આ અંગે આજે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે હવે કોરોનાનો બૂસ્ટર ડોઝ 9 મહિનાના બદલે 6 મહિનામાં લાગશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને પત્ર લખીને આ અંગે માહિતી આપી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓણ ઇમ્યુનાઇઝેશન(એનટીએજીઆઈ)એ કોરોનાના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝની મર્યાદા 9 મહિના અથવા 39 અઠવાડિયાથી ઘટાડીને 6 મહિના અથવા 26 અઠવાડિયા કરવાની ભલામણ કરી છે.

સ્વાસ્થ્ય સચિવે પત્રમાં લખ્યું છે કે નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓફ ઈમ્યુનાઈઝેશનની ભલામણ બાદ બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેના 9 મહિનાના અંતરાલને ઘટાડીને 6 મહિના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકો હવે 6 મહિનામાં બૂસ્ટર ડોઝ લઈ શકશે.

કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ ભલામણ બાદ હવે 18-59 વર્ષના તમામ લોકો જેમણે કોરોનાનો બીજો ડોઝ લીધાના 6 મહિના અથવા 26 અઠવાડિયા પૂરા કર્યા છે, તેઓ કોવિડ-19 નો બૂસ્ટર ડોઝ લઈ શકે છે.

નોંધનીય છે કે, કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના સબ-વેરિઅન્ટ બીએ 2.75 ના ફેલાવા પછી દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકારે વિલંબ કર્યા વિના બૂસ્ટર ડોઝની અવધિ ઘટાડવાનો નિર્ણય લીધો છે.

અઠવાડિયામાં દેશમાં એક લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. 7 દિવસનો આ આંકડો છેલ્લા ચાર મહિનામાં સૌથી વધુ છે. 27 જૂનથી 3 જુલાઈની વચ્ચે કોવિડના 1.11 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 192 મૃત્યુ નોંધાયા હતા. તેમાંથી 44 ટકા મૃત્યુ કેરળમાં થયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.