Abtak Media Google News

પાણી વિતરણ સ્થળે જ ગંદકીના ગંજ અને વાહનો ખડકાય છે

માંગરોમાં પાણી વિતરણ કરવામાં આવતા ટાંકાના કમ્પાઉન્ડની બહાર ખડકાયેલા કચરાના કારણે રોગચાળાનો ભય ફેલાયો છે. અને વધુમાં તેજ સ્થાને લોકો દ્વારા વાહનો પણ પાર્ક કરવામાં આવતા હોવાથી ભારે હાલાકી સર્જાય છે.

લાંબા સમયથી પેચીદો બનેલો માંગરોળના ઘન કચરાના ડમ્પિંગનો પ્રશ્ન હવે રોગચાળો નોતરે તેવી શંકા સેવાઈ રહી છે. કચરાના નિકાલની કોઈ જગ્યા ઉપલબ્ધ ન હોવાથી શહેરને જ્યાંથી પાણી વિતરણ કરવામાં આવે છે તે ટાંકાના કંપાઉન્ડની બહાર જ કચરો ભરેલા વાહનો ખડકી દેવાતા લોકોમાં પણ કચવાટ ફેલાયો છે.

માંગરોળમાં હાલમાં કોરોનાના પાંચેક જેટલા કેસો નોંધાયા છે. ત્યારે તેના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવાયા છે. પરંતુ રોગચાળાના ફેલાવા માટે ગંભીર ગણાતા પરિબળો પૈકી કચરા, ગંદકીના નિકાલનો પ્રશ્ન હજુ પણ ’જૈસે થે’ હાલતમાં છે. કચરાના ડમ્પિંગ માટે જમીનની ફાળવણી બાદ ઠેર ઠેર વિવાદને લઈને કચરો નાંખવો ક્યાં ? તે મુદ્દે ન.પા.ની હાલત કફોડી બની છે. તો આજે શહેરના રહેણાંક વિસ્તારમાં પાણીના ટાંકાના કંપાઉન્ડ બહાર જ કચરાના વાહનોના લાગેલા થપ્પાથી લોકોનું સ્વાસ્થ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

હાલમાં શહેર વિસ્તારની હદ બહાર વાડી, ખેતરોમાં આ ઘન કચરો ઠાલવવામાં આવતો હતો. પરંતુ ત્યાં પણ આજુબાજુ વસવાટ કરતાં લોકોએ વિરોધ કરતા કચરો ઠાલવવાનું બંધ કરાયું છે. બીજી તરફ ભૂગર્ભ ગટર યોજના ન હોવાથી સોર્સ ખાડા ખાલી થઈ શકે તેમ ન હોવાથી અનેક જગ્યાએ ગંદા પાણી રસ્તા પર વહી રહ્યા છે. આરોગ્યની દ્રષ્ટિએ ગંભીર ગણાતા આ પ્રશ્નનું નિરાકરણ લાવવા ન.પા.એ કલેકટરને રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.