Abtak Media Google News

આવાસ સંકટ સહિતની સમસ્યાઓને કારણે કેનેડાએ સ્ટુડન્ટ વિઝા ઉપર કાપ મુક્યો છે. જેમાં આગામી 2 વર્ષ કેનેડા સ્ટુડન્ટ વિઝાને 35 ટકા  સુધી ઘટાડવાનું છે.

કેનેડા સરકારે નવા સ્ટુડન્ટ વિઝાની જાહેરાત કરી છે જેની અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પણ પડશે. આ જાહેરાત અંતર્ગત સ્ટુડન્ટ વિઝામાં 35 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ધસારાને રોકવા અને સંસ્થાકીય ખામીઓને દૂર કરવાના પ્રયાસરૂપે, ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે આગામી બે વર્ષમાં મંજૂર કરાયેલા વિદ્યાર્થી વિઝાની સંખ્યા પર મર્યાદા લાદી છે.

આવાસ સંકટ સહિતની સમસ્યાઓને પગલે ટ્રુડો સરકારનો નિર્ણય, આગામી 2 વર્ષ સુધી આ નિયમ રહેશે લાગુ

કેનેડાના મીડિયાના રિપોર્ટ અનુસાર ફેડરલ સરકાર 2024 માટે 3.60 લાખ સ્નાતક અભ્યાસ પરમિટને મંજૂર કરવાનું લક્ષય રાખે છે, જેનાથી 2023થી જ સંખ્યામાં 35 ટકાનો ઘટાડો થશે. ફેડરલ સરકારના આ નિર્ણયની અસર ભારતીય વિદ્યાર્થી પર પડશે. ઉલ્લેખનીય છે કે કેનેડામાં ભારતીયો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સૌથી મોટો સમૂહ છે, જેઓએ 2022માં 41 ટકાથી વધુ પરમિટ મેળવી છે. સૂત્રોના અહેવાલ અનુસાર, વર્તમાન અંદાજ મુજબ 2023માં ત્રણ લાખથી વધુ ભારતીય સ્ટુડન્ડ કેનેડા ગયા હતા. કેનેડામાં પ્રાંતો અને પ્રદેશોને હવે વસ્તીના આધારે કુલ પરમિટનો એક હિસ્સો ફાળવવામાં આવશે, જેમાં તે પ્રાંતોમાં વધુ નોંધપાત્ર ઘટાડો આવશે જ્યાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તીમાં સૌથી વધુ અસ્થિરતા જોવા મળી રહી છે. આ ઉપરાંત દરેક પ્રદેશ નક્કી કરશે કે યુનિવર્સિટીઓ અને કોલેજો વચ્ચે પરમિટનું કેવી રીતે વિતરણ કરવામાં આવશે. આ સીમા બે વર્ષ સુધી લાગૂ રહેશે જેમાં 2025માં ઇશ્યૂ કરવામાં આવનારા વિઝાની સંખ્યાનું પુન: મૂલ્યાંકન કરવામાં આવશે.

ઇમિગ્રેશન મિનિસ્ટર મિલરે કેટલીક ખાનગી સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો લાભ લેવા, અન્ડર-રિસોર્સ્ડ કેમ્પસનું સંચાલન, વિદ્યાર્થીઓના સમર્થનનો અભાવ, ઉંચી ટ્યુશન ફી વસૂલવા અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ અંગેની ચિંતાઓ પર ભાર મૂક્યો હતો.તેમણે જણાવ્યું હતું કે ’આ અસ્વીકાર્ય છે કે કેટલીક ખાનગી સંસ્થાઓએ અન્ડર-રિસોર્સ્ડ કેમ્પસ ચલાવીને, વિદ્યાર્થીઓ માટે સમર્થનનો અભાવ અને ઊંચી ટ્યુશન ફી વસૂલ કરીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો લાભ લીધો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે,’ આ ઉપરાંત મિલરે જણાવ્યું હતું કે ફેડરલ સરકારને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરમિટ માટે અરજી કરતી વખતે પ્રાંત અથવા પ્રદેશમાંથી ચકાસણી પત્ર પણ પ્રદાન કરવાની જરૂર પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.