Abtak Media Google News

અન્ય શહેરોની કોર્ટના બાર રૂમને તાળાં નથી : પ્રમુખ બકુલ રાજાણી અને દિલીપ પટેલ દ્વારા રજૂઆત

કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો બાદ કોરોનાની ચેઇનને તોડવા માટે અદાલતોમાં સ્વૈચ્છીક રીતે કેટલાક રૂમોમાં તાળા મારી દેવાયા હતા. દરમિયાન હાલ મહામારી બિલકુલ હળવી થઈ ગઈ છે ત્યારે રાજકોટ બાર એસોસિએશને બાર રૂમના તાળાં ખોલી આપવા અંગે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી છે.

રાજકોટ બાર એસોસિએશને જણાવ્યું હતું કે બારના રૂમમાં વકીલોના સિક્કાઓ અને લેટર પેડ પડેલા છે. હાલ કોરોનાના કાળમાં અસંખ્ય વકીલો પણ કોરોનાનો ભોગ બન્યા છે. તેમને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાંથી વેલ્ફેર સ્કીમ હેઠળ મળતી સહાયમાં પણ રાજકોટ બાર એસોસિએશનનું પ્રમાણપત્ર આપવું પડે છે. તેવા સંજોગોમાં બાર રૂમને આ તાળાબંધીથી વકીલો પરેશાની ભોગવી રહ્યા છે. આ ઉપરાંત લાયબ્રેરીમાંથી મળતા જજમેન્ટો અને ચોપડાઓ પણ મળી શકતા નથી. ઉલ્લેખનીય છે કે રાજ્ય આખામાં માત્ર પાંચ ટકા જ વકીલો પાસે લાયબ્રેરી છે. જ્યારે અસંખ્ય વકીલો તો બાર એસોસિએશનની જ લાયબ્રેરીનો ઉપયોગ કરતા હોય છે.

આ રજુઆતમાં ભાર દેવામાં આવ્યો હતો કે રાજકોટ સિવાય અન્ય કોઈ બારમાં ક્યાંય પણ બાર એસો.ના રૂમોમાં તાળા મરાયા નથી. તો વહેલી તકે આ પત્ર અન્વયે વકીલોને સહકાર આપવાની અપેક્ષાઓને તાત્કાલિક બાર એસો.ના રૂમના તાળા ખોલી આપવા સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટ ચીફ જસ્ટિસ સહિતનાઓને બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી, સેક્રેટરી જીજ્ઞેશ જોષી અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ગુજરાત મેમ્બર દિલીપ પટેલ સહિતનાએ રજુઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.