Abtak Media Google News

કોર્પોરેશનને આવાસ ખાલી કરાવ્યા, કોન્ટ્રાકટર જે.પી. સ્ટકચરે બુલડોઝર ચલાવ્યું

જર્જરિત આવાસમાં વસવાટ કરતા લોકોને ટુ બીએચકેની સુવિધા વાળા નવા ફલેટ અપાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી 44 વર્ષ પુર્વ અર્થાત વર્ષ 1979માં શહેરના સૌરાષ્ટ્ર હાઇસ્કુલ રોડ પર અરવિંદભાઇ મણિયાર આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આર્થિક રીતે અસક્ષમ 208 પરિવારોને આશરો આપવામાં આવ્યો હતો. સાડાચાર દાયકા જુના આ આવાસ જર્જરીત અને ભયગ્રસ્ત બની ગયા હોવાના કારણે અહી પીપીપીના ધોરણે રિ-ડેવલપ મેન્ટ યોજના લાગુ કરવામાં આવી હતી. છેલ્લા છ વર્ષથી એક યા બીજા કારણોસર ટલ્લે ચડેલી રિ-ડેવલપમેન્ટ યોજના હવે સાકાર થવા તરફ આગળ ધપી રહી છે. આજે સવારથી અરવિંદભાઇ મણીયાર કવાર્ટરના ર08 ફલેટ તોડી પાડવા માટે મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુંં હતું. જેમાં કોર્પોરેશન દ્વારા આવાસો ખાલી કરાવી આપવામાં આવ્યા હતા. જયારે કોન્ટ્રાકટર દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના સૌરાષ્ટ્ર હાઇસ્કુલ સામે આવેલા અરવિંદભાઇ મણીયાર 208 આવાસ યોજના 1979 માં બનાવવામાં આવી હતી. તમામ આવાસ જર્જરીત થઇ ગયા હોવાના કારણે અહી મહાપાલિકા દ્વારા પીપીપી યોજના લાગુ કરવામાં આવી હતી. આશરે 8500 ચોરસ વાર ક્ષેત્રફળમાં 13 વીંગ અને ર08 આવાસ ધરાવતા આ યોજનાને પીપીપીના ધોરણે રિ ડેવલપ કરવાનો કોન્ટ્રાકટ જે.પી. ઇન્ફાસ્ટકચર પ્રાઇવેટ લીમીટેડને આપવામાં આવ્યો હતો. જેમાં આવાસ ધારકને વન બેડના બદલે ટુ બેડના ફલેટ આપવામાં આવશે. અને કોર્પોરેશનને રોકડ પ્રિમિયમના બદલે 76 આવાસ પ્રાપ્ત થશે. વર્ષ 2017 માં રિ-ડેવલપ મેન્ટ યોજના લાગુ કરી દેવામાં આવી હતી. દરમિયાન આવાસ ખાલી કરનાર આસામીઓને કોન્ટ્રાકટ એજન્સી દ્વારા ભાડુ પણ ચુકવવામાં આવી રહ્યુંછે. અમક ફલેટ ધારકોએ આવાસ ખાલી કર્યા ન હોવાના કારણે પ્રોજેકટ ખોરંભે પડયો હતો.

તાજેતરમાં ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશ્નર અનિલ ધામેલીયા સહિતના અધિકારીઓએ રુબરુ સ્થળ મુલાકાત લીધી હતી અને જે 26 આસામીઓ દ્વારા કવાર્ટર ખાલીક રામાં આવ્યા નથી તેઓને સમજાવવામાં આવ્યા હતા. દરમિયાન આજે કોર્પોરેશનનો કાફલો વહેલી સવારે ચુસ્ત પોલીસ અન વિજીલન્સ બંદોબસ્ત સાથે ત્રાટકયો હતો. 1ર વીંગમાં આવેલ 208 આવાસોને તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા આવાસો ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જયારે કોન્ટ્રાકટર જે.પી. ઇન્ફાસ્ટકચર દ્વારા 208 આવાસ પર બુલડોઝર ફેરવી દેવાની કામગીરી કરવામાં આવી હતી. લોકોના ટોળા ઉમટયા હતા. કોઇ અનિચ્છનીય બનાવ ન થવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.