Abtak Media Google News

સામાન્ય માનવીની રજુઆતનું ત્વરિત નિવારણ લાવવા જિલ્લા વહિવટી તંત્ર પ્રાધાન્ય આપે: મુખ્યમંત્રી

રાજ્ય સ્વાગત ઓનલાઇનમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ 8 રજૂઆતો સંવેદનાપૂર્વક સાંભળી જિલ્લા-તાલુકા અને રાજ્ય સ્વાગતની ર6પપ રજૂઆતમાંથી રર06 નું નિવારણ  કર્યું હતુ. 2003 થી શરૂ કરાવેલા સ્વાગત માં અત્યાર સુધીમાં 5.26 લાખ રજૂઆતોનું સુખદ નિવારણ થયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, સામાન્ય માનવી-નાગરિકોની સમસ્યા-રજૂઆતોનું ત્વરાએ સ્થાનિક કક્ષાએ જ નિવારણ આવે તે વહિવટીતંત્રની અહેમ પ્રાથમિકતા હોવી જોઇએ. મુખ્યમંત્રીએ રાજ્યના પ્રજાજનોના પ્રશ્નોની રજૂઆત માટેના ઓનલાઇન જનફરિયાદ નિવારણના રાજ્યકક્ષાના સ્વાગતમાં જિલ્લા વહિવટી તંત્રવાહકોને આ અંગે દિશા નિર્દેશો આપ્યા હતા..

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાન શરૂ કરાવેલા આ સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણના ઉપક્રમમાં મે-2022 મહિનાના ચોથા ગુરૂવારે યોજાયેલા રાજ્ય સ્વાગતમાં  ગાંધીનગરમાં મુખ્યમંત્રી જન સંપર્ક એકમમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે 8 જેટલા અરજદારોની વિવિધ રજૂઆતો કાને ધરી હતી અને તેના સુચારૂ-યોગ્ય નિવારણ માટે સંબંધિત જિલ્લા-શહેરના વહિવટી તંત્રવાહકોને સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રી સમક્ષ રાજ્ય સ્વાગતમાં જે 8 રજૂઆતો આવી હતી તેમાં ગૃહ, જળસંપત્તિ, ઊર્જા, મહેસુલ, શહેરી વિકાસ, પંચાયત વગેરે વિભાગોને સ્પર્શતી બાબતોનો સમાવેશ થાય છે. પ્રજાજનોની રજૂઆતો, ફરિયાદોના ટેક્નોલોજીના ઉપયોગથી ઓનલાઇન નિવારણ માટેના મે-2022ના સ્વાગતમાં જિલ્લા કક્ષાએ રજુ થયેલી 318 માંથી ર06 તથા તાલુકા સ્વાગતની 2268 માંથી 2094 મળી સમગ્રતયા 2655 રજૂઆતો પૈકી 2206 નું નિવારણ લાવી 83.09 ટકા રજૂઆતોનું નિરાકરણ કરવામાં આવ્યું છે .વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાન ર003થી આ સ્વાગત-ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરાવેલો છે.

રાજ્યકક્ષાનો સ્વાગત દર માસના ચોથા ગુરૂવારે યોજાય છે તેમાં મુખ્યમંત્રીશ્રી પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને અરજદારોની રજૂઆતો સાંભળે છે. જિલ્લા કક્ષાનો સ્વાગત જિલ્લા કલેક્ટરની તથા તાલુકા સ્વાગત તાલુકા મામલતદારની અધ્યક્ષતામાં યોજાય છે. નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી 2003 થી શરૂ થયેલા રાજ્ય અને જિલ્લા સ્વાગતની સફળતાને પગલે તા.1 જાન્યુઆરી 2008 થી તાલુકા સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અને ગ્રામીણ સ્તરે પણ લોકોની રજૂઆતોનું ટેક્નોલોજીના માધ્યમથી નિવારણ લાવવાના અભિગમ સાથે તા. 1 ફેબ્રુઆરી-ર011 થી ગ્રામ સ્વાગત શરૂ કરવામાં આવેલો છે.

આમ, સમગ્રતયા એપ્રિલ 2003થી એપ્રિલ-2022 સુધીમાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્વાગત મળી 5,26,805 રજૂઆતોમાંથી 99.89 ટકા એટલે કે 5,26,239 નું સુખદ નિવારણ લાવવાની આગવી સિદ્ધિ મેળવવામાં આવી છે એટલું જ નહિ, સ્વાગતને વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે તેમજ ગુજરાતની આ અભિનવ પહેલ અન્ય રાજ્યો માટે સુશાસનનું પથદર્શક મોડેલ બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.