Abtak Media Google News

લગ્ન પ્રસંગ અને મહાશિવરાત્રીના ધાર્મિક ઉત્સવ માટે 25 દિ’ના જામીન માંગ્યા

શહેરમા સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ અને તેના સાગરીતે પાઇપ વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં લોકસાહિત્યકાર દેવાયત ખવડે લગ્ન પ્રસંગ અને શિવરાત્રીના ડાયરાના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે સેશન્સ કોર્ટમાં 25 દિવસના વચગાળાના જામીન માંગતી અરજી કરી છે.

આ કેસની હકીકત મુજબ શહેરમાં યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકમાં જૂની અદાવતનો ખાર રાખી મયુરસિંહ સંપતસિંહ રાણા નામનો યુવાન  પોતાની ઓફિસેથી ઘરે જવા નીકળ્યો હતો ત્યારે તેની ગાડી પાસે પહોંચતા જ નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીતે કારમાંથી ઉતરી મયુરસિંહ રાણા ઉપર પાઇપ વડે જીવલેણ હુમલો કરી માર માર્યો હતો. બાદમાં હુમલાખોર દેવાયત ખવડ અને તેના સાગરીતો કાર લઈ નાસી છૂટ્યા હતા. હુમલામાં ઘવાયેલા મયુરસિંહ રાણાએ એ ડિવિઝન પોલીસ મથકમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીત હરેશ ઉર્ફે કનો રબારી

તેમજ કાર ડ્રાઈવર કિશન દિલીપભાઈ કુંભારવાડિયા વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જે ગુનામાં નાસતા ફરતા હુમલાખોર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના બંને સાગરીતોએ પોલીસ ધરપકડની દહેશતે સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી અદાલતે નામંજુર કરતા દેવાયત ખવડ અને તેના બંને સાગરીતો પોલીસ સમક્ષ સરન્ડર થયા હતા.

હાલ જેલ હવાલે રહેલા દેવાયત ખવડ અને તેના બંને સાગરીત જામીન મેળવવા રાજકોટ સેશન્સ કોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજી રદ થતા  સેશન્સ કોર્ટના હુકમથી નારાજ થઈ દેવાયત ખવડ અને કાર ડ્રાઇવર કિશન દિલીપભાઈ કુંભારવાડિયાએ જેલ મુક્ત થવા હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે લંબાણપૂર્વકની દલીલો બાદ જામીન ન આપવાનું રુખ અપનાવતા અંતે દેવાયત ખવડે જામીન મુક્ત થવા કરેલી જામીન અરજી પરત ખેંચી લીધી હતી.

મયુરસિંહ રાણા ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં તપાસના અંતે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા જીવલેણ હુમલાના મુખ્ય સૂત્રધાર દેવાયત ખવડે લગ્ન પ્રસંગ અને શિવરાત્રીના તહેવારના ડાયરાના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે રાજકોટ સેશન્સ કોર્ટમાં 25 દિવસ માટે જામીન માંગતી વચગાળાની અરજી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.