Abtak Media Google News

7 પેઢીમાંથી 16 કરોડથી વધુની કરચોરી પકડાઇ, 2ની ધરપકડ : હજુ પણ બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા

સેન્ટ્રલ જીએસટીની ડાયરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સની ટીમ દ્વારા રાજકોટમાં દરોડો પાડી યુરીયા ખાતરનાં કાળા બજાર કરાતા કરોડોનાં બોગસ વ્યવહારો પકડી પાડ્યા છે. આ કૌભાંડમાં વિભાગે બે શખસની ધરપકડ કરી તપાસ હાથ ઘરી છે. રાજકોટમાં આશરે 6થી 7 પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવતા રૂપિયા 16 કરોડથી વધુ રકમની કરચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ ડીજીજીઆઈની ટીમે રાજકોટમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી યુરીયાના વેચાણ કરતા વ્યાપરીઓ પર લાલ આંખ કરી છે અને થતા બોગસ વ્યવહારો ઝડપી પાડ્યા છે. તપાસ હાથ ધરાતા કાગળ પર કરોડોનાં વ્યવહારો બહાર કર્યા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં જુદી જુદી પેઢીઓ દ્વારા  અંદાજે 16 કરોડની કરચોરી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી યુરીયાના કાળા બજારનું મોટું કૌભાંડ દેશના અલગ અલગ સ્થળોએ ચાલી રહ્યું હોવાની ફરિયાદોનાં પગલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ યુરીયા ખાતરનો ખેડૂતો ઉપયોગ કરે તેના પર અઢી ટકા અને ઉદ્યોગોના વપરાશ પર આશરે 18 ટકા ટેક્સ લેવામાં આવતો હોય છે. આ તકે તપાસ દરમિયાન જુદી જુદી પેઢીનાં હિસાબી સાહિત્ય અને ડિજીટલ ડોક્યુમેન્ટ કબ્જે કરી તપાસ હાથ ધરવામાં આવી છે. યુરીયાના કરોડોના બોગસ વ્યવહારોના કૌભાંડમાં બે શખસની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અન્ય શહેરોમાં પણ યુરીયાનાં કૌભાંડમાં તપાસનો દૌર લંબાયો હોય કરચોરીનો આંકડો વધશે તેવા સંકેતો મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.